સ્થાનિક રહેવાસીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગ સંતોષાઈ; વધતા અકસ્માતોને અટકાવવા પાલિકા તંત્રની કામગીરી


વાંકાનેર : શહેરના વોર્ડ નંબર–2 હેઠળ આવતા મિલ સોસાયટી, સિદ્ધાર્થનગર, વીસી પરા મેઈન રોડ તેમજ રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં વાહનોની વધતી અવરજવર અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્ય માર્ગો પર સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં લાંબા સમયથી સ્પીડ બ્રેકરની માંગ ઉઠી રહી હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલાએ વાંકાનેર નગરપાલિકામાં રજૂઆત કરી હતી.

રજૂઆતને અનુસરી પાલિકા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી સંબંધિત માર્ગો પર સ્પીડ બ્રેકરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્પીડ બ્રેકર બનવાથી વાહનોની ગતિ પર નિયંત્રણ આવશે અને રાહદારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ માટે માર્ગ સલામતીમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શાળા, રહેણાંક વિસ્તારો અને વધુ ટ્રાફિક ધરાવતા માર્ગો પર અકસ્માતનું જોખમ ઘટાડવામાં આ કામગીરી ઉપયોગી બનશે.

સ્થાનિક રહેવાસીઓએ તેમની રજૂઆતને પ્રાધાન્ય આપી સમયસર કામગીરી પૂર્ણ કરવા બદલ નગરપાલિકા તંત્ર તેમજ રજૂઆત કરનાર આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. (તસ્વીર-અહેવાલ : અજય કાંજીયા)





















