Category: All

  • મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને ઓનલાઈન 100 કુર્તી મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી

    મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને ઓનલાઈન 100 કુર્તી મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી

    યુ.પી.ના આઇડી ધારક સહિતના સામે ફરિયાદ: સ્કેનર પરથી મોકલાવેલા નાણા ગુમાવ્યા

    મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા યુવાને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી કુર્તી ખરીદવા માટે થઈને સર્ચ કર્યું હતું ત્યારબાદ મોબાઈલ ફોન નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો.

    અને તેમાં વાતચીત થયા બાદ 100 કુર્તીનો ઓર્ડર આપ્યો હતો જેથી આરોપીએ સ્કેનર મોકલાવ્યું હતું જેમાં યુવાને 15,000 રૂપિયા ઓનલાઈન મોકલાવ્યા હતા જોકે તેને કુર્તી  મોકલવામાં આવેલ નથી જેથી તેની સાથે ઓનલાઇન ફ્રોડ થયું હોય આ બાબતે તેને મોરબી બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

    જાણવા મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (31) નામના યુવાને મોબાઈલ નંબર 70414 59596 તથા યુપી આઇડીના ધારક તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.

    જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીએ TREAD INDIA.COM ઓનલાઇન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઈન ખરીદવા માટે સર્ચ કર્યું હતું ને ત્યારે આ કામના આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાંથી વ્હોટ્સએપ મેસેજ કરીને અગ TEXTILE કંપનીના નામે ફરિયાદી સાથે કુર્તિ ખરીદવા બાબતે વાતચીત કરી હતી અને એક કુર્તિનો ભાવ 150 રૂપિયા નક્કી કર્યો હતો જેથી કરીને ફરિયાદીએ 100 કુર્તિનો ઓર્ડર આપ્યો હતો.

    અને આરોપીએ ફરિયાદીના મોબાઇલ ઉપર સ્કેનર મોકલાવ્યું હતું જેથી ફરિયાદી યુવાને 15,000 રૂપિયા મોકલાવી આપ્યા હતા જોકે આરોપીએ કુર્તિ મોકલાવી ન હતી અને પાર્સલમાં એક જૂનું ફોર્મલ પેન્ટ મોકલાવીને ફરિયાદીની સાથે 15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

  • ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપી પકડાયા

    ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપી પકડાયા

    કચ્છથી આવતી ગાડીનો પીછો કરતા બઘડાટી બોલી ગઇ હતી: અન્યોની શોધખોળ

    મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર રવિવારે બપોરના સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ખાટકીવાસમાં પાસે હોબાળો પણ કર્યો હતો જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બંને ગુનાના બંને પક્ષના પાંચ પાંચ શખ્સોને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

    કચ્છ જિલ્લામાંથી ગૌવંશોને મોરબીના કતલખાને લઈને આવે છે તેવી બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી બોલેરો ગાડીનો પીછો કરીને ગૌરક્ષકો મોરબીના ખાટકીવાસમાં ગયા હતા ત્યાં તેઓની ઉપર હુમલો કર્યો હતો.

    જેથી ગૌરક્ષકોના વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરવામાં આવ્યો હતો. માટે અનય ગૌરક્ષકો ત્યાં આવ્યા હતા ત્યારે થયેલ મારા મારીના બનાવમાં કૌશિકભાઈ જગદીશભાઈ નિમાવત, સાગર કાંતિભાઈ પલાણ, મહેબુબભાઇ સુમરા અને દિનેશભાઈ લોરીયાને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાર બાદ લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશભાઈ નિમાવત (34)એ મોરબી બે મહિલ સહિત કુલ મળીને 25 થી વધુ લોકોની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

    આ ગુનામાં ઝાકીર હુસેન અન્સારી, ઈસુ મુસા કટારીયા, સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ અને સિકંદર રજાકભાઈ કટારીયાની ધરપકડ કરેલ છે જયારે સમાપક્ષેથી સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ (28) વાળાએ પાંચ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે મહેબુબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્રભાઈ પલાણ, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત અને દિનેશભાઈ રામજીભાઈ લોરીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

    ઉલ્લેખનીય છેકે, કચ્છથી આવેલ બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 8346 માં ગૌમાંસ હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી મોરબીના ખાટકીવાસ ગૌરક્ષકો બોલેરો ગાડીની પાછળ ગયા હતા અને ગાડી ચેક કરવા માટે કહ્યું હતું જેથી કરીને ગઇકાલે બપોરે મામલો બીચક્યો હતો.

  • કચ્છ સાંસદ આયોજીત ડે નાઇટ ક્રિકેટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન

    કચ્છ સાંસદ આયોજીત ડે નાઇટ ક્રિકેટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન

    108 દિવસની ટુર્નામેન્ટમાં 600 ટીમ-8820 ખેલાડીએ ભાગ લીધો હતો

    કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજીત ઓપન કચ્છ ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -3 ને વર્લ્ડ ઈન્ડીયામાં સ્થાન  મળ્યું છે.તે બદલ સાંસદ વિનોદભાઇ ચાવડાને મિલનભાઇ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા રેકોર્ડ સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું.

    કચ્છ લોક સભા તથા સમાજ નવનિર્માણ ભુજ દ્વારા આયોજિત ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3 જે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તામ6-3 થી 22-6 ટોટલ 108 દિવસ રમાયેલ મેચોમાં ટોટલ 600+ ટીમોમાં 8820 જેટલા ખેલાડીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો.

    વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયાના પ્રતિનિધિ મિલનભાઈ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા નિરીક્ષણ કરી વિગતો મેળવી પ્રમાણીત કરી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. જે બદલ ભાગ લેનાર ખેલાડીઓ, સહ કાર્યકરો, સ્વયં સેવકો સૌનો સાંસદ  વિનોદભાઇ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ વર્લ્ડ રેકોર્ડસ બનતા આનંદ વ્યક્ત કર્યો હતો.

  • વોટ્સએપ પર એક સાથે ઘણાં મેસેજ વાંચી શકાશે

    વોટ્સએપ પર એક સાથે ઘણાં મેસેજ વાંચી શકાશે

    વોટ્સએપ તેનાં યુઝર્સ માટે એક નવું ફીચર લાવ્યું છે. મેટાની લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સંચાલિત સુવિધા રજૂ કરી છે.

    આ યુઝર્સને ઘણાં સંદેશાઓનો સારાંશ આપશે. આનો અર્થ એ છે કે હવે વપરાશકર્તાઓએ દરેક મેસેજને વાંચવાની જરૂર નથી. તેઓ સારાંશ દ્વારા ઘણાં મેસેજ મુદ્દાને સમજી શકે છે.

    આ ફીચરનુું નામ મેસેજ સમ્મરી છે. તે મેટા એઆઈનો ઉપયોગ વપરાશકર્તાઓને તેનો સારાંશ આપીને ન વાંચેલા સંદેશને સમજવામાં સહાય માટે કરે છે. મેટાના જણાવ્યાં અનુસાર, આ ફિચરમાં પ્રાઇવેટ પ્રોસેસિંગ નામની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુઝર્સ ફક્ત પસંદ કરેલાં લખાણોને હાઈલાઈટ કરવા માટે અદ્યતન ચેટપ્રાઈવસી ઉપયોગ કરી શકે છે.

    વોટ્સએપનું નવું ફીચર છે દમદાર

    વોટ્સએપે તેનાં બ્લોગ પોસ્ટ દ્વારા આ નવા ફીચરના રોલઆઉટ વિશે માહિતી આપી છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે દરેક વ્યક્તિ ક્યારેક મીટિંગની વચ્ચે હોય છે, વાઇ-ફાઇ વગર ફ્લાઇટ પછી ચેટિંગ કરે છે અથવા માત્ર ઘણી ચેટિંગ કરે છે.

    આવી સ્થિતિમાં, કેટલીકવાર લોકોએ ફક્ત સંદેશને ઝડપથી વાંચવો પડે છે. આ કારણે કંપની મેસેજ સમરી ફીચર માટે ઉત્સાહિત છે. આ એક નવો વિકલ્પ છે, જે ચેટમાં ન વાંચેલા સંદેશાઓને ખાનગી અને ઝડપથી સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે મેટા એઆઇનો ઉપયોગ કરે છે, જેથી યુઝર્સને તેમનાં ન વાંચેલા સંદેશાઓને સંપૂર્ણપણે વાંચ્યાં વિના શું ચાલી રહ્યું છે તેની ખબર પડી જશે.

    કેવી રીતે કામ કરે છે આ નવું ફિચર ?

    નવી સુવિધામાં ખાનગી પ્રોસેસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મેટા એઆઈને તમારા સંદેશ અથવા સારાંશને જોયા વિના મેટા અથવા વોટ્સએપ પર પ્રતિસાદ બનાવવાની મંજૂરી આપે છે. આનો અર્થ એ છે કે તમારા સંદેશાઓ વોટ્સએપ અથવા મેટા દ્વારા વાંચી શકાતાં નથી.

    ચેટમાં બીજં  કોઈ જોઈ શકતું નથી કે તમે મેસેજને વાંચ્યાં વગર જ તેનો સારાંશ આપ્યો છે. આનો અર્થ એ છે કે પ્રાઈવેશીની દ્રષ્ટિએ તે એકદમ સલામત છે. આ નવું ફીચર વોટ્સએપમાં ડિફોલ્ટથી ઉમેરવામાં આવ્યું નથી.

    આ એક વૈકલ્પિક સુવિધા છે. વપરાશકર્તાઓ તેમની જરૂરિયાત મુજબ તેને ચાલું અથવા બંધ કરી શકે છે. અમેરિકામાં લોકો માટે આ ફીચર અંગ્રેજી ભાષામાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

  • 500 રૂપિયાની નોટ ચાલુ રહેશે કે બંધ, સરકારનું આવ્યું નિવેદન

    500 રૂપિયાની નોટ ચાલુ રહેશે કે બંધ, સરકારનું આવ્યું નિવેદન

    આ આખે આખા મામલાની શરૂઆત રિઝર્વ બેંકે આપેલા એક દિશા નિર્દેશ બાદ થઈ. રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને એક દિશા નિર્દેશ જાહેર કર્યું હતું, કે એટીએમમા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવે. આ વાતે વધારે તૂત ત્યારે પકડયું જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને સલાહ આપી કે સરકારે 500 રૂપિયા અને તેનાથી વધારે કિંમતની ચલણી નોટો બંધ કરી દેવી જોઈએ.

    શું હતી આખી બાબત:રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને એક દિશા નિર્દેશ જાહેર કર્યું હતું, કે એટીએમમા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવે, અને આ દિશા નિર્દેશ બાદ દેશના નાણાકીય બાબતોના જાણકાર લોકો પોત પોતાની રીતે આ દિશા નિર્દેશને જોવા લાગ્યા. એક જાણકારે તો ત્યાં સુધી કહી દીધું કે એટીએમમાં પહેલા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવશે, અને ત્યાર બાદ ધીરેથી બજારમાંથી 500ની નોટ દૂર કરવામાં આવશે.

    જાણો શું છે સત્ય: 500ની નોટ બંધ થવાની વાતોએ બજારમાં જ્યારે જોર પકડી લીધું, ત્યારે સરકારની ફેક્ટ ચેક યુનિટ પીઆઇબીને એક ટ્વિટ કરવાની ફરજ પડી. પીઆઇબીની આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે એક યુટ્યુબ ચેનલ જેનું નામ કેપિટલ ટીવી છે, તેમને 500ની નોટ બંધ થવાના જે સમાચાર જાહેર કર્યા છે, એ સમાચારમાં કોઈ સત્યતા નથી. સરકારની ફેક્ટ ચેક યુનિટ પીઆઇબીએ આ સમાચારને ફેક ન્યૂજ કહ્યા છે. પીઆઇબીનું કહેવું છે કે રિઝર્વ બેંક તરફથી આ પ્રકારનું કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. 500 ની નોટ કાર્યરત રહેશે.

  • તો પાકિસ્તાનનું નામોનિશાન ભૂંસી નાખ્યું હોત : કેપ્ટન કુમાર

    તો પાકિસ્તાનનું નામોનિશાન ભૂંસી નાખ્યું હોત : કેપ્ટન કુમાર

    ઈન્ડોનેશીયામાં વિવાદીત વિધાનો કરનાર ડીફેન્સ એટેચીએ કહ્યું ઓપરેશન પુરી રીતે ભારતના કંટ્રોલમાં હતું

    ઓપરેશન સિંદૂર સમયે ભારતે અત્યંત સંયમથી કામ લીધુ હતું અને જે રીતે પહેલા ત્રાસવાદી મથકોને જ ટાર્ગેટ બનાવાયા અને ત્યાર બાદ જ પાકિસ્તાને વળતો હુમલો કરવાની કોશીષ કરતા ભારતીય સેનાને વધુ આક્રમક કાર્ય કરવાની ફરજ પડી હતી.

    તે અંગે ભારતીય હવાઈદળના અધિકારી અને ડીફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે ઈન્ડોનેશીયાના એફોર્સને ભારતની પરિસ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું કે અમોએ પાડોશી દેશને સ્પષ્ટ રીતે ચેતવણી આપી હતી. તેઓ ઈન્ડોનેશીયા એરફોર્સ યુનિ.ના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

    કહ્યું કે જો પાકિસ્તાને અણુ હુમલો કરવાની કોશીષ કરી હતો તો પાકિસ્તાનનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું હાતે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અણુ હુમલોની ધમકી આપતું હતું પરંતુ ભારત તે ધમકીને તાબે થયું ન હતું અને સ્વીકારતું નથી.

    તેમણે ઉમેર્યુ કે, ભારતે અત્યંત ચપળતા સાથે પાકિસ્તાનના અણુ મથકો પર હુમલો કર્યો હતો અને આ એક સંયમીત પ્રતિભાવ હતો યુધ્ધ પૂરી રીતે ભારતના કંટ્રોલમાં હતો. પાકિસ્તાનના વિમાનો તેના એરબેઝ ઉપરથી ઉડી પણ શકયા નહીં તે દર્શાવે છે કે ભારત એ કેટલી તૈયારી સાથે આ ઓપરેશન કર્યુ હતું.

  • ખતરનાક વલણ: એઆઈ હવે ખોટું બોલે છે, ધમકી આપે છે, તર્ક કરે છે!: એડવાન્સ એઆઈથી ચિંતા

    ખતરનાક વલણ: એઆઈ હવે ખોટું બોલે છે, ધમકી આપે છે, તર્ક કરે છે!: એડવાન્સ એઆઈથી ચિંતા

    એન્થ્રોપિકના એડવાન્સ મોડેલ કલાઉડ – 4એ એક એન્જિનીયરને બ્લેકમેલ કર્યો! તેના લગ્નેતર સંબંધો ઉઘાડા પાડવાની ધમકી આપી!

    આપણે ત્યાં ભગવાનને લઈને ઉકિત છે. તારા બનાવેલા તને બનાવે છે! હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે માણસે બનાવેલ એઆઈ રોબોટ માણસને બનાવે છે!વાત એમ છે કે એઆઈમાં હવે માણસના અપલખણ પ્રવેશવા માંડયા હોય તેણે બનાવ બહાર આવ્યા છે. સૌથી એડવાન્સ એઆઈ મોડેલોનાં વિપરીત (આજ્ઞાંકીત નહીં) વ્યવહારોએ નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી છે.

    આદેશ માનવાવાળા આ એઆઈ હવે ખોટુ બોલવા પ્લાન કરવા અને માલિકને ધમકાવવા જેવી હરકતો કરી રહ્યા છે.તેમનામાં આ પ્રકારના પ્રોગ્રામ ફિટ નહોતા કરાયા, તેઓ ખુદ તે શીખી રહ્યા છે. હાલમાં જ આવા અનેક ઉદાહરણો બહાર આવ્યા છે.

    તાજેતરનું ઉદાહરણ એન્થ્રોપિકનાં એડવાન્સ મોડેલ કલાઉડ-4 નુ છે.તેણે એક એન્જીનીયરને આદેશ માનવાવાળા આ એવા જ હવે ખોટુ બોલવા પ્લાન કરવા અને માલિકને ધમકાવવા જેવી હરકતો કરી રહ્યા છે. તેમનામાં આ પ્રકારનાં પ્રોગ્રામ ફિટ નહોતા કરાયા તેઓ ખુદ તે શીખી રહયા છે.

    હાલમાં જ આવા અનેક ઉદાહરણો બહાર આવ્યા છે.તાજેતરનું ઉદાહરણ એન્થ્રોપિકના એડવાન્સ મોડેલ કલાઉડ-4 નું છે.તેણે એક એન્જીનીયરને બ્લેક કર્યો હતો. ત્યાં સુધી કે તેના લગ્નેતર સંબંધો ખુલ્લા પાડી દેવાની ધમકી આપી દીધી હતી!

    આવો વ્યવહાર 100 માંથી 84 પરિક્ષણોમાં રિપીટ થયો હતો. ચેટજીટીપી બનાવનાર કંપની ઓપનએઆઈના મોડેલ ઓ-1એ ખુદને બહારનાં સર્વર પર ડાઉનલોડ કરવાની કોશીશ કરી હતી અને રંગેહાથ પકડાઈ જવાનો ઈન્કાર પણ કર્યો હતો.

    હાલ તો એઆઈ શોધકર્તા હજુ પણ પુરી રીતે નથી સમજી શકતા કે તેની પોતાની રચના (એઆઈ) કેવી રીતે કામ કરે છે. આમ છતાં દુનિયામાં એઆઈના શકિતશાળી મોડેલ વિકસીત કરવાની દુનિયામાં દોડ ખતરનાક રીતે ચાલુ છે.

  • ગણેશ ચતુર્થી 2025: આ વર્ષે ગણેશજીની માટીની મૂર્તિઓની ડિમાન્ડ

    ગણેશ ચતુર્થી 2025: આ વર્ષે ગણેશજીની માટીની મૂર્તિઓની ડિમાન્ડ

    ગણેશ ચતુર્થી 2025, 27 ઓગસ્ટથી શરૂ થાય છે, અને નવસારીના બજારોમાં શ્રી ગણેશજીની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. ભક્તો મૂર્તિ બુકિંગ અને પંડાલની તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે આ વર્ષે માટીની મૂર્તિઓની માંગ વધી છે.

    27 ઓગસ્ટ, 2025થી શરૂ થનાર ગણેશ ચતુર્થીનો ઉત્સવ ભક્તો માટે અત્યંત પ્રિય અને ખાસ છે. આ તહેવારની તૈયારીઓ નવસારીના બજારોમાં જોરશોરથી શરૂ થઈ ગઈ છે, અને શ્રી ગણેશજીની મૂર્તિઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ભક્તો આ ઉત્સવની આતુરતાથી રાહ જુએ છે અને મૂર્તિનું બુકિંગ તેમજ પંડાલની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. ખાસ કરીને ટાવર રોડ જેવા વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ મૂર્તિ કેન્દ્રો ખુલવા લાગ્યા છે, જ્યાં ભક્તો ગણેશજીની આકર્ષક મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે.

    આ વર્ષે ગણેશ ઉત્સવમાં માટીની મૂર્તિઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધી રહી છે, અને તેઓ નદીઓમાં પ્રદૂષણ ઘટાડવા માટે માટીની મૂર્તિઓનું સ્થાપન પસંદ કરી રહ્યા છે. માટીની મૂર્તિઓ ઇકો-ફ્રેન્ડલી હોવાથી ભક્તો તેના તરફ વધુ આકર્ષાય છે. આ વર્ષે બજારમાં માટીની મૂર્તિઓનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે, જે પર્યાવરણ પ્રત્યેની લોકોની સભાનતાનું પ્રતીક છે.

    મૂર્તિકાર વિરાજભાઈના જણાવ્યા મુજબ, આ વર્ષે બજારમાં 6 ઇંચથી લઈને 2.5 થી 3 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ ઉપલબ્ધ છે. આ મૂર્તિઓના ભાવ 1500 રૂપિયાથી શરૂ થઈને 21,000 રૂપિયા સુધી છે. મૂર્તિની ગુણવત્તા, ફિનિશિંગ અને ડિઝાઇનના આધારે ભાવ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, 1 થી 1.5 ફૂટની મૂર્તિઓના ભાવ 4000 થી 5500 રૂપિયા છે, જ્યારે 2 ફૂટની મૂર્તિઓના ભાવ 9000 રૂપિયા સુધી જાય છે. જો મૂર્તિમાં જટિલ ડિઝાઇન હોય, તો તેનો ભાવ વધુ હોય છે, જે ભક્તોની પસંદગી અનુસાર નક્કી થાય છે.

    દક્ષિણ ગુજરાતમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની મૂર્તિઓ મહારાષ્ટ્ર અને નવી મુંબઈથી આવે છે. ગત વર્ષે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે માટીની મૂર્તિઓને નુકસાન થયું હતું, જેના પરિણામે આ વર્ષે મૂર્તિઓના ભાવમાં 500 થી 1000 રૂપિયાનો વધારો થયો છે. આમ છતાં, માટીની મૂર્તિઓની માંગમાં કોઈ ઘટાડો થયો નથી, બલ્કે તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વધતી માંગ પર્યાવરણલક્ષી ગણેશ ઉત્સવની દિશામાં લોકોની સક્રિય ભાગીદારી દર્શાવે છે.

    મહત્વનું છે કે,બજારોમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભક્તો મૂર્તિની પસંદગી, પંડાલની સજાવટ અને ઉત્સવની અન્ય તૈયારીઓમાં વ્યસ્ત છે. માટીની મૂર્તિઓની વધતી માંગ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ આ ઉત્સવને વધુ અર્થપૂર્ણ બનાવે છે. ગણેશ ચતુર્થી ન માત્ર ભક્તિનો માહોલ રચે છે, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ આપે છે. નવસારીના બજારોમાં શ્રી ગણેશજીની મૂર્તિઓની ખરીદી અને ઉત્સવની તૈયારીઓએ શહેરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે.

  • મોરબીમાં ઘરબેઠા રૂપિયા કમાવાની લાલચમાં વૃધ્ધે રૂા.63 લાખ ગુમાવ્યા

    મોરબીમાં ઘરબેઠા રૂપિયા કમાવાની લાલચમાં વૃધ્ધે રૂા.63 લાખ ગુમાવ્યા

    ઓનલાઈન સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકી કોઈને કોઈ બહાને નાગરિકોને નિશાન બનાવતી હોય છે જેમાં આંધ્રપ્રદેશના વતની અને હાલ મોરબીમાં રહેતા 52 વર્ષીય આધેડને ઓનલાઈન જોબ વર્કની લાલચ આપી ઓનલાઈન રૂૂપિયા 62,93,925નું રોકાણ કરાવી રૂૂપિયા પરત નહિ આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

    મૂળ આંધ્રપ્રદેશનાવતની અને હાલ મોરબી મહેન્દ્રનગર રહેતા સત્યનારાયણા નાગેશ્વરાપ્રસાદ વિરાભદ્રરાવ કલ્લા (ઉ.વ.52) નામના આધેડે ટેલીગ્રામ યુઝર આઈડી સહીત સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી તા. 04-05-2025 થી તા. 21-05-2025 દરમિયાન

    ફરિયાદીને ઓનલાઈન જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ઘરે બેઠા રૂૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી વિશ્વાસ કેળવી અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂૂ 62,93,925 ઓનલાઈન જોબ વર્ક પેટે રોકાણ કરાવ્યું હતું જે રોકાણ કરેલ રૂૂપિયા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપીંડી આચરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પીઆઈ કે કે દરબાર ચલાવી રહ્યા છે.

  • ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર, પોરબંદરમાં સૌથી વધુ 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

    ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર, પોરબંદરમાં સૌથી વધુ 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

    સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન આજે સોમવારે (30 જૂન) છેલ્લા 12 કલાકમાં 132 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

    જેમાં સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 109 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો.

    132 તાલુકામાં વરસાદ:રાજ્યમાં આજે (30 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં 2.48 ઇંચ, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં 2.36-2.36 ઇંચ, જામનગરના કાલાવાડમાં 2.32 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 2.13 ઇંચ,

    કચ્છના મુંદ્રામાં 1.97 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 1.81 ઇંચ અને ભાનવડમાં 1.77 ઇંચ, જામનગરના લાલપુરમાં 1.73 ઇંચ, રાજકોટના લોધિકામાં 1.61 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1.54 ઇંચ, જૂનાગઢના વંથલી અને જામનગરના જોડિયામાં 1.46-1.46 ઇંચ, રાજકોટના ગોંડલમાં 1.38 ઇંચ, સુરતના ઉમરપાડા, જામનગરના ધ્રોલ, કચ્છના માંડવી, પોરબંદરના કુતિયાણા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જેતપુર તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.