

ગુજરાતમાં આગામી ચોમાસાને લઈને ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં રાજ્યના 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આ વર્ષના ચોમાસા અંગે મહત્વનો વરતારો રજૂ કર્યો છે.

આગાહીકારોના મતે, આ વર્ષે રાજ્યમાં સરેરાશ 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. આ બેઠકમાં ચોમાસાના આગમન અને વાવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ખેડૂતો માટે વાવણી અંગેની માર્ગદર્શિકા જાહેર કરતા તજજ્ઞોએ જણાવ્યું છે કે, આ વર્ષે વાવણી ત્રણ તબક્કામાં થઈ શકે છે. આમાં ખેડૂતો 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ સુધીમાં વાવણી કરી શકશે. રાહતની વાત એ છે કે, આ વખતે વાવાઝોડાનો કોઈ ખતરો નથી, જે ખેતીના પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરતારા મુજબ, આ ચોમાસું અંદાજે 15 ઓક્ટોબરની આસપાસ વિદાય લેશે.

























