
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું એ ભારતમાં સદીઓ જૂની પરંપરા છે. તેને સમૃદ્ધિ અને શુભ શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ હવે આ પરંપરા ઝડપથી રોકાણની રણનીતિમાં બદલાઈ રહી છે. ભાવનાત્મક ખરીદીને બદલે રોકાણકારો હવે વળતર, જોખમ અને ટેક્સને ધ્યાનમાં રાખીને સોનામાં પૈસા રોકી રહ્યાં છે.

છેલ્લા એક વર્ષમાં જ સોનાએ લગભગ 60 ટકા વળતર આપ્યું છે. 2025ની અક્ષય તૃતીયા પર જ્યાં સોનું આશરે 99,500 પ્રતિ 10 ગ્રામ હતું, ત્યાં 2026માં તે વધીને આશરે 1,57,800 સુધી પહોંચી ગયું છે. છેલ્લા નવ વર્ષોમાં સોનાએ આશરે 435 ટકા વળતર આપ્યું છે.

તેજીના કારણો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં તણાવને કારણે રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરીકે સોનાને પસંદ કર્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, મોંઘવારીનું દબાણ, ડોલરમાં ઉતાર-ચઢાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીમાં વધારો પણ તેની કિંમતોને ટેકો આપી રહ્યો છે.

રોકાણના વિકલ્પો : કયો કેટલો યોગ્ય?
ભૌતિક સોનું (Physical Gold) : પરંપરા મજબૂત, પણ વળતર નબળું
દાગીનાં અને સિક્કા તરીકે સોનું સૌથી વધુ લોકપ્રિય છે. આ રોકાણ વધુ ભાવનાત્મક છે અને નાણાકીય રીતે ઓછું ફાયદાકારક છે.















