
મોરબી: સામાન્ય વરસાદમાં જ તખ્તસિંહજી રોડ, વાવડી રોડ અને શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાવું તેમજ ભૂગર્ભ ગટર ચોકઅપની સમસ્યા અંગે સ્થાનિક વેપારીઓએ મોરબી મહાનગરપાલિકા ખાતે મેયર ઉત્તમભાઈ સુરાણી સમક્ષ રજૂઆત કરી. મેયર ઉત્તમભાઈ સુરાણીએ ઝડપી ઉકેલની ખાતરી આપી.

ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું કે ચોકઅપ થયેલી ભૂગર્ભ ગટરની લાઈનો સાફ કરવામાં આવશે અને નવી વ્યવસ્થા હેઠળ ટૂંક સમયમાં પાઈપલાઈન જોઈન્ટિંગ સહિત પાણી નિકાલની કામગીરી હાથ ધરાશે.

મહાનગરપાલિકાના HOD તથા સંબંધિત શાખા અધિકારીઓ સાથે બેઠક બોલાવી તેમને સ્થળ પર જઈ તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી છે.

મહાનગરપાલિકા તરફથી વોંકડાઓની સફાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જ્યાં નવી સમસ્યાઓ ઊભી થઈ છે, ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવાની વાત પણ કરવામાં આવી છે જેથી ચોમાસામાં વેપારીઓ અને નાગરિકોને મુશ્કેલી ન પડે.





















