Category: All

  • મોરબી મેડિકલ કોલેજમાં EPIBLAST 2025 સ્પર્ધા: વિજેતાઓને સન્માનિત કરાયા

    મોરબી મેડિકલ કોલેજમાં EPIBLAST 2025 સ્પર્ધા: વિજેતાઓને સન્માનિત કરાયા

    મોરબી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

     જેના ભાગરૂપે પ્રથમ એમબીબીએસ વર્ષ અને બીજા એમબીબીએસ વર્ષના વિદ્યાર્થીઓએ રંગોળી કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

    ઉપરાંત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ એનેટોમીના બોડી પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે મેડિકલ કોલેજના પ્રથમ અને બીજા વર્ષના તબીબો દ્વારા

    પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓને ઇનામ આપી અને ઉત્સાહ વધારયો હતો. આ પ્રવૃત્તિ દ્વારા તબીબોએ ગમ્મત સાથે અઘરા વિષયની સહજ રીતે સમજ કેળવાય એવા પ્રયત્ન કર્યા હતા.

  • ગુજરાતમાં 25 જૂન સુધી આંધી-તોફાન સાથે મેઘરાજા મચાવશે તાંડવ! 18 જિલ્લા માટે ભારે વરસાદનું એલર્ટ

    ગુજરાતમાં 25 જૂન સુધી આંધી-તોફાન સાથે મેઘરાજા મચાવશે તાંડવ! 18 જિલ્લા માટે ભારે વરસાદનું એલર્ટ

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મુશળધાર તો ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યમાં દરેક જગ્યાએ NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. જાણો IMDનું અપડેટ શું છે.

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ સર્વત્ર સતત વરસાદ પડી રહ્યો છે. જો કે, સામાન્ય લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, IMDએ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ પણ આપી છે અને કેટલાક ભાગોમાં વીજળી પણ પડી છે. બીજી તરફ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

    રાજ્યમાં થોડા દિવસોથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. આને કારણે સર્વત્ર હળવો વરસાદ પડી રહ્યો છે. હાલ માટે IMDએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે અને જો કોઈ કામ ન હોય તો બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપી છે.

    હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાકમાં અમદાવાદ, ખેડા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સતત વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છનો સમાવેશ થાય છે. વરસાદને કારણે ભાવનગર, મોરબી, અમરેલીના ગામડાઓમાં વીજળીનો અભાવ હોવાથી સમસ્યા વધી ગઈ છે.

    હવામાન વિભાગે 19 જૂને રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે, જેમાં ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    હવામાન વિભાગે 21 જૂન માટે 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, સુરત, બનાસકાંઠા, પાટણ, વડોદરા જેવા શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. જ્યારે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં રચાયેલા ઓછા દબાણવાળા ક્ષેત્ર અને સંકળાયેલ વાયુ ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે.

    હવામાન વિભાગે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. IMDએ જણાવ્યું કે, 25 જૂન સુધી આંધી તોફાન સાથે ભારે વરસાદના આગાહી છે. હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન દાહોદ, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને ડાંગ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

    18 વર્ષ બાદ માત્ર 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગુજરાતને સર કર્યું છે. ધમાકેદાર વરસાદ સાથે 16 જૂને પ્રવેશેલા ચોમાસાએ 17 જૂને સમગ્ર ગુજરાતને આવરી લીધું હતું. આ અગાઉ 2007માં 24 જૂને રાજ્યમાં ચોમાસાનું પ્રવેશ્યું હતું, અને 26 જૂને ગુજરાતને સર કરી લીધું હતું. ચાલુ ચોમાસે રાજ્યમાં સરેરાશ 882 મીમી (સવા 35 ઇંચ) વરસાદની જરૂરીયાત છે. છેલ્લા 4 દિવસના એકધારા વરસાદના કારણે રાજ્યમાં સરેરાશ 92.39 મીમી (સાડા 3 ઇંચથી થોડો વધુ) વરસાદ થઈ ગયો છે. એમ કે સિઝનનો 10.46% વરસાદ મળી ચૂક્યો છે.

  • ઈરાન જ નહીં ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયો માટે પણ ઓપરેશન સિંધુ ચલાવશે સરકાર

    ઈરાન જ નહીં ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયો માટે પણ ઓપરેશન સિંધુ ચલાવશે સરકાર

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધુ ગંભીર રૂપ લઈ રહ્યું છે. એવામાં ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બચાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. જે હેઠળ ભારતીયોનો પહેલો જથ્થો પરત આવી પણ ગયો છે. હવે સરકારે જાહેરાત કરી છે કે ઈરાનની સાથે સાથે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર મદદ કરશે.

    કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે ભારતીયો ઈઝરાયલ છોડી સ્વદેશ પરત આવવા માંગે છે તેમને મદદ કરવામાં આવશે. ઈઝરાયલમાં રહેતા ભારતીયોને પહેલા સરહદના રસ્તે કોઈ સુરક્ષિત સ્થાન પર લઈ જવાશે અને પછી ત્યાંથી વિમાન મારફતે ભારત લાવવામાં આવશે.

    ભારતીય વિદેશ મંત્રાલયએ સત્તાવાર નિવેદન આપી કહ્યું છે, કે ‘ઈઝરાયલ છોડવા માંગતા ભારતીયોને ત્યાંથી રેસ્ક્યૂ કરવામાં આવશે.’ સ્વદેશ પરત આવવા માંગતા ભારતીયોએ જો તેલ અવિવ સ્થિત ભારતીય એમ્બેસીમાં નોંધણી ન કરાવી હોય તો પહેલા તે કરાવવાની રહેશે. રજિસ્ટ્રેશન તથા ગમે તે અન્ય કોઈ મૂંઝવણને લઈને કોઈ સવાલ હોય તો એમ્બેસીના કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકશે.

    તેલ અવિવ સ્થિત ભારતીય એમ્બેસીના ટેલિફોન નંબર: +972 54-7520711, +972 54-3278392

    નોંધનીય છે કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થયો તે બાદ પણ ભારતીય વિદેશ મંત્રાલય તથા એમ્બેસી દ્વારા ત્યાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરીને સાવચેત રહેવાની સલાહ આપી હતી તથા ઈરાનનું તેહરાન શહેર છોડવા માટે સલાહ આપી હતી.

    વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર ઈઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાનમાં 639 લોકોના મોત થયા છે જેમાં 263 સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. બીજી તરફ ઈરાને ઈઝરાયલ પર અત્યાર સુધી સેંકડો ડ્રોન અને 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે.

  • ઈમરજન્સીમાં પ્લેનથી અલગ થઈ જશે પેસેન્જર કેબિન, બચી શકશે લોકોના જીવ; આ દેશના એન્જિનિયરે રજૂ કરી ડિઝાઇન

    ઈમરજન્સીમાં પ્લેનથી અલગ થઈ જશે પેસેન્જર કેબિન, બચી શકશે લોકોના જીવ; આ દેશના એન્જિનિયરે રજૂ કરી ડિઝાઇન

    12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટેક-ઓફ અગાઉ વિમાનમાં 1.25 લાખ લીટર ઇંધણ ભરવામાં આવ્યું હતું, જેના કારણે ક્રેશના સમયે વિસ્ફોટ થઈ ગયો અને બધું બળીને રાખ થઈ ગયું. આમ તો હવાઈ યાત્રાને સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે, પરંતુ સમય સમય પર તેની સેફ્ટીને લઈને સવાલ ઉઠતા રહે છે.

    હવે યુક્રેનના એક એરોસ્પેસ એન્જિનિયર, તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચે પ્લેનની એક એવી ડિઝાઇન તૈયાર કરી છે, જેમાં ઈમરજન્સીની સ્થિતિમાં પેસેન્જર કેબિનને વિમાનથી અલગ કરી શકશે છે અને લોકોના જીવ બચી જશે. તાતારેન્કોએ આ ડિઝાઇન 3 વર્ષ કરતા વધુ સમયની મહેનત બાદ તૈયાર કરી હતી.

    તેને વર્ષ 2016માં લોકો સામે રજૂ કરવામાં આવી હતી. તેમણે એક કોન્સેપ્ટ એરક્રાફ્ટ તૈયાર કર્યું છે, જેમાં પેસેન્જર કેબિન ડિટેચેબલ છે. એ મુજબ, ટેક-ઓફ, ઉડાણ દરમિયાન અથવા લેન્ડિંગના સમયે જો વિમાનમાં કોઈ ઈમરજન્સી આવી જાય, તો પેસેન્જર કેબિન અલગ થઈ જશે.

    આ પેસેન્જર કેબિનમાં એક પેરાશૂટ લાગેલું હશે, જે ઓટોમેટિક ખૂલી જશે અને પેસેન્જર કેબિન ધીમે-ધીમે નીચે ઉતરવા લાગશે. જો આ કેબિન પાણીમાં પડ્યું, તો તેમાં લાગેલું ઇન્ફ્લેટેબર ટ્યૂબ તેને તરતા રહેવામાં મદદ કરશે. પેસેન્જરના સામાન માટે પણ પ્લેનમાં વિશેષ વ્યવસ્થ કરવામાં આવશે.

    યુક્રેનિયન આવિષ્કારક અને એરોસ્પેસ એન્જિનિયર તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચનો તર્ક છે કે હ્યુમન એરરને કંટ્રોલ નહીં કરી શકાય, પરંતુ તેના માટે તૈયારીઓ કરી શકાય છે. આ કેબિન કેવલર અને કાર્બન ફાઇબરથી બનશે, જે હલકું તો હશે જ, પરંતુ ખૂબ જ મજબૂત પણ હશે.

    હવે આ ડિઝાઇને એક નવી બહેસ છેડી દીધી છે કે, વિમાનોમાં આવી વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં. ડિઝાઇનના ટીકાકારોનું માનવું છે કે અલગ કેબિનને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા નથી, એટલે તે પર્વતો, વસ્તીવાળા વિસ્તારો અથવા જંગલોમાં પડી શકે છે.

    કેટલાક લોકો પાઇલટની ચિંતા ન કરવા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે, ઘણા સમર્થક તેને એક શાનદાર ડિઝાઇન કહી રહ્યા છે અને તેના માટે વધુ કિંમતની ટિકિટ ખરીદવા માટે પણ રાજી છે.

    જોકે, આ ડિઝાઇન કેટલી પ્રેક્ટિકલ હશે, તે ભવિષ્યમાં ખબર પડશે. વિમાનનું નિર્માણ પહેલાથી જ મોંઘુ છે. એવામાં, જો આ સિસ્ટમને ઇન્ટગ્રેટ કરવામાં આવે, તો કિંમત હજી વધી શકે છે. તાતારેન્કોએ પોતાની ડિઝાઇનનો રિયલ પ્રોટોટાઇપ બનાવવા માટે રોકાણકારની શોધ શરૂ કરી છે, પરંતુ એરબસ કે બોઇંગ જેવી કોઈ મોટી કંપની તેમાં સામેલ થવાની સંભાવના ખૂબ ઓછી છે. તાતારેન્કોનું કહેવું છે કે તેઓ પાઇલટ માટે પણ કોઈ સોલ્યૂશન વિચારી રહ્યા છે.

  • ૨૧ જૂને મોરબી જિલ્લો બનશે યોગમય; જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા/નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમો યોજાશે

    ૨૧ જૂને મોરબી જિલ્લો બનશે યોગમય; જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા/નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમો યોજાશે

    મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવા બાબત જિલ્લા કલેક્ટર  કિરણ બી. ઝવેરીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદ અન્વયે સર્વે જિલ્લાવાસીઓને ૨૧ જૂનના રોજ વહેલી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગની દૈનિક જીવનનો ભાગ બનાવવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.

    સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉર્જા અને ઉત્સાહ સાથે કરવામાં આવનાર છે. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જેમાં અંદાજિત ૨૫૦૦ જેટલા લોકો સહભાગી બનશે. મોરબી મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મણીમંદિર ખાતે યોજાશે જેમાં પણ અંદાજિત ૧૦૦૦ જેટલા લોકો સહભાગી બની છે.

    તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોમાં ટંકારા તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ   એમ.પી. દોશી હાઇસ્કુલ ખાતે, માળીયા (મી) તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે, હળવદ તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે અને વાંકાનેર તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નગરપાલિકા મેદાન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રત્યેક કાર્યક્રમ દીઠ ૧૦૦૦ લોકો મળી ૪૦૦૦ હજાર લોકો સહભાગી બનશે.

    ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી ૭૫૩ શાળાઓ, જિલ્લાની વિવિધ કોલેજ, ૩ સીએચસી, ૩૦ પીએચસી, ૩૫૦ ગ્રામ પંચાયત ઉપરાંત સરકારી બગીચાઓ, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટર  કિરણ બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

  • ­­­­­­મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ

    ­­­­­­મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ

    રાજ્યની ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ ૨૦૨૫ અન્વયે મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રવિવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજનાર છે.

    ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને

    મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા મોરબી મદદનીશ શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું છે.

  • ગુજરાતમાં એકસાથે 13 IAS અધિકારીઓની બદલી, જાણો કોને કયો ચાર્જ સોંપાયો?

    ગુજરાતમાં એકસાથે 13 IAS અધિકારીઓની બદલી, જાણો કોને કયો ચાર્જ સોંપાયો?

       ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રમત ગમત અને યુવા સાંસ્કૃતિક તરીકે બદલી કરાઈ છે. જ્યારે એમ. થેનારશનને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. 

    રાજ્યના 9 IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 9 માંથી 3 અધિકારીઓને બદલી સાથે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 4 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોપાયો છે. IAS અશ્વિની કુમારની શહેરી વિકાસ વિભાગમાંથી બદલી કરવામાં આવી છે. અશ્વિની કુમારને રમતગમત યુવા-સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે.

    રમેશચંદ મીણા બંદરો અને પરિવહન વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે. એમ. થેન્નારસન શહેરી ગૃહનિર્માણ વિભાગમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવની બદલી કરાઈ છે. જ્યારે મિલિંદ તોરવણેની મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં બદલી કરાઈ છે. મિલિંદ તોરવણેને પંચાયતો, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે.

    જેનુ દેવનને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમજ રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમ ઓફ ગુજરાત લિમિટેડના MD તરીકે બદલી કરાઈ છે. જૂનાગઢ મનપા કમિશનરને રાજકોટ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. રાજકોટના નવા કલેક્ટર ડો. ઓમપ્રકાશ બન્યા છે. જ્યારે તેજસ પરમાર જૂનાગઢના નવા મનપા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે આશિષ કુમાર ગાંધીનગરના આદિજાતિ વિકાસ નિયામક તરીકે બદલી કરવામાં આવી છે.

    સુપ્રીત સિંહ ગુલાટી IASની બદલી થયા બાદ, આશિષ કુમાર, આગામી આદેશ સુધી D-SAG  ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદનો વધારાનો હવાલો સોપાયો. ડાંગ-આહવા જિલ્લા વિકાસ અધિકારી સુથાર રાજ રમેશચંદ્રની બદલી કરવામાં આવી છે. તેમને નર્મદા-રાજપીપળા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અંકિત પન્નુની જામનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે પાટિલ આનંદ અશોકને ડાંગ-આહવાના જિલ્લા વિકાસ અધિકારી પદનો વધારાનો હવાલો સોપાયો છે.

  • ચોમાસાએ સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતનો મોટાભાગના વિસ્તાર ‘કવર’ કરી લીધો : હજુ સક્રીય રહેશે

    ચોમાસાએ સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતનો મોટાભાગના વિસ્તાર ‘કવર’ કરી લીધો : હજુ સક્રીય રહેશે

    નૈઋત્ય નવેસરથી સક્રીય થયા બાદ ફરી કુદકા મારતુ ઝડપભેર આગળ વધવા લાગ્યુ હોય તેમ આજે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર થઈ ગયા હોવાનું જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કહ્યુ છે.

    તેઓએ આજે કહ્યું કે, ચોમાસાની ઉતરીય પાંખ હવે ડીસા પાસેથી પસાર થઈ રહી છે. જે કચ્છના મોટાભાગને કવર કરી રહી છે. ડીસા 24.4 નોર્થ પર છે જયારે કચ્છ 24.7 પર છે. આમ હવે માત્ર કચ્છનો નાનકડો ભાગ તથા ડીસા-પાલનપુરથી રાજસ્થાન બોર્ડર સુધીનો ભાગ જ બાકી રહી ગયો છે.

    બાકીના રાજયના તમામ ભાગો કવર થઈ ગયા છે. બે દિવસમાં સમગ્ર ગુજરાત, અરબી સમુદ્ર, વિદર્ભ, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઓડીશાને કવર કરશે. ચોમાસુ રેખા ડીસા, ઈન્દોર, પંચમઢી, મંડલા, અંબિકાપુર, હઝારીબાગ તથા સુપૌલ પરથી પસાર થાય છે.

    ગુજરાતમાં ચોમાસુ હજુ સક્રિય રહેવાની સંભાવના દર્શાવતા તેમણે કહ્યું કે ગુજરાત રીજીયન તથા આસપાસના વિસ્તારોમાં લો-પ્રેસર સર્જાયેલુ છે તે આવતા ચોવીસ કલાકમાં મોટાભાગે ઉતરદિશામાં આગળ વધવાની સંભાવના છે.

    આ સિવાય દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને ગેંગેરિક પશ્ચિમ બંગાળમાં રહેલુ લો-પ્રેસર પણ યથાવત છે. જો પશ્ચિમ-ઉતરપશ્ચિમ તરફ ગતિ કરીને આવતા 24 કલાકમાં વધુ મજબૂત થવાની સંભાવના છે.

  • મોરબી ખાતે યોજાયેલી અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તરફથી ટ્રોફી વિતરણ

    મોરબી ખાતે યોજાયેલી અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તરફથી ટ્રોફી વિતરણ

    મોરબી ખાતે આવેલ રીઅલ ક્રિકેટ એકેડેમી ખાતે અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી અને બરોડાની ટીમો વચ્ચે જોરદાર મુકાબલો યોજાયો હતો. ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને વધારતા એવા આ ટુર્નામેન્ટના અંતે વિજેતા અને ઉત્કૃષ્ટ ખેલાડીઓને ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તરફથી ટ્રોફી અને બિરુદ અપાઈ હતી.

    આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને આત્મવિશ્વાસ અને ઉત્સાહ આપતા સંદેશો આપ્યા હતા. યુવા પ્રતિભાઓને ઓળખી અને પ્રોત્સાહિત કરવાનો આશય સાથે આ પ્રકારની પ્રવૃતિઓ યુવા પ્રતિભાને બહાર લાવવા અનિવાર્ય હોય છે તેવો મત પણ ઉપસ્થિત મહેમાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  • મતદાનના ૪૮ કલાક પહેલાથી ચૂંટણી પ્રચાર માટે સભા ભરવા કે કોઈપણ કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ

    મતદાનના ૪૮ કલાક પહેલાથી ચૂંટણી પ્રચાર માટે સભા ભરવા કે કોઈપણ કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ

    ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. મોરબી જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે.

    ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫ માં મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પૂરા થતા ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

    મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન તારીખ ૨૨/૦૬/૨૦૨૫ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી થનાર છે તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે ૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

    આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં તારીખ ૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી સંબંધમાં કોઈ જાહેર સભા બોલાવશે નહીં /યોજશે નહીં /સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં.

    સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન એલઇડી અથવા આવા અન્ય સાધનોની સાહિત્ય ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહ ભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઈરાદા વાળી કોઈ પ્રવૃત્તિ કરશે નહીં. આ હુકમનો ભંગ ભારતીય ન્યાય સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે..