રાજયમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ સાથે વાત કરી
રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા વિવિધ વિસ્તારોમાં સટાસટી બોલાવી રહયા છે. ત્યારે રાજય સરકાર દ્વારા ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લેવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ સાથે ટેલીફોનીક વાતચીત કરી ગુજરાતમાં વરસાદની સ્થિતિ જાણી હતી. અમિતભાઇએ જણાવેલ કે, હાલ રાજયમાં એનડીઆરએફની ટીમો પુરતા પ્રમાણમાં તૈનાત છે. જો જરૂર પડશે તો વધુ ટીમો પણ મોકલવામાં આવશે.
આ અઠવાડીયામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે. ત્યારે ગૃહમંત્રી શાહે સ્થિતિ જાણી હતી.
મારો જિલ્લો બાળ ભિક્ષા મુક્ત જિલ્લો અંતર્ગત મોરબી શહેરી વિસ્તારમાં બાળ સુરક્ષા ટીમ તેમજ AHTU ( Anti Human trafficking Unit) ના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાને બાળ ભિક્ષા મુક્ત કરવા સહીયારો પ્રયાસના ભાગ રૂપે સયુકત રેડ કરવામાં આવી હતી.
મોરબીના જુદા જુદા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે અન્ય રાજ્યના ત્રણ બાળકો મળી આવતા તેમને ભિક્ષા માંગવાની આ પ્રવૃત્તિ ન કરવા સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના વાલીઓને આ બાળકો સોંપી તેમને અને વાલીઓને શૈક્ષણિક અને સંસ્થાકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે અને વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો સાંકળા હોય,
મોટા વાહનો અંદર આવવાથી અવાર નવાર ટ્રાફીકની સમસ્યા રહેતી હોય, વાહન અકસ્માતના બનાવો બનવાની સમસ્યા સર્જાય તેમ છે. વધુમાં આગામી તા.૦૫, ૦૬ અને ૦૭ જુલાઈ દરમિયાન વાંકાનેર શહેરમાંથી મહોરમના તહેવાર અનુસંધાને તાજીયા નીકળનાર હોય,
જે તાજીયા વાંકાનેર શહેર વિસ્તારમાં લક્ષ્મીપરા, વાંઢા લીમડા ચોક, ધર્મ ચોક, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઇન બજાર, હરીદાસ રોડ, પ્રતાપ રોડ, માર્કેટ ચોક, દિવાનપરા, જીનપરા જકાતનાકા મેઇન રોડ, જકાતનાકા હાઇવે તેમજ નેશનલ હાઇવે ૮-એ પરથી વાંકાનેર મીલ પ્લોટ સુધી પસાર થનાર હોય, જેથી વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર વાહનો તેમજ પગપાળા માણસોની અવર જવર બહોળી પ્રમાણમાં રહે છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ મોરબી-વાંકાનેરથી-રાજકોટ તરફ જતા વાહનો માટે શહેરના મુખ્ય માર્ગ પર તા.૦૫/૦૭/૨૦૨૫ના સવારના કલાક-૦૮/૦૦ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના કલાક-૨૪/૦૦ વાગ્યા સુધી વૈકલ્પિક માર્ગ તરફ આવવા જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
વૈકલ્પિક રૂટ-૧: રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા,જામનગર તરફ થી આવતા ભારે વાહનો અમરસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી સરકારી હોસ્પીટલ રોડ થઇ રાતીદેવરી ગામથી-વાંકીયાગામ થઇ નેશનલ હાઇવે તરફ આવી જઇ શકશે.
વૈકલ્પિક રૂટ-૨: મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઇ રાતી દેવરી થી સરકારી હોસ્પીટલ રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી દિવાનપરા રોડ થઇ બસ સ્ટેન્ડ રોડ થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા ટંકારા, જામનગર તરફ આવી જઇ શકશે.
વૈકલ્પિક રૂટ-૩: રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા, જામનગર તરફ થી આવતા ભારે વાહનો અમરસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી સરકારી હોસ્પીટલ રોડ થઇ રાતીદેવરી ગામથી-જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે.
વૈકલ્પિક રૂટ-૪: ટંકારા, લજાઇ થી આવતા વાહનો જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે.
આ જાહેરનામામાંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.
અમદાવાદ શહેરમાં દોડતી BRTS બસમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે મુસાફરી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બસમાં સિનિયર સિટીઝનની મફત મુસાફરી માટે વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે BRTS બસમાં 65 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો મફતમાં મુસાફરી કરી શકશે. અગાઉ બસમાં મુસાફરી માટે 75 વર્ષની વયમર્યાદા હતી, જેમાં હવે ઘટાડો કરીને 65 વર્ષ કરવામાં આવ્યો છે.
સાથે જ, પહેલા 40% રકમ ચૂકવીને મળતા મુસાફરી પાસ પર મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે પણ હવે સિટી બસમાં સંપૂર્ણપણે મફત મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, બંને કેટેગરીના લાભાર્થીઓને દર વર્ષે પોતાનો પાસ રીન્યૂ કરાવવો ફરજિયાત રહેશે.
અત્યાર સુધી BRTS બસ સેવા બાબતે ડ્રાઈવરોની બેદરકારીને લઈને અનેક ફરિયાદો મળતી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં બસ ડ્રાઈવરો વિરુદ્ધ કુલ 792 ફરિયાદો નોંધાઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પરિવહન અને અન્ય સેવાઓને મજબૂત બનાવવા માટે અંદાજે 2500 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આહીર સમાજ અગ્રણી તથા સર્વે સમાજને સાથે રાખી ચાલનાર હીરાભાઈ જોટવા વિરુદ્ધ તદ્દન ખોટી તેમજ પાયાવિહોણી ફરિયાદ કરવામાં આવેલ છે. અને કોઈ રાજકીય કિન્નાખોરી રાખી સતત લોકોમાં હીરાભાઈના વધતા જતા પ્રભાવને જોઈ કોઈપણ યોગ્ય પુરાવા વિના સીધી સંડોવણી ન હોવા છતા હીરાભાઈને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.”
સત્ય પરેશાન હોય શકે પરંતુ ક્યારેય પરાજિત ન થઈ શકે” આ વિચારધારા સાથે એકલા લડવાનો તેમને નિર્ણય લીધા બાદ સમાજને મદદરૂપ થવાની હરહંમેશની ભાવનાને ધ્યાને રાખી સ્વયંભૂ આહીર સમાજે તેમની સાથે ઉભો રહેવાનું નક્કી કરેલ છે. ત્યારે આહીર સેના મોરબી જીલ્લા તેમજ આહીર સમાજ મોરબી દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 9 જુલાઈ સુધી રાજ્યના 11થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ રાજ્યના 6 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 20થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.
6 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (3 જુલાઈ) સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (4 જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
5 જુલાઈની આગાહી
5 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
6 જુલાઈની આગાહી
6 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
7 થી 9 જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી 7 થી 9 જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ધોળાવીરા પ્રવાસ કરવો હવે વધુ સરળ બને તે માટે 575 કરોડના ખર્ચે 106 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754Kને 2-લેન પેવ્ડ શોલ્ડર સાથે અપગ્રેડ કરવાની મંજૂરી મળી છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર મારફતે કરી છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાને પ્રવાસનની દ્રષ્ટિએ નવી ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ધોળાવીરાથી સંતાલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-754Kના 106 કિલોમીટર લાંબા રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથેના 2-લેન રોડમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે.
575.07 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ રોડ કચ્છના રણને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 (પૂર્વ-પશ્ચિમ કોરિડોર) સાથે જોડતો મહત્વનો રણનીતિક લિંક બનાવશે, જેનાથી ધોળાવીરા અને કચ્છના દૂરના વિસ્તારોમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને નોંધપાત્ર બળ મળશે.
આ રોડ અપગ્રેડેશનથી હડપ્પન સંસ્કૃતિનું એક અગ્રણી પુરાતત્વીય સ્થળ ધોળાવીરાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. હાલનો રસ્તો ટ્રાફિકની ભીડ અને અવારનવાર થતા અકસ્માતોનો માર સહન કરે છે.
નવો 2-લેન પેવ્ડ શોલ્ડર રોડ આ સમસ્યાઓ ઘટાડશે, સડક સલામતીમાં વધારો કરશે અને વાહનોની ઓપરેટિંગ કોસ્ટ ઘટાડીને પ્રવાસીઓને સરળ અને આરામદાયક મુસસામી અનુભવ પ્રદાન કરશે. આ ઉપરાંત, વધુ સારું માઈલેજ પ્રદાન કરશે, જેનાથી પ્રવાસીઓ માટે ધોળાવીરા પહોંચવું વધુ અનુકૂળ બનશે.
આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસનને જ નહીં, પરંતુ કચ્છના ખનિજ અને મીઠાના ઉદ્યોગો માટે પણ એક મહત્વપૂર્ણ કોરિડોર બનશે. ધોળાવીરાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વતા સાથે જોડાયેલ આ પ્રોજેક્ટ કચ્છના અલગ-થલગ વિસ્તારોને ગુજરાતના બાકીના ભાગો સાથે નજીક લાવશે. સાથે જ આ નવો રસ્તો ધોળાવીરાના પ્રાચીન ઈતિહાસ અને કચ્છના રણની અનોખી સુંદરતાને અનુભવવા ઈચ્છતા પ્રવાસીઓ માટે એક નવો દ્વાર ખોલશે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા સરકારે સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ ધોળાવીરાને એક સસ્ટેનેબલ અને રિસ્પોન્સિબલ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂ. 135 કરોડનું રોકાણ કર્યું હતું. આ યોજના હેઠળ ટેન્ટ સિટી, એમ્ફિથિયેટર, કલ્ચર વિલેજ, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાઓના વિકાસ જેવા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે. ઉપરાંત કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, જે પ્રવાસીઓને પ્રાચીન નગર ધોળાવીરાની સ્ટોરીને વધુ આકર્ષક રીતે જણાવશે.
ધોળાવીરા એ ગુજરાતનું ગૌરવ અને ભારતની સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક છે. 120 એકરમાં ફેલાયેલું હડપ્પા સભ્યતાનું શહેર આ શહેર 1967-68માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને મળી આવ્યું હતું . જે બાદઆ સ્થળે 1990થી ઉત્ખનન શરૂ થયું હતું અને કરાકોટા, માટીકામ, સોના-તાંબાના ઘરેણાં, સીલ અને પ્રાણીઓની મૂર્તિઓ મળી આવી હતી. આ સ્થળની નગર રચના અને ગટર વ્યવસ્થા આજે પણ વિશ્વભરના પુરાતત્વવિદો અને પ્રવાસીઓને આકર્ષે છે. માટે આ જગ્યાને સરકારી પહેલ, ફેસ્ટિવલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા વૈશ્વિક પ્રવાસન નકશામાં અગ્રસ્થાને લઈ જવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે.
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા ખાલી ૩૫ જગ્યાઓની સામે મોરબી જિલ્લાને ૩૪ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી ૩૩ શિક્ષકો હાજર થતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવ્યા હતા અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને અધુરાસને મધુરાશમાં ફેરવી વર્ગ અને શાળાઓને નંદનવન બનાવવાની શીખ આપી હતી. વર્ગ ૨ ના અધિકારી ભદ્રસિંહ વાઘેલા નિલેશભાઈ રાણીપા અને ભરતભાઈ વીડજાએ વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર ૧ બનાવવા શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
નવનિયુક્ત શિક્ષક દીપ પટેલ અને હીનાબેન કોડિયાએ આ પ્રસંગે તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ અંબારિયાએ કર્યું હતું.
મોરબી શહેરમાં અનેક જુના મકાનો આવેલ છે જે જોખમી હાલતમાં હોવાથી કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે મોટી માધાણી શેરીમાં પણ આવું વર્ષો જુનું જર્જરિત મકાન તોડી પાડવા લત્તાવાસીઓની માંગણી સ્વીકારી આજે મહાનગરપાલિકાએ મકાન તોડી પાડવાની કામગીરી કરી હતી.
મોરબીના દરબાર ગઢ નજીક આવેલ મોટી માધાણી શેરીમાં વર્ષો જુનું મકાન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હતું મકાન જર્જરિત થઇ ગયું હતું અને ગમે ત્યારે તૂટી પડે તેવો ભય લત્તાવાસીઓ ને સતાવતો હોવાથી ગત ઓગસ્ટ માસમાં નગરપાલિકાને રજૂઆત કરી હતી અને એપ્રિલ 2025 માં મહાનગરપાલિકાએ મકાન માલિકને આખરી નોટીસ પાઠવી બિલ્ડીંગ તોડી પાડવા સુચના આપી હતી અને આજે મહાનગરપાલિકાની ટીમે જર્જરિત મકાન તોડી પાડતા સ્થાનિકોને રાહત મળી છે.
મોટી માધાણી શેરીનું વર્ષો જુનું જોખમી મકાન તંત્રએ તોડી પાડ્યું છે જે કામગીરી આવકારદાયક છે પરંતુ મોટી માધાણી શેરીના નાકે મુખ્ય રોડ પર જ એક હજુ જોખમી મકાન આવેલ છે જે ભારે વરસાદ કે પવનને કારણે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ સકે તેમ છે જેથી શેરીના નાકે આવેલ મકાન તોડી પાડવાની તંત્ર કામગીરી કરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમીનાર યોજાયો હતો.
મોરબી જિલ્લામાં હળવદના ચરાડવા ખાતેની એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદા નિષ્ણાંત રંજનબેન મકવાણા દ્વારા માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીએ ઉપસ્થિત બહેનોને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપીને મહિલાઓની સુરક્ષા અને સલામતી બાબતે જાગૃતિ સંદેશ આપ્યો હતો.