

નૈઋત્ય ચોમાસાના આગમનને એકાદ સપ્તાહ થવા છતાં ગુજરાતમાં હજુ વરસાદી જમાવટ કે સાર્વત્રિક મેઘમહેર નથી પરંતુ હવે આવતીકાલથી હવામાન પલ્ટો થવા સાથે વરસાદી ગતિવિધિ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દિલ્હી સ્થિત ભારતીય હવામાન વિભાગના આજે બપોરના લેટેસ્ટ બુલેટીનમાં જણાવાયા પ્રમાણે આવતીકાલથી ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા જેવા પશ્ચીમ ભારતના રાજયોમાં ચોમાસુ ગતિવિધિ વધશે. આવતીકાલથી 5 જુલાઈ સુધી કોંકણ તથા ગોવામાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે જયારે ગુજરાત રીજીયન અને મધ્ય મહારાષ્ટ્રમાં 3થી5 જુલાઈ દરમ્યાન વ્યાપક વરસાદની શકયતા છે.

29 જુનથી 2 જુલાઈ દરમ્યાન ગુજરાત રીજીયનમાં તથા મધ્ય મહારાષ્ટ્રમાં આઈસોલેટની છુટાછવાયા વરસાદની શકયતા છે. મરાઠાવાડા તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ 29 જૂનથી 5 જુલાઈ સુધી છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

29 જુનથી 3 જુલાઈ દરમ્યાન થંડરસ્ટોર્મ, વિજળીના કડાકા તથા 40થી60 કીમીના પવન સાથે ગુજરાત રીજીયન કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા તથા સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાનપલ્ટો શકય છે.

કોંકણ અને ગોવામાં 29 જુન તથા 2-3 જુલાઈએ અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર તથા મરાઠાવાડામાં 2-3 જુલાઈ, ગુજરાત રીજીયનમાં 29 જુન અને 2 જુલાઈ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 3થી5 જુલાઈમાં કયાંક વધુ ભારે વરસાદની પણ સંભાવના છે. ગુજરાત રીજીયનમાં 3થી5 જુલાઈએ અમુક સ્થળોએ વધુ ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશના જુદા-જુદા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ સુચવાયુ છે કે ઉતરપશ્ચીમી ભારતમાં મહતમ તાપમાનમાં 4 જુલાઈ સુધીમાં 4થી5 ડીગ્રીનો ઘટાડો થશે. મહારાષ્ટ્રમાં 3 જુલાઈ સુધીમાં તાપમાન 3-4 ડીગ્રી ઘટશે. ગુજરાતમાં એક જુલાઈ પછી તાપમાનમાં તબકકાવાર 3-4 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.




























