
રાજકોટ: સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ફરી મેઘરાજા કૃપા વરસાવવા લાગતા ખેડુતોને હાશકારાની લાગણી થઇ છે. દરમ્યાન ગઇકાલે અમરેલી જિલ્લામાં 1.5 થી 2 ઇંચ તેમજ જામનગરમાં ફલ્લામાં સવા બે ઇંચ, ખંભાળીયાનાં ગ્રામ્ય વિસતારોમાં એકથી સવા, ઉપલેટામાં 0॥ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દરમ્યાન પ્રાપ્ત થતા અહેવાલો મુજબ અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયેલા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ગઈકાલે ગુરુવારે વરસાદી માહોલ આશાનું કિરણ લઈને આવ્યો હતો. જિલ્લામાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ખાસ કરીને ખાંભા તાલુકાના વાંકુનીધાર પંથકમાં અનરાધાર વરસાદ વરસતાં અંદાજે દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. ભારે વરસાદના પગલે નદી-નાળામાં નવા નીર આવ્યા હતા અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમરેલી જિલ્લાના અનેક ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીલીયા તાલુકાના હરીપર ગામે ઘોઘમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. બીજી તરફ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સાવરકુંડલાના મહુવા રોડ પંથકમાં આવેલા વીજપડી અને ખડસલી સહિતના ગામોમાં સતત બીજા દિવસે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી. સાવરકુંડલા તાલુકાના નેસડી, મેવાસા, શેલણા, મોટા ભમોદરા સહિતના ગામોમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આશા બંધાઈ છે. ખાસ કરીને વરસાદ ખેંચાતા જ્યાં પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી, તેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી ખેડૂતોને થોડી રાહત મળી છે. ખાંભા તાલુકાના વાંકુનીધાર વિસ્તારમાં વરસાદે જોર પકડતાં ટૂંકા ગાળામાં અંદાજે 1.5 થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભારે વરસાદના પગલે સ્થાનિક નદી-નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. લાંબા વિરામ બાદ નોંધપાત્ર વરસાદ થતાં ગ્રામ્ય પંથકમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દરમ્યાન જામનગર તાલુકાના ફલ્લા ગામે બુધવારે રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું એક કલાકમાં સવા બે ઇ:ચ જેટલો વરસાદ વરસી ગયો હતો સવા મહિનાથી વધુ સમય રાહ જોવડાવ્યા પછી મેઘરાજાનું આગમન થતા ખેતરોમાં સુકાઇ રહેલા મોલને જીવતદાન મળ્યું હતું. ફલ્લા નજીકનાં ખીલોસ ગામે પણ સારા વરસાદનાં અહેવાલ મળે છે. ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.

આ વચ્ચે ખંભાળિયા તાલુકાના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોરે ધોધમાર વરસાદ વરસી જતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ ઉપરાંત કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં પણ ભારે ઝાપટા વરસ્યા હતા. ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા વાડીનાર, ભરાણા, કજૂરડા, નાના માંઢા, મોટા માંઢા, આંબલા, આરાધના ધામ વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે બપોરે આશરે સવા વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે આશરે એકાદ કલાક સુધી વરસતા આશરે એક ઈંચથી વધુ પાણી પડી ગયું હતું. મુશળધાર વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા.

જેથી આ વિસ્તારના લોકોએ આનંદ સાથે રાહતની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત ખંભાળિયા – સલાયા માર્ગ પર પણ બપોરે આશરે 2:30 વાગ્યે સતત અડધો કલાક વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. જો કે સરકારી ચોપડે ખંભાળિયા તાલુકાનો વરસાદ 0 રહ્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં આજે બપોરે 8 મી. મી.

અને ભાણવડ તાલુકામાં 6 મી. મી. વરસાદ નોંધાયો છે. તથા ઉપલેટામાં સાત મીમી વરસાદ નોંધાયો હતો. ઉપલેટા આજે બપોરના 12:00 વાગ્યા વરસાદ પડેલ હતો સાત મીમી વરસાદ પડેલો હતો કુલ વરસાદ 240 મીમી થયેલ છે તાલુકાના ગામડામાં વરજાંગ જાળીયા તથા ની લાખા તથા અરણી તથા મેરવદર માં પણ જોરદાર ઝાપટા પડેલા હતા.

જયારે સાવરકુંડલા તાલુકામાં લાંબા સમયના વરસાદી વિરામ બાદ વાતાવરણમાં અદ્ભુત પલટો જોવા મળ્યો હતો. મેઘરાજાએ વિરામ લેતાં જ આકાશ સ્વચ્છ થતાંની સાથે જ લીલાછમ સીમ-ખેતરો ઉપર સાત રંગોથી સજ્જ મનોહર મેઘધનુષ્ય (Rainbow) ખીલી ઊઠ્યું હતું. આહલાદક વાતાવરણ વચ્ચે આકાશમાં રચાયેલા આ કમનીય દ્રશ્યને જોઈને સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. વરસાદ પછી ખુલેલા વાતાવરણ અને આકાશી રંગોના મિશ્રણે કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમજ અંદાજે એક માસથી પણ વધૂ સમયથી વરસાદની રાહ જોતાં કાગડોળે જામનગર જિલ્લાના લાલપુર અને ધ્રોલ પંથકમાં બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂતોમાં સારા વરસાદની આશા ફરી જીવંત બની છે.

તા. 10 ના રોજ લાલપુર તાલુકાના મોટાભાગોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. જેમાં લાલપુર તાલુકાના પડાણા પીએસસી સેન્ટરમાં 29 મીમી અને મોડપર પીએસસી સેન્ટરમાં 28 મીમી વરસાદ નોંધાયો હતોવરસાદ નોંધાયો હતો અમુક ગામોમાં સ્થાનિક નદીઓમાં પુર પણ આવ્યા હતા. છેલ્લા 48 કલાકમાં ધ્રોલ, ફલ્લા અને જાલીયા દેવાણીમાં 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના લાલપર તાલુકાના આજુબાજુના ગામોમાં તા.

10 સપ્ટેમ્બરના રોજ સવારથી જ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. લાલપુર શહેર તેમજ તાલુકાના પડાણા, મોટાલખિયા, મોડપર, રંગપર, ભરૂડિયા અને તેની આજુબાજુના ગામોમાં મેઘરાજાએ વ્હાલ વરસાવતા ખેડૂતોમાં નવી આશા બંધાઈ હતી. છેલ્લા એક માસથી વરસાદની રાહ જોતાં મગફળી, કપાસ સહિતના પાક પર વરસાદ પડતાં ખેડતોમાં પાક પાણીથી તરબોળ થયા હતા. જેને લઈને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રંગપર ગામે સ્થાનિક નદીમાં નવા નીરની આવક પણ થઈ હતી.

વરસાદની ઘટને લઇ ખરીફ પાક સુકાઈ નિષ્ફળ જવાની અણી પર હતા આવા ખરેટાણે જ મેઘમહેર થતા ખેડૂતો રાજીના રેડ થયા હતા અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. જોકે, પાક માટે આ વરસાદ પૂરતો નથી પરંતુ ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે.















