Category: All

  • એર ઈન્ડિયાની ફલાઈટમાં કેનેડાથી આવતા 15 ગુજરાતીઓએ પ્રવાસ પડતો મુકયો: ચોંકાવનારા આક્ષેપો

    એર ઈન્ડિયાની ફલાઈટમાં કેનેડાથી આવતા 15 ગુજરાતીઓએ પ્રવાસ પડતો મુકયો: ચોંકાવનારા આક્ષેપો

    ફલાઈટ મોડી પડી, ટેકનિકલ ફોલ્ટની મેમ્બર્સને પણ જાણ ન હોવાનો અને ફલાઈટ મેનેજરે ઉદ્ધત વર્તન કર્યાના આક્ષેપો

    એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના શિડ્યૂલ ખોરવાઈ રહ્યા છે અને એરક્રાફ્ટ્સમાં ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવવાનું હજુય ચાલુ જ છે ત્યારે એર ઈન્ડિયાની ટોરન્ટોથી નવી દિલ્હી આવતી ફ્લાઈટ નંબર AI 188માં ઈન્ડિયા આવવા નીકળેલા અમુક ગુજરાતી પેસેન્જર્સે એરલાઈન પર કેટલાક ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.

    જૂન 18ની આ ઘટનાનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાની ઓળખ ડો. ગૌરાંગ જોષી તરીકે આપનારા એક ગુજરાતી એવું કહેતા સાંભળી શકાય છે કે ફ્લાઈટના ડિપાર્ચરની આગલી રાતથી જ તેમને ફ્લાઈટ મોડી હોવાના ઈમેલ અને મેસેજ મળવાનું શરૂ થઈ ગયું હતું.

    આ ફ્લાઈટ ટોરન્ટો એરપોર્ટ પરથી બપોરે એક વાગ્યે ટેક-ઓફ થવાની હતી પરંતુ પેસેન્જર્સને છેક સાંજે સાત વાગ્યે ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા.

    ફ્લાઈટ ગેટ પરથી ડિપાર્ચર માટે બહાર નીકળી ત્યારબાદ તેને પોણો કલાક સુધી ઉભી રખાઈ હતી અને તેને દોઢ કલાકે ફરી ગેટ પર લાવવામાં આવી હતી.

    ત્યારબાદ પેસેન્જર્સે ફ્લાઈટ ટેક-ઓફ કેમ નથી થઈ રહી તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ક્રુ મેમ્બર્સે ટેકનિકલ ફોલ્ટને કારણે ટેક-ઓફમાં મોડું થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

    જોકે, ખરેખર શું ફોલ્ટ હતો તેની કેબિન ક્રુને પણ કોઈ જાણ નહોતી, આ દરમિયાન અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખતા આ ફ્લાઈટમાં કેટલાક સવાર ગુજરાતી પેસેન્જર્સે પોતાનો પ્રવાસ પડતો મૂકવાનું નક્કી કરતાં પોતાને ડીપ્લેન કરી દેવા અને ટિકિટના પૈસા પાછા આપવા માટે ફ્લાઈટ મેનેજર સાથે વાત કરી હતી.

    પેસેન્જર્સનો આક્ષેપ છે કે ફ્લાઈટ મેનેજરે તેમને ટિકિટ ફેર રિફંડ નહીં મળે તેવી વાત કરતા પોતાની જવાબદારીએ ડીપ્લેન થવા માટે કહી દીધું હતું. કોઈ રિસ્ક ના લેવા માગતા 15 જેટલા ગુજરાતી પેસેન્જર્સે ટિકિટના પૈસા પાછા ના અપાય તો પણ પ્રવાસ પડતો મૂકવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ફ્લાઈટ મેનેજરે ઉદ્વતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ પેસેન્જર્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

  • ભારત 140 કરોડ લોકોના નુકસાનને સ્વીકારવા તૈયાર નથી! અમેરિકા સાથેનો વેપાર સોદો અટકી ગયો

    ભારત 140 કરોડ લોકોના નુકસાનને સ્વીકારવા તૈયાર નથી! અમેરિકા સાથેનો વેપાર સોદો અટકી ગયો

    અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર પરની વાટાઘાટો અટકી ગઈ છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત મકાઈ અને સોયાબીન જેવા કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે જે ભારત સરકાર સ્વીકારવા તૈયાર નથી. આના કારણે, આગામી મહિનાઓમાં નિકાસકારોને વધઘટનો સામનો કરવો પડી શકે છે

    ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સોદો અટવાઈ ગયો છે. અમેરિકા તેના કેટલાક કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યું છે પરંતુ ભારત આ સ્વીકારી રહ્યું નથી. અમેરિકા ઈચ્છે છે કે ભારત મકાઈ અને સોયાબીન જેવા કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે. ભારત સરકાર એવા કરાર માટે તૈયાર નથી જે દેશના 140 કરોડ ગ્રાહકો અને ખેડૂતોને નુકસાન પહોંચાડે. આનુવંશિક રીતે સુધારેલા ખોરાક અંગે પણ ઘણી ચિંતાઓ છે.

    સૂત્રોનું કહેવું છે કે આના કારણે બંને દેશો વચ્ચેની વાતચીતમાં અવરોધ ઊભો થયો છે. જો 9 જુલાઈ સુધીમાં કોઈ નાની સમજૂતી ન થાય, તો ભારતીય ઉદ્યોગોને યુએસમાં 26% સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે.

    કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો 10% બેઝલાઇન ટેરિફ પૂરતો નથી. આ ટેરિફ બધા દેશો માટે છે. જ્યારે વાટાઘાટો શરૂ થઈ, ત્યારે ભારત સરકાર ઇચ્છતી હતી કે કાપડ, ચામડાની ચીજવસ્તુઓ, દવાઓ અને કેટલાક એન્જિનિયરિંગ સામાન અને ઓટો પાર્ટ્સ જેવા ઉત્પાદનો પર કોઈ કર ન લાગે.

    બીજી તરફ, અમેરિકન અધિકારીઓ ઇચ્છે છે કે આ કરાર ઝડપથી થાય. તેમણે ભારતને કહ્યું છે કે ટ્રમ્પ વહીવટ તાત્કાલિક શૂન્ય ટેરિફ પર જઈ શકે નહીં. ભારત ઇચ્છે છે કે એકવાર કરાર થઈ જાય, પછી અમેરિકા ભવિષ્યમાં કોઈ નવો કર લાદે નહીં.

    ઓપરેશન સિંદૂર :

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર બંધ કરી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ખોટું છે. આ અંગે ભારતમાં પણ નારાજગી છે. આનાથી વેપાર સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળી રહી નથી. સૂત્રો કહે છે કે ભારત સરકાર એવા કરાર માટે તૈયાર નથી જે દેશના 140 કરોડ ગ્રાહકો અને ખેડૂતોને નુકસાન પહોંચાડે. અમેરિકા ઇચ્છે છે કે કૃષિ ઉત્પાદનોને કરારમાં સામેલ કરવામાં આવે.

    એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે અમારા કૃષિ ક્ષેત્રને મોટા યુએસ ફાર્મમાંથી આયાત માટે ખોલી શકતા નથી. આપણે અત્યારે આ માટે તૈયાર નથી. સરકાર અગાઉ ઓછા ટેરિફ પર કેટલાક જથ્થાની આયાતને મંજૂરી આપવાનું વિચારી રહી હતી. સૂકા ફળો જેવા ઉત્પાદનોમાં બહુ સમસ્યા નથી પરંતુ સફરજનને લઈને પહેલાથી જ વિરોધ છે.

    અમેરિકા ભારતમાં મકાઈ અને સોયાબીનની નિકાસ કરવા માંગે છે. આમાંના મોટાભાગના આનુવંશિક રીતે સુધારેલા છે, જે ભારતીય નિયમો હેઠળ માન્ય નથી. અમેરિકા તેના ઉત્પાદનોને નો ૠખ સર્ટિફિકેટ આપવા તૈયાર નથી. તેના બદલે, તે સૂચવે છે કે કેટલાક મકાઈને ઇથેનોલમાં પ્રક્રિયા કરી શકાય છે અને તેનો ઉપયોગ મિશ્રણ કાર્યક્રમોમાં કરી શકાય છે. પરંતુ આ શક્ય નથી કારણ કે મિશ્રણ મર્યાદા પહેલાથી જ પહોંચી ગઈ છે.

    તેવી જ રીતે, સોયાબીનના કિસ્સામાં, તેને તેલમાં પ્રક્રિયા કરવાનું સૂચન કરવામાં આવે છે. પરંતુ આ કામ ભારતમાં જ કરવું પડશે જેથી ૠખ ઉત્પાદનો ભારતીય બજારમાં આવી શકે. આ ઉપરાંત, અમેરિકા ઇચ્છે છે કે તેના ઘણા અન્ય ઉત્પાદનો જેમ કે વાહનોને ઓછા ટેરિફ પર આયાત કરવાની મંજૂરી આપવામાં આવે.

    જો ટ્રમ્પ 9 જુલાઈના રોજ   ટેરિફ સસ્પેન્શન સમાપ્ત કરવાનો નિર્ણય લે છે, તો ભારતીય ઉદ્યોગો માટે મુશ્કેલીઓ વધશે.  આનું કારણ એ છે કે અમેરિકા ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર છે. જોકે, યુકે અને ઇયુ સાથેના વેપાર સોદાઓ કેટલાક અન્ય બજારો ખોલશે. પરંતુ આગામી મહિનાઓમાં નિકાસકારોને વધઘટનો સામનો કરવો પડશે. સરકાર પણ આ વાત સ્વીકારે છે.

  • શક્તિસિંહ ગોહિલનો ધડાકો, આજે મારો કોંગ્રેસ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે, મેં રાજીનામું આપી દીધું છે

    શક્તિસિંહ ગોહિલનો ધડાકો, આજે મારો કોંગ્રેસ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે, મેં રાજીનામું આપી દીધું છે

    શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું… કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ નિર્ણય, હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે

    આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતું પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલા aicc ને મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે.

    વિસાવદર અને કડીમાં કોંગ્રેસની હાર બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે આપેલી પ્રતિક્રિયામાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, aicc ને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું સોંપ્યું હોવાનું જણાવ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ આ હાર અંગે મનોમંથન કરશે.

    સાથે જ તેમણે નવા અને બદલાયેલા પ્રમુખ અંગે કહ્યું કે, જિલ્લા કક્ષાએ કાર્યકરોનો અવાજ શુ છે તે સાંભળી પ્રમુખ નક્કી કરવા કમિટી બની હતી. Aicc ના રિપોર્ટને મંજૂરી આપી હતી. સંગઠન સજ્જન અભિયાનમાં ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ પર લીધું. જિલ્લા કોંગ્રેસમાં 40 પ્રમુખોની નિમણૂંક થઈ.

    પક્ષ કે પરિવાર ને બધા નિર્ણય મંજુર ન હોય પણ આ નિર્ણયથી નવું બળ અને જોમ મળ્યું છે. સંગઠન સર્જનની નિટીમાં દર 3 મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીનું નિરીક્ષણ થશે તે જ રીતે કાર્યકરોને સાંભળવામાં આવશે. જે પ્રમુખ બદલાયા તેઓનો આભાર માનું છું. હિમતસિંહે નવા પ્રમુખનું સ્વાગત કર્યું.

    તેમણે કહ્યું કે, હારના કારણમાં નહિ પડું પણ જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યું. મારી કોઈ નબળાઈ રહી હોય શકે તેનો સ્વીકાર કરી મેં રાજીનામુ આપ્યું. હરિયાણા ની ચૂંટણી વખતથી જે માહોલ થયો તેની આ અસર છે. રાજકારણમાં કોઈ બાબત નક્કી ન હોય.

    શક્તિસિંહને અનુકૂળ પ્રમુખ ન આવ્યા તે વાત પર નિવેદન આપતા તેમણે કહ્યું કે પાર્ટીને ગમે તે મને ગમે. મારા જિલ્લામાં જે નામો આવ્યા તે વ્યાજબી નામ છે. કોંગ્રેસમાં દરેક મકમતાથી ઉમેદવાર અને કાર્યકર લડ્યા છે. પરિણામ નથી આવી શકયું તેનો સ્વીકાર કર્યો છે.

    મેં થોડા દિવસ પહેલા aicc ને મેં રાજીનામુ આપી દીધું હતું. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે. હાલ શૈલેષ પરમાર ચાર્જ સાંભળશે. આજથી 30 વર્ષ પહેલાં એવું થયું ત્યારે મંત્રી તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હાલ મારી પ્રમુખ તરીકે ને તમામ વસ્તુ સોંપી રહ્યો છું. પાર્ટીના તમામ ઉચ્ચ નેતાનો અને જનતાનો આભાર છે.

  • સૌરાષ્ટ્રમાં મેઘમહેર; જુનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં 1થી7 ઈંચ

    સૌરાષ્ટ્રમાં મેઘમહેર; જુનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં 1થી7 ઈંચ

    જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફલો: પોરબંદરના ઘેડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી: કેશોદ-માણાવદરમાં પાંચ ઈંચ

    સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે સવાર સુધી જુનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લામાં 1થી7 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડુતો હવે વાવણી કાર્ય માટે બિયારણ અને ખાતરની ખરીદી માટે તૈયારી હાથ ધરી છે.

    જુનાગઢના મેંદરડા, વંથલી, કેશોદ, માણાવદર, ભેંસાણ તાલુકામાં શ્રીકાર વર્ષાથી નદી-નાળા વહેતા થયા હતા. નદીઓમાં પુર આવ્યુ હતું. પોરબંદરના ઘેડ પંથકમાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. જયારે જામનગર જિલ્લાની જીવાદોરીસમો રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં ખેડુતો ખુશખુશાલ થયા છે.

    જામનગર

    જામનગર જિલ્લામાં રવિવારે વરસાદનો બીજો રાઉન્ડ થતાં વાતાવરણમાં ઠંડક સાથે વધુ 1થી7 ઈંચ જેટલો વરસાદ વરસતા જામનગરની જીવાદોરી સામે રણજીતસાગર ડેમ ઓવરફલો થયો અને જિલ્લાના કાલાવડ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.

    જિલ્લાના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં જામજોધપુર, ઝાલાવાડ, જોડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાલપુર 41 મી.મી., ધ્રોલ 16 મી.મી. વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક 1થી7 ઈંચ વરસાદ વરસતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે.

    પોરબંદર

    પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક 1થી5 ઈંચ વરસાદ 24 કલાક દરમિયાન નોંધાયો છે. રવિવારે પોરબંદરનાં માધવપુર ઘેડ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. માધવપુર મેળાનું ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થયુ હતુ.

    કુતિયાણા તાલુકા અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. રાણાવાવ પંથકમાં ત્રણ દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડુતો મગફળી અને સોયાબીનનુ બિયારણ અને ખાતરની ખરીદી શરૂ કરી છે.

    જુનાગઢ જિલ્લામાં પણ રવિવારે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. મેંદરડા 6, વંથલી, કેશોદ, માણાવદર પંથકમાં પાંચ ઈંચ, ભેંસાણ-વિસાવદર ચાર ઈંચ અને માંગરોળ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. કેશોદમાં ધોધમાર વરસાદથી પાંચ ઈંચ વરસાદ વરસતા ઉતાવળી નદીમાં પુર આવ્યુ હતું.

    બાંટવાના ખાસ ડેમમાં નવા નીર અને રસાલા ડેમ, વંથલીની મધુવંતી, ઉબેણ, શાબરી નદીઓ વહી હતી. જુનાગઢ જિલ્લામાં સર્વત્ર વાવણી લાયક વરસાદથી ખેડુતો ખુશ થયા છે.

  • મોરબીમાં તારીખ‌ ૨૫ના ‘સંવિધાન હત્યા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

    મોરબીમાં તારીખ‌ ૨૫ના ‘સંવિધાન હત્યા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

    ઈ‌.સ.૧૯૭૫માં અમલી થયેલ કટોકટીના ૫૦ વર્ષ તારીખ ૨૫-૬-૨૦૨૫ના રોજ પૂર્ણ થતા લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી મોરબી ખાતે ‘સંવિધાન હત્યા’ દિવસ સવારે ૧૦:૦૦ કલાકે વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા યોજાશે.

    આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર   કે. બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી જેમાં સંવિધાન હત્યા દિવસે રેલી પ્રદર્શન સહિતના આયોજનની જવાબદારી સંબંધિત અધિકારીઓને સોંપાઈ હતી તેમજ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થશે‌.

    આ તકે અધિક નિવાસી કલેક્ટર   એસ.જે. ખાચર, નાયબ મ્યુનિસિપલ કમિશનર  કુલદીપસિંહ વાળા, ડી.આર.ડી.એ. નિયામક  નવલદાન ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા‌.

  • મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

    મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

    મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની પેટા /મધ્ય સત્ર /સામાન્ય ચૂંટણી – ૨૦૨૫ અન્વયે આગામી ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મતગણતરી કરવામાં આવશે

    મોરબી ગ્રામ્ય તાલુકાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે, માળીયા (મી) તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ નાની બરાર ખાતે, ટંકારા તાલુકાની મતગણતરી ગ્રાઉન્ડ ફ્લોર, જમણી સાઈડ રૂમ નંબર ૧ અને ૨ તથા ડાબી સાઇડ પ્રાર્થનાખંડ, ઓરપેટ કન્યા છાત્રાલય કેમ્પસમાં આવેલ   રેવીબેન ઓધવજીભાઈ વિમેન્સ કોલેજ ખાતે, વાંકાનેર તાલુકાની મતગણતરી અમરસિંહજી હાઇસ્કુલના પ્રથમ માળ સભાખંડ ખાતે તથા હળવદ તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ હળવદ ખાતે કરવામાં આવનાર છે.

    આ મતગણતરી કેન્દ્રો ખાતે તારીખ ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહીં તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી, IAS દ્વારા મતગણતરી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં વિવિધ કૃત્ય પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અમલમાં મૂકવામાં આવ્યું છે.

    ૧.  આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈશ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ્સ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશપાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.

    ૨.  મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં.

    ૩ . કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ સહિતના પ્રીમાઇસીસમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

    ૪.  ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશપાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.

    ૫.  મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઇસ્યુ કરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારી ને અધિકૃત કરવામાં આવે છે.

    ૬.  મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારી એ નક્કી કરેલ પાર્કિંગ સ્થળે જ વાહન પાર્કિંગ કરવાનું રહેશે.

    આ જાહેરનામાના મુદ્દા નંબર ૨, ૩ અને ૬ અંગે મતગણતરી તેમજ મત ગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી કર્મચારી ઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારી /કર્મચારીઓ તથા ફરજ પરના પોલીસ એસઆરપી હોમગાર્ડના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.

  • મોરબીમાં બનશે આધુનિક જિલ્લાકક્ષાની નવી જેલ : 550 કેદીની ક્ષમતાવાળી જેલ માટે અમરેલી ગામે જમીન ફાળવાઈ

    મોરબીમાં બનશે આધુનિક જિલ્લાકક્ષાની નવી જેલ : 550 કેદીની ક્ષમતાવાળી જેલ માટે અમરેલી ગામે જમીન ફાળવાઈ

    મોરબીથી ત્રણેક કિમી દૂર અમરેલી ગામમાં જેલ માટે ૩૨ એકર  જમીનની ફાળવણી જિલ્લા કલેકટર દ્વારા કરાઇ

    રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં આધુનિક સુવિધાઓથી યુક્ત જિલ્લાકક્ષાની નવી જેલ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની સબ જેલ જે 1954માં માત્ર 84 કેદી ધરાવતી ક્ષમતા સાથે શરૂ કરાઈ હતી, તેમાં હવે કેદીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2017માં તેનું સમર્થન વધારીને 171 (143 પુરૂષ અને 28 મહિલા કેદી) કરવામાં આવ્યું હતું. હવે આગામી 50 વર્ષ માટે કેદીઓની સંખ્યાની આવક-જાવકને ધ્યાને લઈને, નવી જેલ 550 કેદીની ક્ષમતા સાથે નિર્માણ પામશે.

    કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે નવા જેલ માટે મોરબીથી ત્રણ કિમી દૂર આવેલ અમરેલી ગામે સર્વે નં. 199માંથી 5-22-70 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. અહીં જેલની આધુનિક સુવિધાઓ સાથે સાથે કેદીઓ માટે રહેણાક, મનોરંજન, હરવા-ફરવા માટે ખુલ્લી જગ્યા, તાલીમ અને રોજગારલક્ષી ઉદ્યોગો પણ હાથ ધરવામાં આવશે.

    જિલ્લા જેલર ડી.એમ. ગોહિલે જણાવ્યુ હતું કે કેદીઓની વધતી જતી સંખ્યાને જોતા છેલ્લા કેટલાય વર્ષથી નવી જેલની માંગણી કરવામાં આવી રહી હતી. આ સંબંધમાં જિલ્લા જેલ કમિટિએ પણ દરખાસ્ત આપી હતી. હવે સરકાર દ્વારા મંજૂરી મળતા, મોરબી માટે આ મોટો વિકાસ બની રહેશે.

    નવી જેલમાં 500 પુરૂષ અને 50 મહિલા કેદીઓ માટે જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેલના સ્ટાફ માટે પણ આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

    જિલ્લા જેલ કમિટિમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ, વરિષ્ઠ મહિલા ન્યાયિક અધિકારી અને જેલ અધિક્ષક સહિતના સભ્યો જોડાયેલા છે.

    આ નિર્ણયથી ઓવરક્રાઉડ જેવી સમસ્યાનું નિરાકરણ થશે તેમજ કેદીઓના માનવ અધિકાર અને પુનર્વાસના અભિગમને સાકાર કરતો મહત્વનો પગથિયો સાબિત થશે.

  • વ્રજ હોસ્પિટલ દ્વારકામાં માઇનોર ઓપરેશનનો ફ્રી કેમ્પ

    વ્રજ હોસ્પિટલ દ્વારકામાં માઇનોર ઓપરેશનનો ફ્રી કેમ્પ

    વ્રજ હોસ્પિટલ દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણીના જ્યેષ્ઠ પુત્ર શ્રેષ્ઠ ના વિદ્યારંભના શુભ અવસરે તથા કાનાણી પરિવારમાં નવા સદસ્યના આગમનની ખુશીના અવસરે તદ્દન ફ્રી માં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ પ્લાસ્ટિક સર્જન ડો. નઈમ સાયરા તથા આપણા લોકલાડીલા ડો. સાગર કાનાણી દ્વારા તલ મસા કપાસી જેવા તમામ માઇનોર ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે. આ કેમ્પમાં નિદાન, રીપોર્ટ, સારવાર તથા ઓપરેશન અને પાંચ દિવસની દવા સંપૂર્ણપણે ફ્રી માં આપવામાં આવશે. કોઈપણ જાતનો ચાર્જ કે ફી લેવામાં આવશે નહીં સંપૂર્ણ ફ્રી કેમ્પ છે.

    આ મેગા મેડિકલ ફ્રી કેમ્પના મુખ્ય મહેમાન દ્વારકા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પબુભા માણેક છે અને તેમના વરદ હસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના કાર્ડની જરૂર નથી. આ ફ્રી કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને ડોક્ટર સાગર કાનાણી અપીલ કરેલ છે

    તારીખ: 29-6-2025 રવિવાર, સ્થળ વ્રજ હોસ્પિટલ, ન્યારા પેટ્રોલ પંપ પાસે, સનાતન રોડ, દ્વારકા, અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ડોક્ટર સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠ ના બર્થ ડે દર વર્ષે નિશુલ્ક માઇનોર ઓપરેશન કેમ્પનું આયોજન કરી ને ઉજવે છે ઉપરાંત વ્રજ હોસ્પિટલ દ્વારકા ખાતે દરરોજ નિદાન યજ્ઞ ચલાવે છે જેનો આજ સુધી દોઢ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.

  • બે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહી

    બે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહી

    ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હાલમાં, રાજ્યમાં કુલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ લાવવા માટે જવાબદાર બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વરસાદ લાવનારી મુખ્ય સિસ્ટમ્સમાં આગામી બે દિવસ બાદ ઝારખંડમાં સક્રિય થનારી લો પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત, અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને ઉત્તર ગુજરાત તરફથી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. આ બંને સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવથી ગુજરાતના વિવિધ ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં, સારો વરસાદ જોવા મળશે.

    હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ખેડૂતોને વાવણી માટે યોગ્ય માહોલ મળશે અને જળસંગ્રહમાં પણ વધારો થશે. શહેરી વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

    હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરી છે. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે, ખાસ કરીને શરૂૂઆતના બે દિવસ એટલે કે આગામી 48 કલાક દરમિયાન વરસાદનું જોર ઓછું રહેશે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    વરસાદની સંભાવનાને પગલે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ પગલું સંભવિત ખરાબ હવામાનથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

    આજે એટલે કે જૂન 21 ના રોજ પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

    રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જે લોકોને ગરમીથી થોડી રાહત આપી શકે છે.

  • મોરબી મહાનગરપાલિકાને ફાયર ફાઈટીંગ માટે મળ્યા નવા ૨ ટર્ન ટેબલ લેડર વાહન

    મોરબી મહાનગરપાલિકાને ફાયર ફાઈટીંગ માટે મળ્યા નવા ૨ ટર્ન ટેબલ લેડર વાહન

    મોરબી: મોરબી મહાનગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા ફાયર ફાઈટીંગ માટે ૨ ટર્ન ટેબલ લેડર વેહિકલ ફાળવવામાં આવી છે. તા. ૧૮/૦૬/૨૦૨૫ના રોજ આ વાહન મોરબી મહાનગરપાલિકાને હસ્તાંતરિત કરવામાં આવ્યું છે. આ નવા સાધનના સમાવેશે મહાનગરપાલિકાની અગ્નિશામન સુવિધાઓને વધુ સક્ષમ અને ઝડપી બનાવશે.

    આ ટેબલ લેડર વાન એક પ્રકારનું ફાયર ફાઈટીંગ વાહન છે, જે ઉંચી ઇમારતોમાં આગ બૂઝાવવાનું કાર્ય કરે છે. તેમાં રોટેટિંગ પ્લેટફોર્મ હોય છે, જેના ઉપર લેડર લગાવવામાં આવે છે. અંદાજે ૨૧ મીટરની લંબાઈ ધરાવતું આ લેડર લગભગ ૮ માળ જેટલી ઊંચાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે.

    આ વાહનમાં ૩૫૦ લીટરની વોટર ટેન્ક અને બે હાઈ પ્રેશર ફાયર ફાઈટિંગ લાઈનો સાથેથી આગ બુઝાવવાનું કાર્ય સુસજ્જ રીતે કરવામાં આવી શકે છે. લેડર સાથે સુરક્ષિત રીતે લોકોના રેસ્ક્યુ માટે લોડ ક્ષમતા પણ ઉપલબ્ધ છે. આ વાહનનો ઉપયોગ મોનિટર અથવા પંપ સપોર્ટેડ નોઝલ દ્વારા પાણીના જોરદાર પ્રવાહ માટે પણ થઈ શકે છે.

    આ પ્રકારનું આધુનિક વાહન ખાસ કરીને ઉંચી ઇમારતોમાં લાગેલી આગ સામે કામ કરવા, ફસાયેલા લોકોને બહાર લાવવા અને ગીચ વિસ્તારોમાં સરળતાથી પાણી છાંટવા માટે ઉપયોગી છે. તેનું નિયંત્રણ હાઇડ્રોલિક સિસ્ટમથી કરવામાં આવે છે, જેથી વધુ અસરકારક કામગીરી શક્ય બને છે.

    અગ્નિશામક વિભાગે જાહેરને અપીલ કરી છે કે કોઈ પણ ઇમરજન્સી ઘટનામાં તરત મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ૦૨૮૨૨-૨૩૦૫૫૦ અથવા ૧૦૧ ઉપર સંપર્ક કરવા.