
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે તેઓ આવ્યા હતા ત્યારે તેઓનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો અને કહ્યું હતું કે “જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે અને મિનિસ્ટરો તેમજ ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાના છે આટલું જ નહીં પૂર્વ કલેકટર દ્વારા કરવામાં આવેલા ઓર્ડર સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન ગુરુવારે રાત્રે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિતના 12 જિલ્લાના ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપવાસી છાવણી ખાતે આવેલા ખેડૂતોએ પોતાના વળતર બાબતે લાગણી અને સૂચનો રજૂ કર્યા હતા ત્યારબાદ કાર્યક્રમના અંતે સહુનો આભાર વ્યક્ત કરવા માટે થઈને આંદોલન સમિતિના સભ્ય તેમજ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃત્યના નાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા ઉભા થયા હતા.

ત્યારે તેઓએ છેલ્લા દિવસોથી ચાલતા ખેડૂત આંદોલનમાં સહકાર આપનાર તમામ ખેડૂતોના આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આંદોલનમાં લોકોના જમણવારથી લઈને અનેક પ્રકારની સેવાઓમાં સહકાર આપનાર બેન દીકરીઓને ચંડી અને ચામુંડાનું રૂપ ગણાવીને તમામ ખેડૂતોને સિંહ સમાન ગણાવ્યા હતા ત્યારબાદ તેઓએ કહ્યું હતું કે આંદોલન પાર્ટ 3 નહીં હવે પાર્ટ 4 સીધું ચાલુ કરો. હવે ભૂખ્યાન મરવાનું નથી એને મારવાના છે અને આ આંદોલન દરમિયાન કોઈપણ આંદોલનકારી કે ખેડૂતને કોઈપણ વ્યક્તિ ધમકી આપે તો તેનો નંબર મને આપજો એવો કયો ધમકી દેવા વાળો પેદા થયો.

તમે અમારા ખેતરમાં થાંભલા નાખી ગયા છો શું અમે તમારા ઘરમાં નહીં ધરીએ, હવે મિનિસ્ટરો અને ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાના છે અને જો ખેડૂતોને પૂરતું વળતર ન મળે તો જે મિનિસ્ટરો લાલ લાઈટ વાળી ગાડીમાં ફરે છે તેને 108 માં ઘાલવાના છે.

મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર કે.બી.ઝવેરીએ કરેલા ઓર્ડરને ધ્યાન રાખીને રાકેશભાઇએ કહ્યું હતું કે “જે ઓર્ડર આપ્યો તે એના બાપના ખેતર હતા ખેતર અમારા બાપના છે, એક દી અને પકડ્યાવો છે અને અહીંયા થાંભલે ન બાંધુ તો અમૃતિયાના પેટનો નહીં” તેવી ચેલેન્જ આપી હતી. આમ ખેડૂતોનું આંદોલન હવે ધીમે ધીમે ઉગ્ર રૂપ પકડતું હોય તેવું દેખાઈ રહ્યું છે



















