Category: All

  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: નદીઓ ભયજનક સ્તરે: એલર્ટનાં આદેશ

    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: નદીઓ ભયજનક સ્તરે: એલર્ટનાં આદેશ

    અંબિકા,પૂર્ણા, મિંઢોળા સહિતની નદીઓ બે કાંઠે : હાલ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું જામ્યું છે

    સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરના પગલે નદી-નાળા છલકાયા છે.ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઓલન, અને ઝાખરી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ખાપરી સહિતની નદીઓ ભયજનક સપાટી વટાવી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે.

    ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના લીધે નદી, નાળા, ઝરણાં અને ડેમ છલકાયા હતા . ઘણી જગ્યા તબાહીના દ્વશ્યો પણ સામે આવ્યા છે.ડાંગની જિલ્લામાં આવેલો ગીરાધોધ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.

    ત્યારે ભારે વરસાદના લીધે હાલમાં ગીરાધોધ પાસે જવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. વરસાદની સતત વધતી તીવ્રતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે.

    જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવાના આદેશ આપ્યા છે.ખાસ કરીને નદી કિનારે આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.

    સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

  • વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી

    વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી

    ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી, લાયકાત અને વયમર્યાદા અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે.

    જણાવી દઈએ કે, ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના 35 દિવસના આંદોલનના સમયે મુખ્યમંત્રીએ કમિટી બનાવવાનું આશ્વાસન આપ્યું હતું.
    ત્યારે હવે કમિટીની રચના અંગે શૈક્ષણિક મહાસંઘની પ્રતિક્રિયા સામે આવી છે.

    ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે.તમામ શાળાઓને વ્યાયામ શિક્ષકો મળે.વ્યાયામ શિક્ષકોની ભરતી માટે બનાવાઈ કમિટી મુખ્યમંત્રીના આશ્વાસન બાદ હવે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવની અધ્યક્ષતામાં 10 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

    નોંધનીય છે કે, સરકારના શિક્ષણ વિભાગની ખેલ સહાયક યોજનામાં દરેક નિયમોમાં વિસંગતતા હોવાના કારણે તેને રદ કરવાની અને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની મુખ્ય માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

    ત્યારે ધોરણ 1થી 8ના પ્રાથમિક વિભાગમાં તો વ્યાયામ શિક્ષક હોવા એ અનિવાર્ય હોવા છતાં સરકાર દ્વારા ભરતી ન કરાતી હોવાના આક્ષેપ શિક્ષકોના સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા.
    આ ઓછું હોય તેમ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં 11 મહિનાના કરાર આધારિત વ્યાયામ શિક્ષકો માટે વિટંબણાઓનો કોઈ પાર રહ્યો નથી.તેમને વર્ષમાં ચાર મહિનાથી વધુ સમય ઘરે બેસી રહેવાનું થાય છે.

    પરિણામે પરિવારનો જીવન નિર્વાહ કેવી રીતે કરવો તે પ્રશ્નો સામે આવ્યા છે. નજીવા વળતર સાથેની નોકરીમાં પણ અનિશ્ચિતતાની સાથે કેવી રીતે કામ કરી શકાય તે વાત એર કન્ડિશન્ડ ચેમ્બરમાં બેસી રહેલાઓને સમજાઇ રહી નથી..

  • હાફિઝ સઈદ, મસુદ અઝહરને સોંપવા પાક.તૈયાર? બિલાવલનો સંકેત

    હાફિઝ સઈદ, મસુદ અઝહરને સોંપવા પાક.તૈયાર? બિલાવલનો સંકેત

    પાક.ના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતને માટે ચિંતાજનક વ્યકિતઓના પ્રત્યાર્પણમાં પાકિસ્તાનને કોઈ વાંધો હોઈ શકે નહીં : જોકે ભારતના ‘સહકાર’ની પૂર્વ શરત મુકી

    ભારતના અનેક વોન્ટેડ પાકિસ્તાનમાં શરણ લઈ રહ્યા છે અને અગાઉ ભારત દ્વારા પાકિસ્તાનને દાઉદ ઈબ્રાહીમ સહિતના વોન્ટેડને સુપ્રત કરવા કરાયેલી માંગણીમાં પણ પાકે ઠંડુ પાણી રેડયુ છે અને જૈસે મહમદ અને હીઝબુલ મુજાહીદીન સહિતના ત્રાસવાદી સંગઠનના વડાઓ પણ પાકિસ્તાનમાં સલામત છે.

    તે સમયે પાકના પૂર્વ વિદેશ મંત્રી બીલાવલ ભૂટ્ટો ઝરદારીએ એક મુલાકાતમાં કહ્યું કે, જો ભારત માટે કોઈ વ્યકિત ચિંતાજનક હોય અને તેની માંગણી કરે તો અમને આપવામાં કોઈ વાંધો નથી.


    તેમણે એવો દાવો કર્યો કે, પાકિસ્તાન ભારત સાથે વિશ્વાસભર્યા સબંધો માટે આગળ વધવા તૈયાર છે પણ મહત્વનું એ છે કે ભારતે તેમાં સહકાર આપવો જોઈએ. અલ ઝઝીરા ચેનલ સાથે એક મુલાકાતમાં તેણે આ નિવેદનો કર્યા હતા.

    તેમનું પુછાયું કે, લશ્કર એ તોયબાના વડા હાફીજ સઈદ અને જૈસે મહમદના મસૂદ અઝરને ભારતને સોંપવા અંગે પાકિસ્તાન વિચારી શકે છે તે સમયે બીલાવલે આ જવાબ આપ્યો હતો અને કહ્યું કે પાકિસ્તાન સાથે સર્વગ્રાહી વાટાઘાટોનો ભાગ હોઈ શકે મને ખાત્રી છે કે પાકિસ્તાનને તેમાં કોઈ વાંધો નહીં હોય.

  • મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP

    મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP

    મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી

    મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી કરાઇ છે.

    જિલ્લા પોલીસ વડાએ મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા યશવંતસિંહ ઝાલાને મોરબી સીટી બી ડિવિઝન, વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા રમેશચંદ્ર મિયાત્રાની સીટી એ ડિવિઝનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશભાઈ જીલરીયાની જિલ્લા કંટ્રોલમાં, માળિયામાં સુરેશભાઈ પરમારની હળવદ પોલીસ મથકમાં, ટ્રાફિક શાખાના નાગધનભાઈ ગઢવીની મોરબી તાલુકા મથકમાં, દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદમાં, લાલભા ચૌહાણની મોરબી તાલુકામાં, ટંકારામાં મહેશકુમાર ઈસરાણીની પોલીસ હેડ ક્વાર્ટરમાં,

    હસમુખ ચાવડાની ટ્રાફિક શાખામાં સીટી બી ડિવિઝનમાં, ભાવેશ ડાંગરની માળિયા પોલીસમાં, નિર્મળસિંહ જાડેજાની એલસીબી હેડ ક્વાર્ટરમાં, વિજયકમાર ચાવડાની વાયરલેસ શાખામાં, દીપક કાઠિયાની માળિયા પોલીસમાં, મોહમ્મદ રેનીઝ કડીવારની વાંકાનેર તાલુકામાં, રમેશભાઈ રાઠોડની મોરબી સીટી એ ડિવિઝનમાં , ભૂમિબેન સોલંકીની મહિલા પોલીસ મથકમાં, પ્રદિપસિંહ ઝાલાની એલસીબીમાં, મયુર ચાવડાની બી ડિવિઝનમાં બદલી કરાઇ છે

  • મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 30 માં ફાઉન્ડેશન-ડે ની ઉજવણી

    મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 30 માં ફાઉન્ડેશન-ડે ની ઉજવણી

    સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાઓને વરેલી એવી ઇન્ડિયન લાયન્સ ક્લબના ફાઉન્ડેશન-ડે ની ઉજવણી 2 જી જુલાઈના રોજ ઇડનહીલ્સ ખાતે કરવામાં આવી હતી. 2 જુલાઈ 1995 ના રોજ વડોદરા મુકામે ઇન્ડિયન લાયન કૌશિક બુમિયા તેમજ તેમના અન્ય સાથીઓને ભારતના પૈસા તેમજ અન્ય ડ્યુસ ભારતીયોને જ ઉપયોગમાં આવે તેવા ઉમદા વિચારથી ઇન્ડિયન લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.

    જે આજે વટવૃક્ષ બનીને ગુજરાતના અનેક શહેરોમાં પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સદાય અગ્રેસર રહી છે.
    ભારતીયતાને વરેલા આ વિચારને વધુ આગળ વધારવા તેમજ ઇન્ડિયન લાયન્સનો વ્યાપ વધારવામાં જેમનો સિંહફાળો છે તેવા ઈન્ડિયન લાયન હિતેશભાઈ પંડ્યા તથા ઇન્ડિયન લાયન આશાબેન પંડ્યાનો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.


    આ તકે ઇન્ડિયન લાયન્સ ક્લબ એક ફેમિલી ક્લબ હોવાથી બધાએ સાથે મળીને ઇન્ડિયન લાયન્સ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી કેક કટીંગ, ઘણી બધી ગેમો રમાડી તેમજ સંગીતમય ગીતો સાથે ઉજવણી કરી હતી.


    2017 માં મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં મોરબીના મેમ્બર બહેનો તેમજ આ સંસ્થાને આગળ વધારવા માટે તમામ દાતાઓ તેમજ મોરબીની જનતાનો ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા, ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડન્ટ મયુરબેન કોટેચા તેમજ હાલના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

  • પાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કન્ટ્રોલ : પુર્વ CIA અધિકારી

    પાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કન્ટ્રોલ : પુર્વ CIA અધિકારી

    નુરખાન એરબેઝ પાસે પાકના અણુમથકોનો કન્ટ્રોલ અમેરિકી જનરલ ધરાવે છે : ભારતના હુમલાથી આ એરબેઝને થયેલા નુકસાન બાદ યુદ્ધવિરામ થયાનું કારણ પણ આ જ હતું : નવો ધડાકો

    ઓપરેશન સિંદુર સમયે ભારતે પાકિસ્તાન પર મર્યાદીત હુમલો કર્યો અને બાદમાં ઓપરેશનને સ્થગીત કરી દીધુ તે માટે અમેરિકાની દરમ્યાનગીરી હોવાના એકથી વધુ રિપોર્ટ વચ્ચે અમેરિકાની જાસૂસી એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના એક પુર્વ ટોચના અધિકારીએ ધડાકો કર્યો છે કે વાસ્તવમાં પાકિસ્તાનના અણુશસ્ત્ર મથક નજીક ભારતના હુમલાથી અમેરિકા ચોંકી ઉઠયુ હતું અને તુર્તજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યુ હતું.


    આ અધિકારીએ એવો દાવો કર્યો છે કે, પાકિસ્તાનના અણુમથકો પર અમેરિકાનો પુર્ણ અંકુશ છે અને એક અમેરિકી જનરલ પાકિસ્તાનના અણુશસ્ત્રોના ઈન્ચાર્જ તરીકે કામ કરી રહ્યા છે. સીઆઈએના અધિકારી તરીકે પાકિસ્તાનમાં પણ કામ કરી ચૂકેલા જહોન કીરીઓકુ એ એવો ધડાકો કર્યો કે ભારતે તેના પશ્ર્ચિમી પાડોશી દેશ પર જે હુમલો મર્યાદીત કર્યો તેની પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કંટ્રોલ છે અને તેથી જ અમેરિકાએ બંને દેશો વચ્ચેના યુદ્ધમાં મોટો ભડકો ન થાય તે નિશ્ચિત કર્યુ હતું.


    આ અધિકારીએ દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લાંબા સમયથી લશ્કરી સહિતના તનાવો છે અને ભૂતકાળમાં યુદ્ધ પણ થઈ ચૂકયા છે તે જોતા અમેરિકાએ પાકિસ્તાનના આ અણુશસ્ત્રોના ભંડાર પર પોતાનો કબ્જો રાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી થોડે જ દુર નુરખાન એરબેઝ આવેલુ છે અને તે એરબેઝની પાસે જ પાકિસ્તાનના અણુશસ્ત્રોનું મુખ્ય મથક છે.


    ભારતે જયારે નુરખાન એરબેઝ પર હુમલો કર્યો ત્યારે પણ અમેરિકાની ચિંતા વધી ગઈ હતી અને કોઈ અણુ લીકેજ થયુ નથી ને તે નિશ્ર્ચિત કરવા અમેરિકી ખાસ વિમાન પાકિસ્તાન પહોંચ્યુ હતું.


    આ ઉપરાંત નુરખાન એરબેઝ પર અમેરિકી સેનાનું મહત્વનું મથક છે અને અમેરિકાએ ઈરાન સહિતના દેશો પર જે રીતે કાર્યવાહી કરી છે તેમાં નુરખાન એરબેઝની ભૂમિકા મહત્વની હતી અને અહી અમેરિકી યુદ્ધ વિમાનો પણ પાર્ક થયા છે. સેટેલાઈટ ઈમેજ પણ બતાવતા હતા કે પાકિસ્તાનના
    નુરખાન એરબેઝ પર વ્યાપક નુકશાન થયું છે.

  • દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    રાજ્યમાં હાલ પૂરજોશમાં ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. આજે વહેલી સવારથી મેઘરાજા મનમૂકીએને વરસી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાની ગલીઓમાં જાણે નદીઓ વહી રહી હોય એવા દ્વશ્યો નજરે પડી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરની સીડીઓ પર ખળખળ વરસાદી પાણી વહી રહ્યા છે.


    અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો વલસાડના કપરાડામાં 3.5 ઇંચ, ધરમપુરમાં 3.46, દ્વારકાના કલ્યાણપુરમાં 3.43 ઇંચ, તાપીના વ્યારામાં 3.35 ઇંચ, ડાંગ-આહવામાં 3.11 ઇંચ અને તાપીના સોનગઢમાં 3.07 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 13 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ, જ્યારે 10 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.


    ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ
    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે.


    હવામાન વિભાગની આગાહી
    ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે.


    ક્યાં ક્યાં રેડ એલર્ટ
    હવામાન વિભાગ અનુસાર, શનિવારે (પાંચમી જુલાઈ) ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.


    છઠ્ઠી અને સાતમી જુલાઈની આગાહી
    રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.


    આઠમીથી 10મી જુલાઈની આગાહી
    આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

  • ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી : પંચમહાલમાં 3ના મોત

    ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી : પંચમહાલમાં 3ના મોત

    આરોગ્યતંત્ર એકશનમાં : પુડુચેરી – પુનાથી નિષ્ણાંતો તેડાવાયા

    પંચમહાલ જિલ્લામાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. 7 દિવસમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા હતા.


    જો કે આ ત્રણેય દર્દીમાં ચાંદીપુરા વાઈરસના કોઇ લક્ષણ દેખાયા ન હતા, પરંતુ તાવ સાથે ખેંચના કારણે મૃત્યુ નીપજ્યાં હતા. આ તમામ દર્દીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા હતા. જે પૈકી ગોધરા તાલુકાના ડોકવા ગામનું એક બાળક તાવ  સાથે ખેંચની બીમારીની સારવાર હેઠળ છે.


    આ બાળકનું સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલાયું છે. સ્થિતિની ગંભીરતા જોતા, પુડ્ડુચેરીની એક હેલ્થ ટીમ અને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ પંચમહાલ આવી પહોંચી છે.


    રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ સાથે આ ટીમો વાઈરસના ફેલાવા, તેના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેના પગલાં અંગે તપાસ કરી રહી છે. ટીમો દ્વારા સેમ્પલો લેવાઈ રહ્યા છે.
    ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે.તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજનો સોજો જોવા મળે છે. આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે.


    ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે. લોકોને સાવચેત રહેવા અને વાઈરસથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકોને મચ્છર કરડવાથી બચાવવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.

  • વોટ્સઍપનું નવું ફીચર્સ : વોટ્સઍપમાં જ ડોક્યુમેન્ટ સ્કેન કરી બનાવી શકાશે PDF

    વોટ્સઍપનું નવું ફીચર્સ : વોટ્સઍપમાં જ ડોક્યુમેન્ટ સ્કેન કરી બનાવી શકાશે PDF

    અત્યાર સુધી કોઈ ડોક્યુમેન્ટ કે ફોટો સ્કેન કરવો હોય તો એ માટે અલગથી ઍપ ડાઉનલોડ કરવી પડતી હતી, પરંતુ હવે આ ફીચર વોટ્સઍપમાં પણ ઉપલબ્ધ થઈ ગયું છે. આ ફીચર વાપરીને વોટ્સઍપમાં જ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (PDF) ફાઇન બનાવી શકાશે.

    વોટ્સઍપના નવાં ફીચર્સ ટ્રેક કરનારી વેબસાઇટના રિપોર્ટ મુજબ, વોટ્સઍપ પર ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું ફીચર આવી ગયું છે. ઍન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે આ નવું ફીચર આવ્યું છે.

    જેમાં કોઈ પણ ડોક્યુમેન્ટ કે ફોટોને સ્કેન કરી શકાશે. છેલ્લા થોડા મહિનાઓથી એપલના ફોનમાં આ ફીચર ઉપલબ્ધ હતું. ગુગલ પ્લેસ્ટોરમાંથી વોટ્સઍપનું લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરવાથી આ ફીચર કાર્યરત થઈ જશે.

  • ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે ઈસરોનું સ્પેસ સેન્ટર આકાર લેશે

    ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે ઈસરોનું સ્પેસ સેન્ટર આકાર લેશે

    ગુજરાતમાં આવી રહ્યો છે સૌથી મોટો પ્રોજેક્ટઃગુજરાત અવકાશ મથક કેન્દ્ર-રાજ્ય સહયોગી પહેલ હેઠળ PPP મોડેલ પર વિકસાવવામાં આવશે

    ગુજરાત અવકાશ મિશન નીતિ મોટા આર્થિક અને તકનીકી લાભો પ્રદાન કરશે. એક્વોટરની ગુજરાતની નિકટતા અવકાશ પ્રક્ષેપણમાં ક્રાંતિકારીને વેગ આપશે. ઇસરોનો ૭૦ ટકા કાર્યક્રમ હવે સંદેશાવ્યવહાર, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન-૫, મુખ્ય-પર-મુખ્ય ગગનયાન અને શુક્ર ઓર્બિટ મિશન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે.

    ઈસરો શ્રીહરિકોટા પછી ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવવા જઈ રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. CNBC-Awaaz એ આ મુદ્દે ISRO ના ડિરેક્ટર સાથે વિશિષ્ટ વાતચીત કરી છે.

    આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર ગુજરાતમાં રૃ.૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે બનાવવામાં આવશે. ગુજરાત અવકાશ મથક કેન્દ્ર-રાજ્ય સહયોગી પહેલ હેઠળ PPP મોડેલ પર વિકસાવવામાં આવશે. આ હાઇ-ટેક સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. SALV-PSLV અહીંથી લોન્ચ કરવામાં આવશે.

    નોંધનીય છે કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) નું મુખ્ય રોકેટ લોન્ચ પેડ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ કેન્દ્રમાં છે. અહીંથી જ ભારતે અત્યાર સુધીમાં ઘણા ઐતિહાસિક મિશન લોન્ચ કર્યા છે. PSLV અને GSLV જેવા રોકેટની મદદથી, દેશ અને વિશ્વના ઘણા ઉપગ્રહોને આ કેન્દ્રથી અવકાશમાં મોકલવામાં આવ્યા છે.

    ગુજરાત અવકાશ મિશન નીતિ મુખ્ય આર્થિક અને તકનીકી લાભો પ્રદાન કરશે. એકવોટરની ગુજરાતની નિકટતા અવકાશ પ્રક્ષેપણમાં ક્રાંતિકારી ધાર આપશે. ISRO ના કાર્યક્રમનો ૭૦ ટકા ભાગ હવે સંદેશાવ્યવહાર, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન ૫, મુખ્ય ગગનયાન અને શુક્ર ભ્રમણકક્ષા મિશન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે. ગુજરાત અવકાશ મથક ભારતના અવકાશ મિશનને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

    તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે એપ્રિલ ૨૦૨૫ માં વિવિધ પ્રોત્સાહનો અને નાણાકીય સહાય દ્વારા અવકાશ ટેકનોલોજી ક્ષેત્રના ઉદ્યોગોને ટેકો આપવા માટે એક સમર્પિત નીતિની જાહેરાત કરી હતી. આ જણાવાયું છે કે સ્પેસટેક પોલિસી ૨૦૨૫-૨૦૩૦ ના લોન્ચ સાથે, ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે અવકાશ ક્ષેત્ર માટે ખાસ નીતિ બનાવી છે. આ નીતિના અસરકારક અમલીકરણ માટે, ગુજરાત સરકાર ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO), ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર અથવા IN-SPACE અને કેન્દ્ર સરકારના અવકાશ વિભાગ સાથે કામ કરી રહી છે.