
મોરબી તા. ૧૦ : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજ્જનપર ગામમાં ફરિયાદના આધારે નોંધાયેલા પોક્સો કેસમાં આરોપી ગોપાલ વાલજીભાઈ ધોળકિયાને મોરબીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સ્પેશિયલ પોક્સો કોર્ટ) દ્વારા નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી જજ બી. કે. ચંદારાણા સાહેબની કોર્ટમાં ચાલી હતી.

આ કેસમાં આરોપી ગોપાલ વાલજીભાઈ ધોળકિયા વિરુદ્ધ પોલીસે આઈ.પી.સી.ની કલમ ૩૭૬(૨)(i), ૩૭૬(૩), ૫૦૬(૨) તથા પોક્સો એક્ટની કલમ ૫(એલ), ૬ મુજબ ગુનો નોંધ્યો હતો. કેસમાં ફરિયાદી, ભોગ બનનાર તેમજ અન્ય સાહેદો-પંચો, ડોક્ટર તથા તપાસ અધિકારીની જુબાની સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

આરોપી તરફથી મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ આર. અગેચાણિયા દ્વારા અસરકારક દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે ભોગ બનનારની ઉંમર આશરે ૧૪ વર્ષની હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે આરોપી સામેના આક્ષેપોને સમર્થન આપતા પુરાવાઓ અંગે ગંભીર શંકાઓ ઊભી થાય છે. કેસમાં રજૂ થયેલા DNA ટેસ્ટ રિપોર્ટનો પણ બચાવ પક્ષે ઉલ્લેખ કરી કોર્ટ સમક્ષ પુરાવાઓનું સમગ્રતાથી મૂલ્યાંકન કરવા રજૂઆત કરવામાં આવી હતી.

બચાવ પક્ષે વધુમાં દલીલ કરી હતી કે માત્ર આક્ષેપોના આધારે આરોપીને દોષિત ઠેરવી શકાય નહીં અને ફોજદારી કેસમાં આરોપ સાબિત કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની રહે છે. જો પુરાવાઓમાં શંકા રહેતી હોય તો તેનો લાભ આરોપીને મળવો જોઈએ. કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવાઓના સમગ્ર મૂલ્યાંકન બાદ શંકાનો લાભ આપીને આરોપી ગોપાલ વાલજીભાઈ ધોળકિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપી તરફથી મોરબી જિલ્લા સિનિયર એડવોકેટ દિલીપ આર. અગેચાણિયા સહિતની ટીમે કાનૂની રજૂઆતો કરી હતી.





















