વાંકાનેર શ્રી સેન યુવા સંગઠન દ્વારા આજ રોજ વાણંદ સમાજના વિદ્યાર્થીસ્નેહી ઉદ્દેશ્ય હેઠળ શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીની ધમાકેદાર એન્ટ્રી અને બાળાઓ દ્વારા રજુ થયેલ સ્વાગત ગીત સાથે થઇ હતી, જેના કારણે સમગ્ર માહોલ યશસ્વી ઉર્જાથી ગુંજી ઉઠ્યો હતો.
આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વાણંદ સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને તેમના અભ્યાસિક યોગદાનની કદર કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓ પણ વિતરણ કરવામાં આવી હતી, જે સમાજની શૈક્ષણિક પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમારોહમાં વાંકાનેર વાણંદ સમાજ દ્વારા પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માઓને ગાયત્રી મંત્રના નાદ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સેન યુવા સંગઠનના તમામ સભ્યોએ સંપૂર્ણ સમર્પણ સાથે કામગીરી કરી, જેને કારણે કાર્યક્રમ સફળ અને સ્મરણિય રહ્યો. (અહેવાલ : અજય કાંજીયા)
આંતરરાષ્ટ્રીય યોગ દિને મોરબી જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યોગ સાધકોની સાથે “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” માટે યોગની થીમ સાથે “મેદસ્વિતા મુક્ત ભારત” અભિયાન અન્વયે અનેરા ઉત્સાહ અને ઉર્જા સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ ઈન્સ્ટ્રકર ઓ દ્વારા સર્વેને વિવિધ યોગા અભ્યાસ કરાવવામાં આવ્યા હતા.
સર્વે ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમથી યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના તથા વડનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
પ્રાસંગિક ઉદ્બોધન આપતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે. ઋષિ-મુનિઓએ શોધેલો યોગ ભારતે વિશ્વને આપેલી વિરાસત છે. પ્રાચીન સમયમાં યોગના કારણે લોકોના મન-શરીર-આત્મા તંદુરસ્ત રહેતા હતા. ઋષિ-મુનિઓની સાધના પદ્ધતિના લીધે અનેક લાભ કરાવતા આ યોગની આપણને વિરાસત મળી, પરંતુ યોગને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવાનું કામ એનો બહોળો પ્રચાર કરવાનું કામ અને તેની આંતરાષ્ટ્રીય માન્યતા અપાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાનએ તેમના ૧૧ વર્ષના શાસનમાં આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવા માટે ખૂબ બધા કામો કર્યા છે .જેમા આયુર્વેદ અને યોગનો સમાવેશ થાય છે યોગ એ આપણી ઉપલબ્ધિ છે જે આપણને શારીરિક માનસિક ઉર્જા આપે છે. આરોગ્ય ઉત્તમ બનાવે છે. યોગને નિયમિત રોજબરોજના જીવનમાં અપનાવવું જોઈએ.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કહ્યું હતું ઋષિમુનીઓએ આપણને યોગની ભેટ આપી હતી. યોગ લોકોના દૈનિક જીવનમાં આવે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. આ માટે મેદસ્વિતા મુક્ત અભિયાન ચલાવી રહી છે. જેથી યોગ દ્વારા લોકોનો માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય ઉત્તમ બને.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત જિલ્લા કલેક્ટર કિરણ બી. ઝવેરીએ કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસથી આપણા પ્રાચીન યોગને વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ રોગને ભગાવે છે. ત્યારે આપણે પણ દૈનિક જીવનમાં યોગને અપનાવીને સ્વસ્થ રહીએ.
‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિરના પ્રાંગણમાં શહેર કક્ષાનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી.
યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે. યોગ વિશે કહેવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ અર્થાત્ મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરુરી છે. યોગ સંસ્કૃતિ એ આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે.
વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે તેવા ઉમદા આશયથી યુનાઇટેડ નેશન્સની મહાસભાએ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, ૨૧ મી જૂન, ૨૦૧૫ થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જેના ભાગરૂપે મોરબીમાં આપણી ઋષિ પરંપરાગત પ્રાચીન યોગ સંસ્કૃતિને મોરબીની ઓળખ અને વારસાગત ધરોહરની સાથે સાંકળી મણીમંદિર ખાતે મોરબી શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે. ત્યારે આપણે એવા સ્થળ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જે સ્થળ આપણને ઐતિહાસિક વિરાસત સાથે જોડે છે અને ગૌરવવંતા બનાવે છે. આ વર્ષની યોગ દિવસની થીમ એવું ફલિત કરે છે કે, યોગ એ વિશ્વના દરેક દેશ, દરેક સમુદાય અને દરેક સમાજ માટે છે અને તમામ યોગ સાથે જોડાઈ રહ્યા છે. નિયમિત યોગ અભ્યાસ થકી માનસિક અને
શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
મોરબી શહેરી કક્ષાના કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કશ્યપ પંચાલ, અગ્રણી ઓ, શાળાના શિક્ષકો, બાળકો, યોગટ્રેનર્સ તેમજ મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી વરસાદી મોસમને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 01 મે 2025 થી તા. 31 ઑક્ટોબર 2025 સુધી પ્રિ-મોન્સૂન પ્લાનના અમલની શરૂઆત કરવામાં આવી છે. વરસાદ દરમ્યાન તીવ્ર હવામાન અને પાણી ભરાવાની શક્યતાઓને અનુરૂપ રાઉન્ડ ધ કલોક કામગીરી માટે વિવિધ વિભાગોમાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા અંતર્ગત આવેલા કુલ 13 આરોગ્ય કેન્દ્રો પર તમામ આવશ્યક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી વરસાદી મોસમમાં તાત્કાલિક આરોગ્યસેવા સુલભ બની રહે. પાણી ભરાવાની શક્યતા ધરાવતા નિકાળ ન હોતાં વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા અનુરોધ કરવામાં આવે છે.
સાથે જ, નાગરિકો જાગૃતતા દાખવી નીચે મુજબના નંબર પર તાત્કાલિક જાણ કરીને સહકાર આપે તે વિનંતી: જાહેર સ્થળે તૂટી ગયેલ ભૂગર્ભ ગટર અથવા પાણીના ટાંકા સહિતના જોખમકારક મુદ્દાઓ માટે તાત્કાલિક જાણ કરવી જરૂરી છે, જેથી કોઈ દુર્ઘટના ટાળી શકાય.
કાલે વિશ્વ યોગ દિવસ: 5 હજાર વર્ષ પહેલા આપણા દેશમાં થઈ હતી યોગની શરૂઆત, યોગ આત્મા પર અનાદિકાળથી લાગેલા કર્મનો ક્ષય કરે; આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 21 જૂન 2015 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના 177 દેશોમા યોગ દિવસ ઉજવવામાં આવે છે. યોગની શરૂઆત 5000 વર્ષ પહેલા આપણા દેશમાં થઈ હતી. ભારતને યોગના જન્મદાતા કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલીને યોગના જનક માનવામાં આવે છે.
વોર્ડ નં. 1 ના પ્રભારી કાથડભાઈ ડાંગર જણાવે છે કે, યોગ એટલે જે જોડે છે તેને યોગ કહેવાય છે. યોગ આપણા દેશમાં સદીઓ પુરાણો છે, જેનું વર્ણન વેદ, ઉપનિષદ, કઠોપનિષદ, મહાભારત અને ભાગવત વગેરેમાં અનેકવાર કહેવામાં આવેલું છે.
ઉપનિષદમાં યોગ માટે તપ, ધ્યાન ભક્તિ, વૈરાગ્ય, વિવેક, બ્રહ્મચર્ય, ઉપાસના આદિ સત્યનું જ્ઞાન માપવાનું સાધન તરીકે યોગને જણાવેલ છે. ભગવદ ગીતા અને પુરાણ જેવા ગ્રંથોમાં ધ્યાનયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ અને હઠયોગ જેવા યોગના વિવિધ સ્વરૂપોની વાત કરી છે. મહર્ષિ પતંજલિ એ યોગના આઠ અંગ બતાવેલ છે. યોગની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોમાં છે. માનવ જીવનમાં સુખ-દુ:ખ, માન-અપમાન, જય-પરાજય આવે દરેક ઘટનાઓ વખતે સમતા રાખવી તેને યોગ કહેવાય છે.
યોગ એ બાહ્ય બાબત નથી પરંતુ આંતરિક અનુભૂતિ છે. દરેક વ્યક્તિની અંદર રહેલ ચૈતન્યનો વિકાસ કરવો તે યોગ છે. દરેક પ્રાણીમાત્રની અંદર ચેતન તત્ત્વ રહેલું હોય છે. પરંતુ ભગવાને મનુષ્યને બુદ્ધિ જેવું તત્ત્વ આપીને તેને સર્વોપરી બનાવ્યો છે.
મનુષ્ય શરીર દ્વારા પોતાના કલ્યાણ માટેના પ્રયત્નો કરી શકાય છે અને આના માટે યોગ આપણને મદદરૂપ થઈ શકે છે. ભગવાન કૃષ્ણે ગીતામાં પોતાને મહાયોગી કહ્યા છે. તેઓ પોતાનું સમગ્ર જીવન એક યોગીની પેઠે જીવ્યા છે. આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ આત્માનો આંતરિક અને આધ્યાત્મિક વિકાસ તે યોગ છે આ યોગ આત્મા પર અનાદિકાળથી લાગેલા કર્મનો ક્ષય કરે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નવી ગાઇડલાઇન્સ ’ગોલ્ડ લોન’ સેક્ટરમાં મોટો ફેરફાર લાવવા જઇ રહી છે. ધિરાણકર્તાઓ કે જેઓ તેમના વ્યવસાયિક મોડેલોને ઝડપથી બદલવાની ક્ષમતા ધરાવે છે.
તેઓ આ નવા નિયમોથી લાભ મેળવી શકશે. ગુરુવારે જાહેર થયેલા એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધિરાણકર્તાઓને સોના-સમર્થિત વપરાશ લોન માટે ટૂંકા ગાળાની લોન લેવાની વધુ સ્વતંત્રતા મળશે.
જેનાથી નાના ધિરાણકર્તાઓને તેમની ગીરવે મૂકેલી સોનાની સંપત્તિમાંથી વધુ મૂલ્ય પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે. ધિરાણકર્તાઓ પાસે ફેરફારોની તૈયારી માટે 1 એપ્રિલ, 2026 સુધીનો સમય છે.
કોલેટરલ વેલ્યુએશન પર આધારિત
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પરંપરાગત રીતે તેઓ કોલેટરલ વેલ્યુએશન પર આધાર રાખે છે. ચુકવણીની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે લોન અધિકારીઓની નિમણૂક કરવા માટે કૌશલ્યના અંતરને દૂર કરવું એ આ ધીરનારનાર માટે સ્પષ્ટ ખર્ચ અને અવરોધ બંને છે.
એલટીવી ગુણોત્તરની ગણતરી
રિપોર્ટમાં નવા નિયમોના બે બાબતો માટે વિશે માહિતી આપવામાં આવી છે. સૌ પ્રથમ લોન-ટુ-વેલ્યુ (એલટીવી) રેશિયોની ગણતરીમાં પાકતી મુદત સુધી વ્યાજની ચુકવણીનો સમાવેશ કરવામાં આવે છે. આ એડવાન્સ લોનની રકમને અસરકારક રીતે મર્યાદિત કરી શકે છે જેનું વિતરણ કરી શકાય છે.
જેને ધિરાણકર્તાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે. બીજું, 3,000 ડોલરથી વધુની વપરાશ-કેન્દ્રિત લોન અને તમામ આવક-ઉત્પાદક લોન માટે ધિરાણ લેનારાઓના રોકડ પ્રવાહ વિશ્લેષણના આધારે લોન મૂલ્યાંકનની અરજી છે.
ઋણ લેનારાઓને લાભ
આ પરિવર્તનને કારણે મધ્યમ આવક ધરાવતાં લોન લેનારાઓને ફાયદો થશે. આ અહેવાલમાં આવક પેદા કરતાં દેવામાં પણ વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, ધિરાણકર્તાઓ ભલે નવા મોડલ્સ સાથે પ્રયોગ કરી રહ્યા હોય, પરંતુ વાસ્તવિક તફાવત એ રહેશે કે તેઓ ઝડપથી અને એકીકૃત રીતે લોનનું વિતરણ કરી શકશે.
મોરબી જિલ્લાના 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ : કલેક્ટર
રવિવારે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ: 27 પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાંથી ઘણી ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે જો કે, આગામી તા. 22 ને રવિવારે જીલ્લામાં 40 જગ્યાએ મતદાન થવાનું છે તેને લઈને કલેકટરની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેવી માહિતી કલેકટરે આપી હતી અને વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.
મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ઘણી બધી પંચાયતોમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જો કે, ગામમાં ચૂંટણી નહીં પરંતુ ગામમાં એકતા જળવાઈ રહે અને સરકારી ગ્રાન્ટનો વધુમાં વધુ લાભ ગામને મળે તેના માટે થઈને તે ગ્રામ પંચાયતને સમરસ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં 192 જગ્યાએ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં ઘણી ગ્રામ પંચાયતમાં ચૂંટણી નહીં પરંતુ ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવેલ છે જો કે, આગામી તા 22 ના રોજ 40 જગ્યાએ ચૂંટણી યોજવાની છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં 40 જગ્યાએ ચૂંટણી યોજવાની છે. જેમાં 27 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજવાની છે.
જ્યારે સરપંચની પેટા ચૂંટણી 5 જગ્યાએ, સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી 4 જગ્યાએ અને વોર્ડની પેટા ચૂંટણી 4 જગ્યાએ યોજવાની છે જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવામાં આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટેની અપીલ કરવામાં આવેલ છે.
બેંકો પોતાની શાખાઓ વધારી રહી છે, પરંતુ ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)નો વિકાસ અટકી ગયો છે. આનું મુખ્ય કારણ ગ્રાહકોનો ડિજિટલ પેમેન્ટ તરફનો ઝડપથી વધતો ટ્રેન્ડ છે.
મર્યાદિત ડિજિટલ સેવાઓ ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં, થાપણો એકત્રિત કરવા અને ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે બેંક શાખા હોવી જરૂરી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021 માં સરકારી, ખાનગી અને આંતરરાષ્ટ્રીય બેંકોના એટીએમની કુલ સંખ્યા 2,11,332 હતી.
જે નાણાકીય વર્ષ 25 માં મામૂલી વધીને 2,11,654 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, નાણાકીય વર્ષ 21 માં બેંક શાખાઓની સંખ્યા 1,30,176 થી વધીને નાણાકીય વર્ષ 25 માં 1,42,359 થઈ ગઈ છે.
સાધારણ વધારો
2021માં 2,11,332 એટીએમ
2025માં 2,11,654 એટીએમ
બેંક શાખાઓનું વિસ્તરણ
2021 માં 1,30,176
2025 માં 1,42,359
મોબાઇલ બેંકિંગની અસર
આઈસીઆરએના ઉપાધ્યક્ષ સચિન સચદેવે કહ્યું, ‘ડિજિટલ પેમેન્ટ તરફ વધતાં વલણ અને મોબાઈલ કે ઈન્ટરનેટ બેન્કિંગ માટે ગ્રાહકોની પસંદગીને કારણે એટીએમની માંગ ઘટી છે.
તેમણે કહ્યું કે એટીએમની જરૂરિયાત બેંક શાખાઓની જરૂરિયાતથી દૂર થઈ ગઈ છે. શાખાઓ દૂરના વિસ્તારોમાં પહોંચતી હોવાથી, તેમાં હંમેશાં વિસ્તરણની સંભાવના રહે છે.
ગામડાઓમાં હજુ પણ માંગ છે
આરબીઆઈના જણાવ્યાં અનુસાર, ડિજિટલ પેમેન્ટની વધુ પહોંચ ન હોવાથી ગામડાઓ અને નાના નગરોમાં એટીએમની માંગ છે. નાણાકીય વર્ષ 2024-25માં એટીએમમાંથી રોકડ ઉપાડ 30.6 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2019-20માં 28.89 લાખ કરોડ રૂપિયા હતો.
બીસીજીના ભારતના નેતા યશ રાજનું કહેવું છે કે હવે એટીએમ અને શાખાઓ બેંકો માટે અલગ અલગ વસ્તુઓ છે. અગાઉ એટીએમને શાખાઓનું વિસ્તરણ માનવામાં આવતું હતું.
એટીએમ કામગીરી મોંઘી
ઉદ્યોગનાં નિષ્ણાતોનું કહેવું છે કે, મેઇન્ટેનન્સ, કેશ મેનેજમેન્ટ અને કેસેટ સ્વેપિંગ જેવા ખર્ચાઓ વધી રહ્યા હોવાથી બેન્કો માટે એટીએમ ચલાવવાનું મોંઘું પડ્યું છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના વધતા જતા ઉપયોગને કારણે એટીએમમાં ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો હોવાથી મૂળભૂત બદલાવ પણ આવ્યો છે.
ખાનગી ક્ષેત્રની બેંકો પ્રવેશ વધારી રહી છે
બેંકોની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાનગી બેંકો કરતાં વધુ એટીએમ છે, સરકારી બેંકોમાં ગામડાઓ અને નગરોમાં ઘણાં બધા એટીએમ છે. ખાનગી ક્ષેત્રની બેંકો હવે મહાનગરોની બહાર એટીએમ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ગુજરાતમાં દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મનરેગા કૌભાંડ બાદ હવે મનરેગા યોજનામાં કરચોરીનો મામલો સામે આવ્યો છે. SGST વિભાગે મનરેગા યોજનામાં કરોડોની કરચોરી પકડી છે.
દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે. કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી અને બેંક ખાતામાં મળેલી રકમ કરતાં ટર્ન ઓવર ઓછુ બતાવતા હતાં.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મનરેગા કૌભાંડમાં ભરૂચ અને દાહોદ સહિતના વિસ્તારોમાં કૌભાંડીઓ સામે કાર્યવાહી ચાલુ છે. તેવામાં રાજ્યમાં SGST વિભાગે મનરેગા યોજનામાં થતી કરચોરીને પકડી પાડી છે. SGST વિભાગે દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે.
આ કરદાતાઓએ કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી. આ ઉપરાંત બેંક ખાતામાં મળેલી રકમ કરતાં ટર્ન ઓવર પણ ઓછું બતાવ્યું હતું. SGST વિભાગે તપાસ કરીને કરોડોની કરચોરી પકડી પાડી છે.
મનરેગા યોજના થકી 45 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી
મનરેગા કૌભાંડ બાદ હવે મનરેગા યોજનામાં કરચોરી ઝડપાઈ છે.SGST વિભાગે મનરેગા યોજના થકી 45 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી છે. મનરેગા યોજના થકી કરચોરી કરનાર દાહોદ અને વેરાવળના ચાર કરદાતાઓ વિરુધ્ધ તપાસ હાથ ધરાઈ છે.
કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગીકૃત કરવી તેમજ બેંક ખાતામાં મળેલ રકમની તુલનામાં ટર્નઓવર ઓછું દર્શાવવા જેવી ગેરરીતિઓ સામે આવી છે. આ સાથે જ કરદાતાઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અનઅધિકૃત અને અયોગ્ય લાભ લેતા હોવાનું પણ સામે આવ્યું છે.
હવે આવી ફરિયાદો પર કેબિનેટ સચિવાલયની સીધી નજર રહેશે
હવે આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઇસી સંબંધિત ફરિયાદોનું પીએમઓ મોડેલ દ્વારા સમાધાન કરવામાં આવશે.
કેબિનેટ સચિવાલય દ્વારા આ ફરિયાદો પર સીધી નજર રાખવામાં આવશે. બંને વિભાગોની ફરિયાદોને હવે ડિરેક્ટોરેટ ઓફ પબ્લિક ગ્રિવન્સ (ડીપીજી) હેઠળ લાવવામાં આવી છે, જે કેબિનેટ સચિવાલય હેઠળ કામ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ સરકારી વિભાગોની પડતર ફરિયાદોનો સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે નિકાલ કરવાનો છે.
કેન્દ્રીય કેબિનેટ સચિવે તમામ મંત્રાલયો અને વિભાગોને તેમની ફરિયાદ નિવારણ પ્રણાલીમાં સુધારો કરવા અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પીએમઓ જેવી મોનિટરિંગ મિકેનિઝમ સ્થાપિત કરવા જણાવ્યું છે. આવકવેરા અને સીબીઆઈસીને ડીપીજી હેઠળ લાવવાનો આદેશ 16 જૂને કેબિનેટ સચિવાલયથી જારી કરવામાં આવ્યો છે.
આ મહત્વનું છે, કારણ કે આવકવેરા વિભાગ અને સીબીઆઇસી સંબંધિત સમસ્યાઓ લાખો કરદાતાઓ અને વેપારીઓને અસર કરે છે. વિલંબ, પારદર્શિતાના અભાવ અને જટિલ પ્રક્રિયાઓ માટે તેમની સામે અવારનવાર ફરિયાદો કરવામાં આવી છે.
પરંતુ, નવી વ્યવસ્થામાં સામાન્ય કરદાતા હોય કે વેપારી વર્ગ, હવે તેમની ફરિયાદો પર માત્ર ઔપચારિકતામાં જ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ સિનિયર લેવલે સીધી દેખરેખ રાખવામાં આવશે.
ટૂંક સમયમાં નવી બ્લુપ્રિન્ટ :-
ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ (ડીએપીઆરજી) ટૂંક સમયમાં આ નવી સિસ્ટમ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે અને તમામ મંત્રાલયોને માર્ગદર્શિકા જારી કરશે. દરેક મંત્રાલયનાં ફરિયાદ નિવારણ સેલની સક્રિય ભૂમિકા રહેશે, જેથી ફરિયાદોનું નિવારણ અસરકારક બને.
શું છે PMO મોડલ? :-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 4 જૂનના રોજ મંત્રી પરિષદની બેઠક મળી હતી, જેમાં જનતાની ફરિયાદોના નિરાકરણને ટોચની પ્રાથમિકતા ગણાવી હતી. ત્યારબાદ કેબિનેટ સચિવે પીએમઓમાં લાગુ કરવામાં આવેલા મોડલ વિશે વાત કરી, જ્યાં 30થી વધુ વરિષ્ઠ અધિકારીઓ દરરોજ ઓછામાં ઓછી 10 ફરિયાદોનો નિકાલ કરે છે.
એટલે કે પીએમઓ દરરોજ લગભગ 300 ફરિયાદોનું નિરાકરણ લાવે છે. હવે તમામ મંત્રાલયો અને વિભાગોમાં આ જ પીએમઓ મોડેલ લાગુ કરવાની યોજના છેદરેક વિભાગના વરિષ્ઠ અધિકારીઓને લોકોની ફરિયાદોની સીધી તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવશે. તેને ’હાઈ પ્રાયોરિટી એક્શન પોઈન્ટ’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.