
ટંકારા, તા. 2 જુલાઈ : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે વીજપોલ નાખવાના મુદ્દે બિનરાજકીય ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને રાજ્યભરમાંથી વિવિધ સમાજો અને સંસ્થાઓનું સમર્થન મળી રહ્યું છે. આ જ ક્રમમાં હવે ટંકારા પટેલ સમાજ એસોસિએશન દ્વારા પણ આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

ટંકારા પટેલ સમાજ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ પટેલે જેતપર (મચ્છુ) આંદોલન સમિતિને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જેતપર (મચ્છુ) ખાતે વીજપોલના મુદ્દે બિનરાજકીય ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને એસોસિએશનનો સંપૂર્ણ ટેકો અને સમર્થન છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ખેડૂતોના હિત માટે ચાલી રહેલા આ આંદોલનને સફળ બનાવવા માટે આંદોલન સમિતિ દ્વારા ભવિષ્યમાં જે પણ નિર્ણયો લેવામાં આવશે, તેમાં ટંકારા પટેલ સમાજ એસોસિએશનનો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે. એસોસિએશને ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય અને વહેલી તકે નિરાકરણની પણ અપેક્ષા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, જેતપર (મચ્છુ) ખાતે વીજપોલ નાખવાના મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આંદોલનને વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને આગેવાનો તરફથી સતત સમર્થન મળી રહ્યું છે, જેના કારણે આંદોલનને વધુ વેગ મળ્યો છે.

























