કૃષિ મંત્રીના મૌખિક હુકમના ધજાગરા ઉડાવતી કંપની સામે ખેડૂતોમાં રોષ

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) દિવ્યક્રાંતિ ન્યુઝ, મોરબી, તા. 28 જૂન : રાજ્યના કૃષિ મંત્રીશ્રી તેમજ સરકારી અધિકારીઓ દ્વારા મૌખિક રીતે કામકાજ બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ કંપની દ્વારા આ મૌખિક સૂચનાઓને અવગણી કામગીરી ચાલુ રાખવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડૂતોનું કહેવું છે કે મૌખિક સૂચનાઓનું કોઈ મહત્વ રહેતું નથી અને તેનો અમલ પણ થતો નથી. આ જ કારણસર ખેડૂતો સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે મુખ્યમંત્રીશ્રી અને ઊર્જા મંત્રી જે પણ મુદ્દાઓ સ્વીકારવા તૈયાર હોય તે અંગે લેખિત બાંહેધરી આપવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે લેખિત ખાતરી મળ્યા બાદ જ તેઓ ગાંધીનગરમાં ચર્ચા માટે જવા અંગે નિર્ણય લેશે.

આ મુદ્દે આજે તા. 28/06/2026ના રોજ સવારે 11:30 વાગ્યે આમરણાંત ઉપવાસી નેહુલ ધીરજલાલ અમૃતિયાના ખેતર ખાતે ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે તેમજ આગામી લડત અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.