રોડનું નવીનીકરણ પૂર્ણ થતાં શહેરના ટ્રાફિકને મળશે રાહત, એસટી બસ સહિત તમામ વાહનોની અવરજવર પૂર્વવત શરૂ

મોરબી: મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે તે દિશામાં મહત્વપૂર્ણ વિકાસ થયો છે. મોરબી મહાનગર પાલિકા દ્વારા સુપર ટોકિઝથી રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આ રોડ હવે વાહનવ્યવહાર માટે વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાથી માર્ગના નવીનીકરણના કામને કારણે આ મુખ્ય રોડ નાના-મોટા તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવામાં આવ્યો હતો. શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા આ રસ્તાના બંધ રહેવાના કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડતો હતો, જેના પરિણામે શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ અને જામની સ્થિતિ સર્જાતી હતી.

હવે નવીનીકરણનું કામ પૂર્ણ થતાં સુપર ટોકિઝથી રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો છે. પરિણામે એસટી બસ સહિત તમામ પ્રકારના વાહનોની અવરજવર પૂર્વવત શરૂ થઈ ગઈ છે.

મહાનગર પાલિકાના આ વિકાસથી શહેરના વાહનવ્યવહારમાં નોંધપાત્ર રાહત મળશે તેમજ મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટી વધુ સુગમ અને સરળ અવરજવર શક્ય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





















