ભાવવધારાની ગંધ કે સ્ટોક ખલાસ? રાત્રે 10 વાગ્યે જ અર્ધોડઝન પેટ્રોલ પંપો બંધ

સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક ભાગોમાં કેટલાક દિવસોથી ડીઝલનો દેકારો ચાલી રહ્યો છે તેવા સમયે રાજકોટમાં પણ અનેક પેટ્રોલ પંપો વહેલા બંધ થઇ જતાં હોવાથી રાત્રે સ્થાનિક વાહનચાલકોને ભટકવાનો વખત આવતો હોવાનો વ્યાપક ઉહાપોહ શરુ થયો છે. જો કે પુરવઠા વિભાગના સુત્રોએ એવો દાવો કર્યો હતો કે તંત્રને આવી કોઇ ફરિયાદો મળી નથી.

ટ્રાન્સપોર્ટ એસોસીએશન તથા વેપારી સુત્રોએ જણાવ્યું હતું કે રાજકોટમાં રૈયા રોડથી માંડીને ગોંડલ રોડ અને જુદા-જુદા વિસ્તારોમાં કેટલાક પેટ્રોલપંપો રાત્રે 10 વાગ્યાના અરસામાં જ બંધ કરી દેવામાં આવે છે. ડીઝલનો તો દેકારો ઉભો જ છે. પરંતુ પેટ્રોલ માટે પણ વાહન ચાલકોને એક થી બીજી જગ્યાએ ભટકવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે.

ગઇકાલે રાત્રે આવા અડધો ડઝન જેટલા પેટ્રોલપંપો રાત્રે 10 વાગ્યા આસપાસ બંધ થઇ ગયા હોવાની બુમરાળ ઉભી થઇ હતી. એવો પણ સવાલ ઉઠવા લાગ્યો છે કે પેટ્રોલ પંપ ખુલ્લા રાખવાના નિયમોનો ભંગ થતો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કદમ ઉઠાવવામાં આવતા નથી. ડીઝલ મામલે તો ટ્રાન્સપોર્ટરોથી માંડીને ખેડૂતો હેરાન થઇ જ રહ્યા છે. પરંતુ પેટ્રોલ પંપો વહેલા બંધ થઇ જવાની પરિસ્થિતિ ચાલુ રહેવાના સંજોગોમાં ડીઝલની જેમ પેટ્રોલમાં પણ લોકોને ભટકવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

આ મામલે પુરવઠા વિભાગનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ વહેલા બંધ થઇ જતા હોવાની કે ઇંધણ મળતું ન હોવાની કોઇ ફરિયાદો મળી નથી. રાજકોટમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત સ્ટોક છે અને અછતની કોઇ વાત નથી.

























