HomeAllફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો...

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, ‘ફૂટપાથ પર ચાલવાનો અધિકાર એક મૌલિક અધિકાર છે.’ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે કાયદો બનાવવા માટે પણ કહ્યું છે. આ કાયદા દ્વારા પગપાળા ચાલતા મુસાફરો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તેની જાળવણી માટે સ્થાનિક નગર નિગમોની જવાબદારી નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

પગપાળા ચાલવાનો અધિકાર વાહનો કરતા મહત્ત્વનો: જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને અતુલ એસ. ચંદુરકરની બેંચે સ્પષ્ટ કહ્યું કે, બંધારણના આર્ટિકલ 19(1)(d) અને આર્ટિકલ 21 હેઠળ મુક્તપણે ફરવાના અધિકારમાં પગપાળા ચાલવાનો સમાવેશ થાય છે. આ અધિકાર મોટર વાહનોથી આવવા-જવાની તુલનામાં વધુ મહત્ત્વ ધરાવે છે. જો કોઈ નાગરિકના આ અધિકારનો ભંગ થશે, તો તે જવાબદાર સત્તાધીશો સામે કાયદાકીય પગલાં ભરીને વળતર માંગી શકશે.

સુપ્રીમ કોર્ટે તંત્રની ઝાટકણી કાઢી: કોર્ટે નોંધ્યું કે, રસ્તાઓ બનાવવાની સાથે પગપાળા ચાલતા મુસાફરો માટે સારા ફૂટપાથ બનાવવાની જવાબદારી શહેરી વિકાસ સત્તામંડળ, મહાનગરપાલિકાઓ અને પંચાયતોની છે. હાલમાં આપણું નગર પ્રશાસન માત્ર વાહનો અનુકૂળ રસ્તાઓ બનાવવામાં વ્યસ્ત છે અને પગપાળા ચાલનારાઓને કિનારે ધકેલી દેવાયા છે, પરંતુ હવે એવું નહીં ચાલે.

5 વર્ષના બાળકના મોતનો મામલો: આ ચુકાદો 2016માં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટનાના ક્લેમ કેસ દરમિયાન આવ્યો છે. શાળાએ જઈ રહેલા 5 વર્ષના માસૂમ બાળકને પાછળથી આવતા ટેન્કરે ટક્કર મારી દીધી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. જે રસ્તા પર આ અકસ્માત થયો ત્યાં કોઈ ફૂટપાથ કે ક્રોસિંગની વ્યવસ્થા ન હતી.

સુપ્રીમ કોર્ટે વળતરની રકમ વધારી: મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે (MACT) આ કેસમાં 7.82 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું, જેને હાઈકોર્ટે ઘટાડીને 4.70 લાખ રૂપિયા કરી દીધું હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને ભૂલભરેલો ગણાવી વળતરની રકમ વધારીને 11,44,628 રૂપિયા કરી છે અને વીમા કંપનીને 2 મહિનાની અંદર આ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments