‘હવે ગાંધીગીરી નહીં, સરદારગીરી કરવાનો સમય આવ્યો’ : કારૂભાઈ અમૃતિયા


મોરબી, તા. 29 જૂન : મોરબી જિલ્લાના જેતપર ખાતે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 11મો દિવસ છે. આ પ્રસંગે આંદોલન છાવણી ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. સાથે જ આંદોલન સ્થળના મુખ્ય વિસ્તારને ‘સરદાર ચોક’ નામ આપવામાં આવ્યું છે.

આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ચર્ચા માટે લેખિત આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે, ખેડૂતો દ્વારા આ આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આંદોલનકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકાર તેમની માંગણીઓ અંગે શું નિર્ણય લેવા તૈયાર છે તેની લેખિત સ્પષ્ટતા કરશે ત્યારબાદ જ ચર્ચા માટેનું આમંત્રણ સ્વીકારવામાં આવશે.

આ પ્રસંગે ઉપવાસી કારૂભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે ગાંધીગીરીના માર્ગે આંદોલન ચલાવવામાં આવ્યું છે, પરંતુ હવે અન્યાય સામે મક્કમ લડત આપવા માટે ‘સરદારગીરી’ કરવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપનાથી આંદોલનને નવી દિશા અને પ્રેરણા મળશે.

સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના તેમજ આંદોલન સ્થળને ‘સરદાર ચોક’ નામ આપ્યા બાદ આંદોલનકારીઓમાં નવા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન વધુ મજબૂતી સાથે ચાલુ રહેશે.
























