
ગુજરાતમાં: લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ 6 ઑગસ્ટથી સમગ્ર રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ તેમજ વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સના વિતરણ અને ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાગરિકોના આરોગ્ય સાથે થતાં કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવાશે નહીં

એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ એટલે શું? : એનાલોગ ડેરી પ્રોડક્ટ્સમાં દૂધના કુદરતી ફેટના બદલે વનસ્પતિ તેલ કે અન્ય પ્રોસેસ્ડ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે લાંબા ગાળે માનવ શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભેળસેળયુક્ત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા નકલી ડેરી ઉત્પાદનો પર લગામ કસવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ પ્રતિબંધ બાદ હવે રાજ્યમાં ડેરી પ્રોડક્ટ્સના નામે એનાલોગ સામગ્રી વેચતા કે બનાવતા એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યસામગ્રી મળી રહે. નિર્ણય પાછળનું કારણ શું?

રાજ્યના ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ દ્વારા કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણમાં સામે આવ્યું કે દૂધના બદલે વનસ્પતિ તેલ અને બિન-ડેરી ઘટકોમાંથી પનીર જેવા દેખાતા ઉત્પાદનો બનાવાઈ રહ્યા હતા. આનાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે, અસલી ડેરી ઉત્પાદકોને નુકસાન થાય છે અને ખાદ્ય સુરક્ષા પર પ્રશ્નો ઊભા થાય છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ધારા-ધોરણ વગરના એનાલોગ પનીર (Analogue Paneer), ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે

કડક કાયદાકીય કાર્યવાહી થશે: આરોગ્ય મંત્રાલય : આ પ્રતિબંધનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006 મુજબ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.છત્તીસગઢ, મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજું રાજ્ય : મહત્વનું છે કે આ પહેલા મહારાષ્ટ્ર સરકારે ‘નોન-ડેરી’ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. નિયમ તોડવા પર છ મહિના સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડની જોગવાઈ કરી છે. છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર અને હવે ગુજરાત પ્રતિબંધ લગાવનારું ત્રીજું રાજ્ય બની ગયું છે.





















