મોરબીના રવાપર ગામે મહિલાઓએ વિરોધ કર્યો છે, મહિલાઓએ થાળી વગાડી કર્યો ચક્કાજામ કેમકે, પ્રાથમિક સુવિધાના અભાવને લઇ વિરોધ કરી ધારાસભ્યને આપી ચીમકી આપી છે, સ્થાનિકોનું કહેવું છે કે, સમસ્યા હલ કરો તો જ રોડ છોડીશું નહીતર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે,જડેશ્વરથી વાંકાનેર જતા રોડ પર કર્યો ચક્કાજામ.
થાળી વગાડી રોડ ચકાજામ કર્યો
મોરબીના રવાપર ગામે મહિલાઓએ થાળી વગાડી રોડ ચક્કાજામ કર્યો છે, રોડ અને પ્રાથમિક સુવિધાને લઈ રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે, રવાપર ગામની રામ સેતુ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી રોડ ચક્કાજામ કર્યો છે, મહિલાઓનું કહેવું છે કે, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સ્થળ પર આવી પ્રશ્ન હલ કરે તો રોડ ખાલી કરવામાં આવશે.
મોરબીમાં ખરાબ રોડ પ્રશ્ને થયેલા જનઆંદોલનમાં હવે નવો રાજકીય વણાંક આવી રહ્યો છે. ધારાસભ્ય કાંતિલાલે એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અહીં ચૂંટણી લડી બતાવે, હું રાજીનામુ ધરી દઈશ અને માથે રૂૂ.2 કરોડનું ઇનામ આપીશ. હવે ધારાસભ્યની આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી છે.તો સામાપક્ષે કાંતિ અમૃતિયાએ પણ તા.12મીએ રાજીનામુ આપવાનો અને ચૂંટણી લડીલેવાનો પડકાર ફેંકતા રાજકારણ ગરમાયું છે.
ગોપાલ ઇટાલિયાએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે મોરબીની જનતા જાગૃત થઈ એટલે ધારાસભ્યના પેટમાં નકલી તેલ રડાયું છે. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી રહી હતી. તો કોઈને તકલીફ ન પડી. જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે રોડ ખરાબ છે, ગટર ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિકની સમસ્યા છે. આવી અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું. તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું છે. 30 વર્ષ સુધી જ્યારે આ જ જનતાએ મત આપ્યા અને ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, ગલગલીયા થયા, ખુશ થયા, પણ હવે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાવા મુદ્દે રોડ ઉપર ખાડા મુદ્દે સવાલ કરે છે તો તમને હવે ગમતું નથી.
ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું કે ગઈકાલે મોરબીના ભાજપના ધારાસભ્યએ એવું કહ્યું કે ગોપાલ ઇટાલીયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલીયાને બે કરોડ રૂૂપિયા ઈનામમાં આપીશ. મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને હું સ્વીકારી લઉં છું.
જો તમે સુરા હોય, મરદ માણસ હોય, જબાનના પાક્કા હોય તો તા.12ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દો. તો ગોપાલ ઈટાલીયા વટથી તમારી ચેલેન્જને સ્વીકારે છે. પણ શરત એક જ છે કે મોરબીના ધારાસભ્ય પાટીલ અંકલને પૂછવા ન જાય.
પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ન આપુ ? પ્લીઝ મને માફ કરો એવી વાતો કરવાની નહીં. તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય તો રાજીનામું આપી દેજો.અંતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તમારે ચેલેન્જ એ આપવી જોઈએ કે, 30 વર્ષ સુધી હું ધારાસભ્ય છું, તો મોરબીમાં આવીને કોઈ ખામી બતાવી દે, પણ તમે એવી ચેલેન્જ મારી ન શક્યા. કારણ કે તમને ખબર છે કામ તો કંઈ કર્યા નથી.
લાતી પ્લોટ, પંચાસર રોડ, ઉમિયા સોસાયટી, સરદાર પટેલ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં તમારે મને ચેલેન્જ મારવી પડે છે તે જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. આ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે હું રાજકારણમાં 1982થી છું. સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો અને કામ કરવાનો મારો સ્વભાવ છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી મોરબીમાં વરસાદને લઈને જે થયું ત્યારે સોમ-મંગળ હું ગાંધીનગર હતો. મોરબીની પ્રજા સમક્ષ પહેલા હું માફી માંગુ છું.
ખાડા, ગટર ઉભરાવવા, પાણી ભરાઈ જવા સહિતના કામ તાત્કાલિક ચાલુ કરી દીધા છે. ગાંધીનગરથી હું જોતો હતો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનો ધંધો કરે છે. એક વિસાવદરની સીટ આવી ત્યાં તો ગોપાલભાઈ આવશે, અહીં ગોપાલભાઈ વાળી થશે તેવી વાતો થવા લાગી.ધારાસભ્યએ ઉમેર્યું કે બે વર્ષથી હું જોઉં છું. ગોપાલભાઈ હીરાબા વિશે જેમતેમ બોલ્યા, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વિશે બોલ્યા હતા. તમામ નેતા વિશે બોલે છે. હવે તમે અધ્યક્ષ પાસે આવતા સોમવારે આવો, આપણે બેય રાજીનામું આપી દઈએ. પછી ચૂંટણી આવશે એટલે આપણે બેય મોરબીથી ચૂંટણી લડીશું. આપણા કાર્યકર્તાઓ વિસાવદરથી ચૂંટણી લડશે.
1998માં હું મોરબીના યાર્ડ માટે બોલ્યો હતો કે આ જમીન નહિ જવા દવ. મે બોલેલું પાળી જમીન ન જવા દીધી. મોરબીના કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો છે તમે આવો અને આમ આદમી પાર્ટીના ભારતના બધા નેતા આવે. આપણે ચૂંટણી લડી લઈએ. જો હું હારીશ તો રૂૂ.2 કરોડ આપીશ. એક સીટ આવી છે તેમાં તો આમ આદમી પાર્ટીએ આખા દેશમાં ઉપાડો લીધો છે. ગોપાલભાઈ આમ ગોપાલભાઈ તેમ…ગોપાલભાઈ કાંઈ સાવજ થોડા છે.
મોરબી, તા. 11 જુલાઈ 2025 – જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી. કે. શ્રીવાસ્તવના સુત્રધારત્વમાં આજે “વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણી મોરબી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો તેમજ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે ઉમંગપૂર્વક કરવામાં આવી.
આ વર્ષે વિશ્વ વસ્તી દિવસનું સૂત્ર “મા બનવાની ઉમર એ જ જયારે શરીર અને મન તૈયાર હોય” છે. આ અંતર્ગત 11 જુલાઈથી 18 જુલાઈ 2025 દરમિયાન લક્ષિત દંપતીનો સંપર્ક કરીને તેમને કુટુંબ નિયોજન વિશે માહિતી આપવામાં આવશે અને યોગ્ય પગલાં લેવા માટે પ્રેરણા આપવામાં આવશે.
ડૉ. પી. કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત બિન કાયમી તથા કાયમી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપવી, તેમજ સેવા મેળવવા માટે લોકોને ઉત્તેજિત કરવાનું મુખ્ય ઉદ્દેશ છે.
ઉલ્લેખનીય છે કે આ ઝુંબેશ અંતર્ગત ગુરુ શિબિરો, લઘુ શિબિરો, માહિતીપ્રદ પ્રદર્શન, માઈક દ્વારા જાગૃતિ, બેનર-પત્રિકા વિતરણ, રેલીઓ, સાસુ-વહુ અને નવદંપતી મિટિંગ્સ જેવા કાર્યક્રમો યોજાશે. તદુપરાંત, આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને લક્ષિત દંપતીનો સંપર્ક કરશે.
અભિયાન દરમિયાન વધતી વસ્તીના પરિણામે ઊભા થતા સામાજિક અને આર્થિક પ્રશ્નો અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. લગ્ન બાદ તરત સંતાન ન લેવું, બે સંતાનો વચ્ચે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અંતર રાખવો અને નાના કુટુંબના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી દ્વારા આરોગ્ય વિભાગ મોરબી જિલ્લા માં સંખ્યાત્મક સ્થિરતા અને સ્વસ્થ કુટુંબની દિશામાં યથાયોગ્ય પ્રયાસ કરી રહ્યો છે.
મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓના સમારકામ માટેની ઝડપી અને કાર્યક્ષમ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે પડેલા ખાડાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રોડ સમારકામની કામગીરી હાથ ધરી પેચ વર્ક કરવામાં આવ્યું હતું અને રસ્તાને વાહન વ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યો હતો.
મોરબી | તા. ૧૧-૦૭-૨૦૨૫, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ. એમ. છાસિયાને નાયબ નિયામક તરીકે બઢતી મળતા આજ રોજ તેમની વિદાય અને સન્માન સમારોહ જિલ્લા પંચાયત મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.
તા. ૧૦-૦૭-૨૦૨૫, બુધવાર – વાંકાનેર: ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે આરાધ ચેરિટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા વાલ્મિકી સમાજના વિધાર્થી બાળકોને શિક્ષણ સહાયરૂપ વિધ્યા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સંતશ્રી કુંદનદાસ બાપુએ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરણા આપતા પ્રવચન આપ્યાં હતાં. સાથે સાથે પારસ વાઘેલા, ઋતિક સારેશા અને નયન ઝાલા જેવા યુવા આગેવાનો પણ હાજર રહ્યા હતાં.
અનુસૂચિત જાતિમાં શિક્ષણના પ્રસાર માટે સતત પ્રયાસ કરનાર આરાધ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સતત 3જા વર્ષનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ યજ્ઞ દ્વારા સમાજના બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહન મળ્યું છે અને ભવિષ્યમાં વધુ બાળકો શિક્ષણ સાથે જોડાય તે માટે આ યત્ન સરાહનીય બની રહેશે. (રિપોર્ટ : અજય કાંજીયા)
મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સેવાકાર્ય માટે ખડેપગે રહેતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપે સામાજિક જવાબદારી નિભાવવાની પરંપરા પણ જાળવી રાખી છે. ત્યારે આગામી 20 જાન્યુઆરીના રોજ ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 20/01/2026ને મંગળવારના રોજ ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની તથા ઘરની આર્થિક પરિસ્થિત નબળી હોય તેવી 51 દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવશે.
આ સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેમણે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ પ્રમુખ હેતલબેન પટેલ મો.99048 55551 અથવા 95860 52226 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખત સમૂહલગ્નનું આયોજન કરી ચુક્યું છે. અને 37 દિકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવ્યા છે.
ત્યારે આ વખતે 51 દિકરીઓના પણ એક પરિવારની જેમ જ લગ્ન કરાવી આપવામાં આવશે. આ સમૂહલગ્નના ફોર્મ દર રવિવારના સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની ઓફિસ, કન્યા છાત્રાલય રોડ, સુપર માર્કેટના બીજા માળે ભરી આપવામાં આવશે. જેથી વહેલી તકે દિકરીઓએ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી ઉમા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં કોઈ વ્યક્તિ પાર્સલ લેવા આવેલ હોઈ તે આજે બપોરે 12:49 વાગ્યે હોટેલમાં જ રૂપિયા ભરેલી બેગ ભૂલીને જતા રહ્યા છે. હોટેલ સંચાલક કિશનભાઇ દ્વારા સીસીટીવી ફૂટેજ નિહાળતા કોઈ ગુલાબી રંગનું ટી શર્ટ અને બ્લુ કલરની જીન્સ પહેરેલ વ્યક્તિના હાથમાં સફેદ રંગના ઝબલું હાથમાં લઈને ફરતો દેખાય રહ્યો છે. સંભવિત આ વ્યક્તિ પાર્સલ લેવા આવેલ હોય ત્યારે રોકડ રકમ ભરેલી પ્લાસ્ટિકની બેગ હોટેલના સોફા પર ભૂલી ગયેલ છે.
હોટેલ સંચાલકોના ધાયનમાં આ બેગ આવતા જ તેમના સુરક્ષિત સાચવીને રાખેલ છે . અને જે પણ મૂળ માલિકની હોય તેમને સોંપી દેવા માટે કંટ્રોલ રૂમમાં જાણ કરી મીડિયાને સીસીટીવી ફૂટેજ તથા જે વ્યક્તિની બેગ હોય તે વ્યક્તિ પોતાની ઓળખ આપીને સુપ્રત મેળવી લે તેવી જાહેરાત કરી છે.
આમ હોટેલ સંચાલકોએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપેલ છે. તેઓએ દિવ્યક્રાંતિ ન્યુઝને માહિતી આપતા જણાવ્યું હતું કે, નસીબ જોગે અમારું ધ્યાન બેગ પર પડ્યું અને જોયું તો તેમાં રોકડ રકમ હોવાથી તેમણે હોટેલમાં સુરક્ષિત રાખી દીધેલ હતું. પરંતુ જો કોઈ અન્ય ગ્રાહકના હાથમાં આવ્યું હોત તો કદાચ બેગનો પતો લગાવવો મુશ્કેલ થઇ પડત, ઉમા હોટેલના ડિરેક્ટર કિશનભાઇ પટેલે દિવ્યક્રાંતિ ન્યુઝને સીસીટીવી ફૂટેજ રજુ કરી મીડિયા સમક્ષ વિડીયો રજુ કરી વ્યક્તિની ઓળખ અને મૂળ મલ્લિક સુધી સંદેશ પહોંચાડવા રજૂઆત કરતા તેઓએ સીસીટીવી ફૂટેજ જાહેર કરેલ છે. જો કોઈ વ્યક્તિ બેગ પકડીને ઉભેલા વ્યક્તિને ઓળખતું હોય તો તેનો સંપર્ક ‘ઉમા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ’ કિશનભાઇ : 9913533162 પાર સંપર્ક કરવા જણાવ્યું છે. દિવ્યક્રાંતિ ન્યુઝ હોટેલ સંચાલકોની પ્રામાણિકતાને બિરદાવે છે.
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક અથવા અન્ય નાનાં બાંધકામ માટે જિલ્લાની ડીડીઓ કચેરી દ્વારા મંજૂરી ફરજીયાત કરવાના પરિપત્રને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં અસંતોષ ઉભો થયો છે. આ સંદર્ભમાં મોરબી જિલ્લા પંચાયતના અજયભાઉત્પાદન અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ અજયભાઇ લોરિયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી , જિલ્લા પંચાયતના પ્રમુખ તથા તમામ જિલ્લા ધારાસભ્યો સમક્ષ તાત્કાલિક રજુઆત કરવામાં આવી છે.
અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય જીવન માટે થયેલા નાનાં બાંધકામ માટે આવી મંજૂરી ફરજીયાત કરવી અયોગ્ય છે. ખેડૂત અને સામાન્ય નાગરિક માટે બાંધકામ માટે જિલ્લા વિકાસ અધિકારી પાસેથી મંજૂરી લેવી મુશ્કેલ અને સમય બરબાદ કરનાર પ્રક્રિયા છે, જેના કારણે લોકોમાં અસંતોષ ઉભો થઇ રહ્યો છે.
તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે કે, ડીડીઓ કચેરી દ્વારા ગ્રામ્ય બાંધકામ માટે મંજૂરી ફરજીયાત કરતો જે પરિપત્ર બહાર પડાયો છે તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, જેથી ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને આરામદાયક અને અવરોધરહિત જીવનશૈલી માટે જરૂરી બાંધકામ કરવા સરળતા રહે.
અજયભાઇ લોરિયાની આ ત્વરિત અને લોકહિતની રજુઆતથી જિલ્લાવાસીઓમાં આશાની લાગણી પ્રસરી છે અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર જલ્દી જ આ બાબતે યોગ્ય નિર્ણય લેતી થઈ લોકોને રાહત આપશે.
ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ વિના આધુનિક ટેકનોલોજી શક્ય નથી. સ્માર્ટફોનથી લઈને કમ્પ્યુટર, ટેલિવિઝન, ઓટોમોબાઇલ્સ અને અવકાશયાન સુધીના દરેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ શક્તિશાળી કમ્પોનન્ટ્સ પર નિર્ભર છે.
ટેકનોલોજીના વિકાસ સાથે કમ્પોનન્ટ્સ વધુ નાના, કાર્યક્ષમ અને શક્તિશાળી બનતા જાય છે, ત્યારે આ દિશામાં ભારતે હરણફાળ ગતિ પકડી લીધી છે.આ જ ક્રમમાં દેશ-વિદેશની અને કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આતૂર થઈ ગઈ છે.
કેન્દ્ર સરકારને 8000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મળ્યો વાસ્તવમાં કેન્દ્ર સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) ચલાવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ યોજના હેઠળ દેશમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ બનાવવા અને તેને એસેમ્બલ કરવા માટે કેન્દ્ર સરકારને 8000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મળ્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો હબ કહેવાતા ચીનમાં મોટી-મોટી કંપનીઓ બોરીયા-બિસ્તરા બાંધી રહી છે અને ભારતને વિકલ્પ તરીકે જોઈ રહી છે, ત્યારે સરકારની આ યોજના હેઠળ અનેક મોટી-મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતૂર થઈ છે.
ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારત બનશે વધુ મજબૂત ECMS યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ઈલેક્ટ્રોનિક્સ સપ્લાઈ ચેનમાં આત્મનિર્ભર બનાવવાનો તેમજ સ્થાનિક અને વૈશ્વિક રોકાણને આકર્ષી મજબૂત ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ ઉભી કરવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળે ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 22,919 કરોડ રૂપિયાના રોકાણની સાથે ઈસીએમએસ યોજનાને મંજૂરી આપી હતી. સરકારને 8 હજાર કરોડનો પ્રસ્તાવ મળ્યો ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઈસીએમએસ યોજના હેઠળ અરજી માંગી હતી. મંત્રાલયને 100થી વધુ વિદેશી અને ભારતીય કંપનીઓને પ્રસ્તાવ મોકલ્યો છે.
આ પ્રસ્તાવ 7500 કરોડ રૂપિયાથી લઈને 8000 કરોડ રૂપિયા સુધીનો છે.દેશ-વિદેશની કંપનીઓ પ્રસ્તાવ હેઠળ ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ બનાવવા તેમજ તેને એસેમ્બલ કરવા ઈચ્છે છે.
દેશ-વિદેશથી પ્રસ્તાવો મળ્યા બાદ ભારત સરકાર ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં પ્રસ્તાવને મંજૂરી આપવાની શરૂઆત કરશે. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે ભારત સરકારે ECMS યોજનાઓ શરૂ કરી છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ, સેમિકન્ડક્ટર્સ, ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ્સ, ATMP (અસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) એકમો અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉત્પાદન માટે સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાનો છે.
યોજનાના ફાયદા અને મહત્ત્વ આત્મનિર્ભરતા: આ યોજના ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે, જે ‘આત્મનિર્ભર ભારત’ ના લક્ષ્ય સાથે સુસંગત છે.
રોજગારીનું સર્જન: ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સ્થાપના અને વિસ્તરણથી સીધી અને આડકતરી રીતે રોજગારીની તકોનું સર્જન થાય છે.ઇકોસિસ્ટમનો વિકાસ: તે ભારતમાં મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવા માટે મદદરૂપ થાય છે, જેમાં સંશોધન અને વિકાસ પણ સામેલ છે.
વૈશ્વિક સ્પર્ધાત્મકતા: નાણાકીય સહાય દ્વારા ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની શકે છે.મૂડી રોકાણને પ્રોત્સાહન: સ્થાનિક અને વિદેશી બંને રોકાણકારોને ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે છે.