Category: All

  • બિઝનેસ યુઝર માટે વોટ્સએપમાં નવા ફીચર લૉન્ચ, AI, એડ્સ અને કોલ્સનો ઉપયોગ પણ કરી શકશે

    બિઝનેસ યુઝર માટે વોટ્સએપમાં નવા ફીચર લૉન્ચ, AI, એડ્સ અને કોલ્સનો ઉપયોગ પણ કરી શકશે

    વોટ્સએપ દ્વારા હવે તેમના બિઝનેસ પ્લેટફોર્મ માટે નવા ફીચર્સની જાહેરાત કરવામાં આવી છે. એમાં બિલ્ટ-ઇન એડ મેનેજમેન્ટની સાથે AI અને નવા વોઇસ અને વીડિયો કોલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સની તાજેતરમાં એક ઇવેન્ટમાં વોટ્સએપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર્સની મદદથી બિઝનેસ યુઝર્સ વધુ સરળતાથી માર્કેટિંગની સાથે લોકો સાથે કનેક્ટ થઈ શકશે.

    મેટાના દરેક પ્લેટફોર્મ પર કરી શકાશે કેમ્પેન

    મેટા દ્વારા હવે વોટ્સએપ બિઝનેસમાં ફીચર આપવામાં આવ્યું છે. એના દ્વારા યુઝર પોતાના બિઝનેસની એડ્સને મેટાના દરેક પ્લેટફોર્મ એટલે કે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર એડ કરી શકશે. આ તમામ એડ્સને એક જ જગ્યાએથી યુઝર મેનેજ કરી શકશે. આ માટે મેટા AIનો પણ ઉપયોગ કરી શકાશે. AI સપોર્ટ આપવામાં આવ્યો હોવાથી હવે કસ્ટમરને દરેક સવાલના જવાબ ઓટોમેટિક મળશે. તેમ જ તેમને પ્રોડક્ટ સજેસ્ટ કરવામાં આવશે અને ખરીદી કરવા માટે મદદ પણ મળી શકશે. આ ફીચર હાલમાં મેક્સિકોમાં શરૂ થઈ ગયું છે અને દુનિયાના તમામ દેશોમાં ધીમે ધીમે શરૂ કરવામાં આવશે.

    કસ્ટમરને હવે વોટ્સએપ પર કરી શકાશે કોલ

    વોટ્સએપ દ્વારા નવી અપડેટમાં કોલ ફીચર આપવામાં આવ્યું છે. આથી બિઝનેસ હવે સીધા કસ્ટમરને કોલ કરી શકશે. ટેલીહેલ્થ જેવા બિઝનેસ માટે પણ આ ફીચર ઉપયોગી બની શકે છે. જોકે વોટ્સએપ કેટલીક સર્વિસના મેસેજ માટે હવે પૈસા ચાર્જ કરશે અને એ લોકેશન તથા કઈ સર્વિસ છે તેના આધારે નક્કી થશે. જો કે 24 કલાકની અંદર જવાબ આપ્યો હશે તો ફ્રીમાં રિપ્લાય મળી શકશે.

    વોટ્સએપ બિઝનેસ માટે નવા ટૂલ્સ

    વોટ્સએપ બિઝનેસમાં અત્યાર સુધી કેટેલોગ જેવા ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બિલ્ટ-ઇન AIનો પણ સમાવેશ થયો છે. સાથે જ એડ્સ, મેસેજ અને સપોર્ટ દરેક વસ્તુને એક જ જગ્યાએથી મેનેજ કરી શકાશે. અન્ય પ્લેટફોર્મ્સની એડ્સ પણ વોટ્સએપ પરથી મેનેજ કરી શકાશે.

  • ગુજરાતના બિસ્માર રસ્તાઓ મુદ્દે કેન્દ્રીય મંત્રી બાદ CM પણ લાલઘૂમ: તાત્કાલિક રિપેરિંગના આદેશ

    ગુજરાતના બિસ્માર રસ્તાઓ મુદ્દે કેન્દ્રીય મંત્રી બાદ CM પણ લાલઘૂમ: તાત્કાલિક રિપેરિંગના આદેશ

    ગુજરાતમાં ચોમાસાની શરુઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગની શરુઆત કરી દીધી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

    રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંય મોટા ગાબડાં પડી ગયા છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવાના આદેશ આપ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહત બચાવ, જળાશયોની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. આ સિવાય આ બેઠકમાં રાજ્યમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઈ હતી. મુખ્યમંત્રી રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા હતા.

    મુખ્યમંત્રીએ મંત્રીઓને પોતાના પ્રભારી વિસ્તારમાં રોડ રસ્તા, અને ખાડાની કામગીરીને પ્રાધાન્ય આપવા સૂચન કર્યું હતું. સાથે જ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવી છે.

    સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના ખરાબ રસ્તાઓને લઈને કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો, ત્યાર બાદ હવે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં ખાડારાજ અંગે અધિકારીઓને કડક સૂચના આપી છે, અને રસ્તાઓનું તાતત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યો છે.

  • મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત

    મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત

    મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી સીરોહિયાએ  રેલવેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને રજૂઆત કરલે છે .

    જેમાં જણાવ્યુ છે કે, મોરબીને લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે, મોરબીને ડેઈલી અમદાવાદ સુધીની ટ્રેન આપવામાં આવે, રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે તેની પીડામાંથી મુક્તિ અપાવવામાં આવે, મોરબી રેલ્વે સ્ટેશનને સ્ટેટના નામ સાથે જોડવામાં આવે તેમજ મહારાજાનું સ્ટેચ્યુ ત્યાં મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે.

  • મોંઘવારીને લાગશે લગામ : GST માં 12%નો સ્લેબ 0 થી 5% થઈ જશે

    મોંઘવારીને લાગશે લગામ : GST માં 12%નો સ્લેબ 0 થી 5% થઈ જશે

    મધ્યમ વર્ગના વપરાશના ટુથપેસ્ટથી લઈ હેરઓઈલ સસ્તુ થશે; GST માં અર્ધા લાખ કરોડની રાહત આપશે

    ચાલુ મહિનામાં જ મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય : 12%ના સ્લેબની સામાન્ય લોકોના વપરાશની તમામ ચીજોને 0 અથવા 5%માં લઈ જવાશે : ઓછામાં ઓછા 50 જેટલા ઉત્પાદનો સસ્તા થશે

    દેશમાં જીએસટી કલેકશનમાં રેકર્ડબ્રેક થઈ રહેલા વધારા અને આગામી સમયમાં તહેવારોના કારણે લોકોની ખરીદી વધે તે વચ્ચે સરકાર હવે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગને જીએસટીમાં એક મોટી રાહત આપવા જઈ રહી છે અને લાંબા સમયથી જે ચર્ચામાં છે તે 12 ટકાના સ્લેબને નાબૂદ કરીને તેમાં સામાન્ય લોકોના વપરાશની તમામ ચીજોને ઝીરો અથવા પાંચ ટકામાં લઈ જવાય તેની તૈયારી છે.

    જો કે કેટલીક લકઝરી ગણાતી આઈટેમ જીએસટીના 18 ટકામાં ફેરવાઈ શકે છે અને આ રીતે સરકાર સામાન્ય લોકોને રૂા.40થી50 હજાર કરોડ જેવી જંગી રાહત આપશે. નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ આગામી દિવસોમાં જીએસટી કાઉન્સીલની બેઠક મળનાર છે અને તેમાં આ નિર્ણયને આખરી ઓપ અપાશે.

    હાલમાં જ સીતારામને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સરકાર ગરીબ અને મધ્યમવર્ગ માટે જીએસટીનો લાભ હવે તેમના બજેટને હળવુ બનાવે તે રીતે આપવા જઈ રહી છે. લાંબા સમયથી સરકાર જીએસટીમાં સ્લેબ ઘટાડાની ચર્ચામાં છે અને 12 ટકાના સ્લેબને પુરી રીતે નાબુદ કરી દેવાશે.

    જેના કારણે જે ચીજવસ્તુઓ 12 ટકાના સ્લેબ હેઠળ છે તેને ઝીરો અથવા પાંચ ટકામાં લઈ જવાશે. આ લાભ સામાન્ય માણસને મળે તે જોવાશે જેમાં હેર ઓઈલ, ટુથ પેસ્ટ, પ્રેસરકુકર, સાયકલ, સેનેટરી નેપકીનનો પણ સમાવેશ થાય છે અને તેને સસ્તુ બનાવીને આ પગલુ અમલમાં મુકાશે.

    શું શુ સસ્તુ થશે?: સેનેટરી નેપકીન ઝીરો ટકામાં જશે. આ ઉપરાંત 5%માં જનાર આઈટમમાં હેરઓઈલ, સસ્તા સાબુ, ટુથપેસ્ટ, છત્રી, સિવણ મશીન, વોટર ફીલ્ટર, પ્રેસરકુકર, કાચ, સ્ટીલ તથા એલ્યુમીનીયમના ચોકકસ કેટેગરીના વાસણો, ઈલેકટ્રીક ઈસ્ત્રી, વોટર હીટર, વેકયુમ કલીનર (નોન કોમર્સીયલ), સાયકલ (સામાન્ય વપરાશ), દિવ્યાંગ માટેના સાધનો, જાહેર ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતા વાહનોના સેક્ધડ સેલ,

    રૂા.1000 સુધીના કપડા અને બુટચપલ, મોટાભાગની વેકસીન, એચઆઈવી, કમળો અને ટીબી માટેની નિદાન કીટ, કેટલીક આયુર્વેદીક અને યુનાની દવાઓ, શાળામાં વપરાતી નોટબુક, ભૂમિતિના સાધનો, ડ્રોઈંગના સાધનો અને કલર, નકશા અને સંબંધીત આઈટમ, ગ્લેઝ ટાઈલ્સ (લકઝરી નહી) પ્રી ફેબ્રીકેટેડ બીલ્ડીંગ, કૃષિ સાધનો, થીજાવેલા શાકભાજી તથા વિવિધ પ્રક્રિયા સાથેનું દૂધ અને સોલાર વોટર હીટર.

  • ઓલિમ્પિક 2036 યોજવા માટે રેસમાં ઝુકાવતું ભારત : ગુજરાત યજમાન

    ઓલિમ્પિક 2036 યોજવા માટે રેસમાં ઝુકાવતું ભારત : ગુજરાત યજમાન

    ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને ઈન્ડીયન ઓલિમ્પિક કમીટીના ચેરમેન પી.ટી.ઉષા સહિતના પ્રતિનિધિ મંડળે સતાવાર દસ્તાવેજ સોંપ્યા

    સ્વીટઝરલેન્ડના લુસાવામાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી સમક્ષ બીડ રજુ : આખરી નિર્ણયની ધારણા

    2036માં ભારતમાં ઓલીમ્પિક મહોત્સવ યોજવા માટેની સતાવાર રીતે બીડ ભારત સરકારે રજુ કરી દીધી છે અને યજમાન શહેર તરીકે ગુજરાતના સૌથી મોટા મેટ્રો સીટી અમદાવાદને પસંદ કરવામાં આવ્યું છે.

    હાલ સ્વીટઝરલેન્ડના લુસાનાની મુલાકાતે રહેલા ગુજરાતના ખેલકુદ મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ઈન્ડીયન ઓલીમ્પિક એસો. કમીટીના ચેરમેન પી.ટી.ઉષા સહિતના પ્રતિનિધિ મંડળે ગઈકાલે ઈન્ટરનેશનલ ઓલીમ્પિક કમીટીના સભ્યો સાથે સતાવાર રીતે બેઠક કરી હતી.

    તેમાં 2036ના ઓલીમ્પિક માટે ભારતની બીડ રજુ કરી દીધી છે. હવે તેના પર આગામી સમયમાં કાર્યવાહી થશે. નવી આંતરરાષ્ટ્રીય ઓલીમ્પિક કમીટી કે જે હવે આ પ્રકારની બીડ માટેના નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે તેના દ્વારા ગુજરાતને રેસમાં મુકાશે.

    જો કે હજુ સુધી અન્ય કોઈ દેશોએ ઓલીમ્પિક યોજવા માટે સતાવાર રીતે કોઈ બીડ કરી નથી. પરંતુ આ પ્રક્રિયામાં અન્ય દેશો પણ પ્રવેશી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને ઓલીમ્પિક અને પેરાઓલીમ્પિક ગેમ માટે સાઉદી અરેબીયા, ઈન્ડોનેશીયા, તુર્કી અને ચીલી સાથે સ્પર્ધા કરવી પડે તેવી શકયતા છે.

    આંતરરાષ્ટ્રીય ઓલીમ્પિક કમીટીના નવા ચેરમેન અને પુર્વ ઓલીમ્પિક સ્વીમર ક્રિસ્ટી કોવેન્ટરીએ હાલમાં જ સીલેકશન પ્રક્રિયા સ્થગીત રાખવાની જાહેરાત કરી છે અને તે સમગ્રપણે રીવ્યુ કરાયા બાદ ભારત અને અન્ય દેશોની બીડ પર નિર્ણય લેવાશે.

  • ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નાલ આકારની ટનલ: ગુજરાત – રાજસ્થાનના વધુ એક માર્ગે જોડાશે

    ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નાલ આકારની ટનલ: ગુજરાત – રાજસ્થાનના વધુ એક માર્ગે જોડાશે

    કુલ રૂ.2789.16 કરોડના બજેટનો પ્રોજેકટ: વર્ષ 2026-27માં પૂરો થઈ જશે

    તારંગા હીલથી અંબાજી થઇને આબુ રોડ સુધીની 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. પહાડો અને જંગલો વચ્ચેથી નીકળતી રેલવે લાઇન 11 ટનલમાંથી પસાર થશે. જે પૈકી સાબરકાંઠાના પોશીના તાલુકામાંથી 1.860 કિલોમીટર લાંબી ટનલ લાઇનનું કામ ચાલી રહ્યું છે.

    કાટમાળને હટાવી માર્કિંગ પ્રમાણે કામ થઇ રહ્યું છે કે કેમ તે સરવેયરની ટીમ ચકાસણી કરે છે. જરૂર જણાય ત્યાં ખડકોની કટીંગ કરાય છે. આ પ્રક્રિયા નિરંતર સપ્તાહના 7 દિવસ અને 24 કલાક ચાલતી રહે છે. છેલ્લા 2 મહિનામાં 100 મીટર લાંબી ટનલનું કામ થઇ ચૂક્યું છે.

    બીજી તરફ ટનલને વધુ મજબુત બનાવવા લોખંડની અલગ-અલગ આકારની પ્લેટો સાથે ટીસીઆર દ્વારા અલગ પ્રકારના સિમેન્ટના દ્વાવણનું સ્પ્રે કરાય છે. સમયાંતરે ટનલ પર લગાવેલી લોખંડની પ્લેટો તેના સ્થળે જ છે કે ખસી રહી છે તેના પર બારીકાઇથી નજર રખાય છે.

    ઓક્સિજનના સપ્લાય માટે ટનલની શરૂઆતમાં વેલ્ટીનેશન માટે મશીન મુકાયું છે. એક મહીના પછી પહાડની બીજી બાજુથી ટનલનું કામ શરૂ કરાશે. ટનલનું કામ આગામી 3 વર્ષની અંદર પૂર્ણ કરાશે.

    આબુરોડથી અંબાજી સુધીનો હાલનો રોડ માર્ગ 20 કિમી છે. જ્યાં 30 મિનિટ લાગે છે. રેલવે ટ્રેક 32.654 કિમીનો હશે. સમય અંદાજે 30થી 50 મિનિટ લાગશે. આબુરોડથી તારંગા હિલ સુધીનો રોડ માર્ગ 73 કિમી છે. જ્યાં 1.5થી 2 કલાક લાગે છે. ટ્રેનથી અંતર 84 કિમી થશે.

    સમય પણ એટલો જ રહેશે.આબુરોડના નોર્થ વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી ચીફ ઈજનેર ચંદ્રભાનસિંહે જણાવ્યું હતું કે, આબુરોડથી અંબાજી વચ્ચે ટનલ, બ્રિજ, ઓવરબ્રિજ અને પુલિયાનું કામ ચાલી રહ્યું છે.

    98 ટકા જમીન રેલવેને મળી ગઈ છે. ટ્રેકથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે નવો વિકલ્પી રેલવે માર્ગ મળશે. આ પ્રોજેકટનું બજેટ રૂ.2798.16 કરોડ છે. હાલ 11 ટકા કામ પૂર્ણ થયું છે.116.65 કિલોમીટરનો ટ્રેક છે.જેમાં 84 કિમી ટ્રેક ગુજરાતમાં, 34 કિમી ટ્રેક રાજસ્થાનમાં છે.કામગીરી વર્ષ 2026-27માં પૂરી થઈ શકે છે.

  • મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનારયોજાયો

    મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનારયોજાયો

    જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા સતવારા સમાજની વાડી, વાઘપરા, મોરબી ખાતે મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો હતો.

    આ સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને કાયદા નિષ્ણાંત નસીમબેન ખોખર દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ વિષે વિસ્તૃત સમજ આપતા જો કોઈ મહિલા ઘરેલું હિંસાનો ભોગ બને તો તેમને શું પગલાં લેવા તે અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી   જે.બી. ત્રિવેદી દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  • મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ. યોજના હેઠળ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

    મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ. યોજના હેઠળ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

    પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય સ્થાન ઘટક હેઠળ મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ધરાવતું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે

    તા. ૨૮/૦૬/૨૦૨૫ ના રોજ રાત્રી દરમ્યાન મોરબી મહાનગરપાલિકા યુ.સી.ડી. શાખાની આગેવાની હેઠળ સંચાલક સંસ્થા સ્ટાફ અને મોરબી પોલીસ સ્ટાફ સહીત સ્થાનિક વિસ્તારોના ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલિંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના જુદા- જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રી દરમ્યાન સુતેલા લોકોને સમજાવટ દ્વારા

    આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સંસ્થા સ્ટાફ દ્વારા આ પ્રકારની નિયમિત નાઈટ ડ્રાઈવ દ્વારા લાભાર્થીઓને આશ્રયગૃહ ખાતે લાવવામાં આવે છે ત્યારે હજુ પણ અમુક લોકો રાત્રી દરમ્યાન ફૂટપાથ પર સુતેલા જોવા મળે છે અને અનેક જોખમોનો ભોગ બને છે આવા સંજોગોમાં આ પ્રકારની નાઈટ ડ્રાઈવ દ્વારા ઘરવિહોણા લોકો આશ્રયગૃહનો લાભ લઈને વધુ હકારાત્મક વલણ અપનાવી આશ્રય મેળવે ઉપરોક્ત નાઈટ ડ્રાઈવ દ્વારા ૨૨ ઘરવિહોણા લોકો અને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. સરનામું- મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ, રેલવેસ્ટેશન રોડ, મોરબી, સંચલક સંપર્ક નંબર – ૯૭૨૬૫૦૧૮૧૦

  • PM પોષણ શક્તિ યોજના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

    PM પોષણ શક્તિ યોજના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

    પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ રાજ્યભરમાં કાર્યરત હજારો સેવકોના મુદ્દાઓને લઈ આજે ભારતીય મજદૂર સંઘ – ગુજરાત પ્રદેશ સંલગ્ન કર્મચારી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવાયું.

    આ રજૂઆતમાં પોષણ શક્તિ યોજના હેઠળ કાર્યરત રસોઈયાઓ અને સંચાલકોની તાત્કાલિક અને જરૂરી માંગણીઓ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સંગઠનનું કહેવું છે કે રાજ્યની ૩૨,૦૦૦ શાળાઓમાં કાર્યરત કર્મીઓ છેલ્લા ઘણા સમયથી અન્યાયનો ભોગ બની રહ્યા છે અને તેમની નિષ્ઠાપૂર્વકની સેવાને સરકાર દ્વારા યોગ્ય માન્યતા મળતી નથી.

    મુખ્ય માંગણીઓમાં સામેલ છે:

    1. યોજનાનું ખાનગીકરણ તાકીદે રોકવામાં આવે : કેન્દ્રિય રસોડાના ટેન્ડરથી સ્થાનિક શાળાઓમાં તાજું અને પોષણયુક્ત ભોજન પૂરું પાડતી પદ્ધતિ પર વિપરીત અસર પડે છે. આ ટેન્ડર રદ કરવાની માંગણી છે.
    2. જથ્થા અને સામગ્રી સમયસર ઉપલબ્ધ થાય: રાજ્ય સરકારની અયોગ્ય પરમીટ અને વિલંબથી તાત્કાલિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેલ અને કઠોળ જેવી કાચી સામગ્રી અન્ય રાજ્યોની જેમ સીધી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ.
    3. સંચાલકોને શાળા સહાયકનો દરજ્જો આપવામાં આવે:
    4. શાળાઓમાં મેનેજર તરીકે કાર્યરત સંચાલકોને શાળા સહાયક તરીકે માન્યતા આપવા જણાવાયું.
    5. માનદ વેતનમાં સમાનતા:
    6. ગ્રામ્ય વિસ્તારમાં ૮ કલાકનું સતત શ્રમ આપતા રસોઈયાઓને શહેરી વિસ્તારોની ખાનગી સંસ્થાઓના ઓછી કામગીરી કરતા કર્મીઓની સરખામણીએ એકસરખું વેતન મળતું હોવાથી આ અસમાનતા દૂર કરવાની માંગ.
    7. અકસ્માત વખતે વળતર અને ઈલાજની યોગ્ય વ્યવસ્થા: રસોઈયાઓ અગ્નિસભર વાતાવરણમાં કાર્ય કરતા હોવાને કારણે દુર્ઘટનાની સંભાવના હોય છે. આવા સમયે તાત્કાલિક વળતર અને સરકારી ખર્ચે ઈલાજ માટે ખાસ જોગવાઇ કરવાની માંગણી.
    8. શ્રમ અને રોજગાર વિભાગના લાભો લાગુ કરવામાં આવે: ૮ કલાક કામ કરતા હોવા છતાં રસોઈયાઓને શ્રમિક હક્કો મળતા નથી. તેમને પણ તમામ શ્રમ અધિકારો પ્રાપ્ત થાય એ માટે માગણી ઉઠાવવામાં આવી.

    આ તમામ માંગણીઓ અંતે એ હેતુ સાથે રજૂ કરવામાં આવી છે કે – “રાષ્ટ્ર હિત પહેલા, યોજના હિત બીજું અને શ્રમિક હિત ત્રીજું” – તેવી ભાવનાથી આ માનદ સેવકો રાજ્યના ભવિષ્યરત બાળકોના પોષણ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સહિતની આગેવાનીમાં કર્મચારીઓ એકત્રિત થઈ આ આવેદનપત્ર સત્તાવાર રીતે સોંપાયું.

  • મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ

    મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ

    મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતીસવારે ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

    તે ઉપરાંત રામદેવપીરના પાટનું આયોજન કર્યું હતું તથા નામી અનામી કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. આ ધાર્મિક કાર્યક્રમનો મહેન્દ્રનગરના લોકો સહિતના અનેક લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી