
ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષણ માળખાને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા સરકારી આદેશ અનુસાર, મુખ્ય શિક્ષકોને (એચ-ટાટ) અન્ય શાળાઓનો વધારાનો ચાર્જ સોંપવાની પ્રક્રિયામાં મોટા ફેરફારો અમલી બનાવવામાં આવ્યા છે

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના વહીવટ અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં સુધારો લાવવાના હેતુથી એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે મુખ્ય શિક્ષકોને (Head Teachers) અન્ય શાળાઓનો વધારાનો ચાર્જ સોંપવા બાબતે એક નવો અને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે.

આ પરિપત્રમાં કરવામાં આવેલા સુધારા સીધી રીતે મુખ્ય શિક્ષકોની કાર્યશૈલી અને શાળાઓની દેખરેખ પર મોટી અસર કરશે. નવા નિયમો અનુસાર, હવેથી કોઈ પણ મુખ્ય શિક્ષકને માત્ર 1 જ અન્ય શાળાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવશે, જેથી તેઓ વહીવટી કામગીરીને યોગ્ય ન્યાય આપી શકે.

કામકાજના દિવસોની વહેંચણી
આ નવા પરિપત્રની સૌથી મહત્વની જોગવાઈ મુખ્ય શિક્ષકોના કામકાજના દિવસોની વહેંચણીને લઈને કરવામાં આવી છે. નવી સૂચના મુજબ, જે મુખ્ય શિક્ષકને અન્ય કોઈ શાળાનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હોય, તેમણે પોતાની મૂળ શાળા અને ચાર્જવાળી અન્ય શાળા એમ બંને જગ્યાએ 3-3 દિવસ ફરજ બજાવવાની રહેશે. અઠવાડિયાના 6 દિવસોની આ સરખી વહેંચણીને કારણે બંને શાળાઓના શૈક્ષણિક અને વહીવટી કાર્યો સંતુલિત રીતે ચાલી શકશે અને કોઈ પણ શાળાના બાળકોના શિક્ષણ પર માઠી અસર નહીં પડે.

આ અગાઉના જૂના નિયમોની વાત કરીએ તો, અગાઉના નિયમ મુજબ મુખ્ય શિક્ષકોને 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી ૨ કે તેથી વધુ શાળાઓનો વધારાનો ચાર્જ સોંપી દેવામાં આવતો હતો. આના કારણે મુખ્ય શિક્ષકો પર કામનું ભારણ અતિશય વધી જતું હતું અને તેઓ એકસાથે આટલી બધી શાળાઓનું સંચાલન યોગ્ય રીતે કરી શકતા નહોતા. શિક્ષણ વિભાગે આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને જૂની પદ્ધતિ બંધ કરી દીધી છે.

હવે નવી જોગવાઈ હેઠળ બે શાળાઓ વચ્ચેનું ભૌગોલિક અંતર વધારીને ૧૫ કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે, હવે ૧૫ કિલોમીટરના અંતરે આવેલી માત્ર એક જ શાળાનો ચાર્જ મુખ્ય શિક્ષકને આપી શકાશે. શિક્ષણ વિભાગના આ વહીવટી ફેરફારથી શાળાના સંચાલનમાં પારદર્શિતા અને ગુણવત્તા આવશે તેવું મનાઈ રહ્યું છે.























