HomeAllકાલથી તહેવારોની મોસમઃ ભારતીયો ખર્ચશે અંદાજે ૨-૧૪ લાખ કરોડ

કાલથી તહેવારોની મોસમઃ ભારતીયો ખર્ચશે અંદાજે ૨-૧૪ લાખ કરોડ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે અનિશ્ચિતતાનો માહોલ હોવા છતાં ભારતમાં તહેવારોની ખરીદીની મોસમ શરૂ થવા જઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે ગ્રાહક માંગમાં વધારો, વધતી ઘરગથ્થુ સંપત્તિ અને સમૃદ્ધ વર્ગના વિસ્તરણને કારણે તહેવારો દરમિયાન બજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી શકે છે.

બીસીજીના અંદાજ મુજબ તહેવારો અને લગ્નની મોસમ દરમિયાન દેશમાં કુલ ગ્રાહક ખર્ચ રૂ. ૧૨ લાખ કરોડથી રૂ. ૧૪ લાખ કરોડ સુધી પહોંચી શકે છે. ગણેશ ચતુર્થી અને દુર્ગા પૂજાથી લઈને દિવાળી તથા નાતાલ સુધીનો સમયગાળો વિવિધ ક્ષેત્રો માટે ખરીદીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તહેવારો દરમિયાન કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ, બ્રાન્ડેડ ચીજવસ્તુઓ અને અન્ય પ્રીમિયમ ઉત્પાદનોની માંગ વધવાની અપેક્ષા છે. ખાસ કરીને લગ્નની મોસમ પણ આ સમયગાળામાં શરૂ થતી હોવાથી લગ્ન સંબંધિત ખરીદી કુલ ખર્ચમાં મોટો હિસ્સો ધરાવી શકે છે. દૈનિક વપરાશની ખાદ્ય અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને આ અંદાજમાં સામેલ કરવામાં આવી નથી.

બજારમાં પ્રીમિયમ ઉત્પાદનો તરફ ગ્રાહકોનો વધતો ઝોક પણ મહત્વપૂર્ણ પરિબળ બની રહ્યો છે. સ્માર્ટફોન, ઓટોમોબાઇલ્સ, વૈભવી આવાસ અને બ્રાન્ડેડ ઉત્પાદનોમાં વધુ ખર્ચ કરવાની વૃત્તિથી આગામી મહિનાઓમાં બજારમાં નાણાંનું પરિભ્રમણ વધવાની અને અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે.

બીજી તરફ વૈશ્વિક ભૂ-રાજકીય અનિશ્ચિતતા તહેવારોની ખરીદી સામે પડકાર બની શકે છે. અમેરિકા-ઈરાન સંઘર્ષની અસર વૈશ્વિક પુરવઠા શૃંખલા, કોમોડિટી બજાર અને ફુગાવા પર જોવા મળી રહી છે. તેમ છતાં હાલ ભારતીય ગ્રાહકો ખરીદીમાં મોટો ઘટાડો કરે તેવા સ્પષ્ટ સંકેતો જોવા મળ્યા નથી.

ઉદ્યોગ જગતને આશા છે કે તહેવારો અને લગ્નની મોસમ દરમિયાન ગ્રાહકો ખરીદી ચાલુ રાખશે તેમજ પ્રીમિયમ ઉત્પાદનો તરફનો ઝોક જળવાઈ રહેશે. પરિણામે આગામી મહિનાઓ રિટેલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ અને બ્રાન્ડેડ ઉત્પાદનો સહિતના ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ બની શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments