

મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલા ઐતિહાસિક સાવર તળાવના કાયાકલ્પ માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં અવરોધરૂપ બનતા અંદાજે 180 જેટલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે નગરપાલિકાએ આખરી નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી કાચા-પાકા દબાણો કરીને લોકો વસવાટ કરી રહ્યા હતા.

વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે રજૂઆત
તંત્રની આકરી કાર્યવાહીની જાણ થતા જ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચી ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. સ્થાનિકોની માંગ છે કે તેમને આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવે અને સ્થળાંતર માટે પૂરતો સમય આપવામાં આવે. જોકે, તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી સતત નોટિસો આપવામાં આવતી હોવાથી હાલ આ માંગણી સ્વીકારવામાં આવી નથી.

તળાવનું થશે નવીનીકરણ
નગરપાલિકાના જણાવ્યા અનુસાર, સાવર તળાવનું નવીનીકરણ શહેરની સુંદરતામાં વધારો કરશે. ગેરકાયદે દબાણો દૂર થયા બાદ અહીં વોક-વે અને ગાર્ડન જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આગામી ગણતરીના દિવસોમાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તળાવની જમીન ખુલ્લી કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવશે તેવી શક્યતા છે.

























