HomeAll૧૦-૨૦ રૂપિયાની ૩૦૦૦ કરોડ રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ઠલવાશે ટ્રાયલમાં

૧૦-૨૦ રૂપિયાની ૩૦૦૦ કરોડ રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ઠલવાશે ટ્રાયલમાં

રિઝર્વ: બૅન્કની દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી, સફળ પરીક્ષણ બાદ નિયમિત ચલણમાં આવશે : કેન્દ્ર સરકારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની ૧૦ અને ૨૦ રૂપિયાની અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાની પૉલિમર એટલે કે પ્લાસ્ટિકની નોટો રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ અગાઉ સપ્ટેમ્બર ૨૦૦૯માં RBIએ ૧૦ રૂપિયાની ૧૦૦ કરોડ પૉલિમર નોટો ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. આ નોટોની ફીલ્ડ-ટ્રાયલ કોચી, મૈસૂર, શિમલા, જયપુર અને ભુવનેશ્વર જેવાં વિવિધ આબોહવા ધરાવતાં શહેરોમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે કેટલીક ટેક્નિકલ ખામીઓને કારણે આ પ્રયાસ પડતો મૂકવામાં આવ્યો હતો.

આ સંદર્ભે લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણારાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે RBIએ ૧૦ અને ૨૦ રૂપિયાની એક-એક અબજ પ્લાસ્ટિકની નોટો બહાર પાડવાનો પ્રસ્તાવ કેન્દ્રને મોકલ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘ફીલ્ડ-ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી થાય બાદ આ બન્ને મૂલ્યની પૉલિમર નોટો નિયમિત ચલણરૂપે બહાર પાડવામાં આવશે. હાલ પૉલિમર નોટો રજૂ કરવાની પ્રક્રિયા પ્રાથમિક તબબક્કામાં છે અને RBIએ જાણકારી આપ્યા પ્રમાણે આ પૉલિમર નોટોનું આયુષ્ય કાગળની નોટોની સરખામણીએ વધુ હોય છે.’

જોકે RBIના જણાવ્યા અનુસાર પૉલિમર નોટો હાલની કાગળની નોટો સાથે જ ચલણમાં મૂકવામાં આવશે અને કાગળની ચલણી નોટોને હાલમાં સંપૂર્ણપણે પૉલિમર નોટો વડે બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી.જાણવા જેવું ચલણમાં રહેલી કુલ નોટોની સરખામણીએ ૧૦ અને ૨૦ રૂપિયાની નોટોનો હિસ્સો લગભગ પચીસ ટકા જેટલો છે, પરંતુ મૂલ્યની દૃષ્ટિએ ચલણમાં આ બન્ને ચલણી નોટોનો હિસ્સો માત્ર ૧.૩ ટકા જેટલો જ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments