HomeAllપાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા અત્યંત સરળ બનાવાઈ : નાગરિકોને હવે પોલીસ સ્ટેશને રૂબરૂ...

પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા અત્યંત સરળ બનાવાઈ : નાગરિકોને હવે પોલીસ સ્ટેશને રૂબરૂ ધક્કા ખાવામાંથી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક તથા સુગમ બનાવવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા તમામ પોલીસ સ્ટેશનો અને સંબંધિત અધિકારીઓને અત્યંત મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તેવા સ્પષ્ટ હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મોટા અને મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. નવા આદેશો મુજબ , પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતમાં હવેથી પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં.

પોલીસ વેરિફિકેશન દરમિયાન અધિકારીઓએ માત્ર અરજદારની ભારતીય નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે. પોલીસે અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં , પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની રૂબરૂ સહી લેવાની પણ કોઈ જરૂર રહેશે નહીં. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે , તેવા અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આવી વિશિષ્ટ પરિસ્થિતિમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા રહેતી નથી.

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને આ તમામ સૂચનાઓનું કડકપણે પાલન કરવા હુકમ કર્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નવી અને સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય તથા કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments