
મોરબી, તા. 19 જૂન : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા વધુ એક સરાહનીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી સ્વ. કસ્તુરબેન નરભેરામભાઈ ઉઘરેજાની પુણ્યતિથિ નિમિતે વિજાપુરાના પાટીયા પાસે આવેલી સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ સંચાલિત અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે હેતલબેન પટેલ દ્વારા સંસ્થાના બાળકોને 300 જોડી ટી-શર્ટ અને પેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકો માટે આખા દિવસના ભોજનની તેમજ તાજા ફળોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યથી સંસ્થાના બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં જિજ્ઞાશાબેન ગોસ્વામી, ચેતનાબેન કાસુન્દ્રા, આશાબેન બોખાણી, જયભાઈ મેરજા સહિતના સેવાભાવી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા.

અત્રે નોંધનીય છે કે સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થામાં 87થી વધુ અનાથ અને દિવ્યાંગ બાળકોનું વિનામૂલ્યે પાલન-પોષણ અને સંભાળ કરવામાં આવે છે. જેમાં 2થી 10 વર્ષની વયના બાળકોની સંખ્યા નોંધપાત્ર છે. સંસ્થા દ્વારા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા આ માનવતાભર્યા સેવાકીય કાર્યને વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે. સમાજના જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે સતત કાર્યરત રહેવાની ગ્રુપની ભાવનાને પણ લોકોએ બિરદાવી છે.
























