HomeAllકાયદો માત્ર દેખાડો કરવા છે? હવે સીધા અધિકારીઓ જ જેલમાં જશે!, ગેરકાયદે...

કાયદો માત્ર દેખાડો કરવા છે? હવે સીધા અધિકારીઓ જ જેલમાં જશે!, ગેરકાયદે બાંધકામો પર સુપ્રીમ કોર્ટ લાલચોળ

દિલ્હી-NCR અને દેશના અન્ય ભાગોમાં ગેરકાયદે બાંધકામો અને સુરક્ષાના નિયમોના સરેઆમ ઉલ્લંઘન અંગે સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓ સામે લાલ આંખ કરી છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે, તંત્ર દ્વારા માત્ર ‘દેખાડો કરવા માટેની કામગીરી’ (face-saving exercises) થઈ રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગેરકાયદે બાંધકામો રોકવામાં નિષ્ફળ રહેલા જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે.

માત્ર બિલ્ડરો સામે કાર્યવાહી કેમ? સુપ્રીમ કોર્ટની નારાજગી

સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી અને અન્ય સત્તાવાળાઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘જ્યારે પણ કોઈ ગેરકાયદે બાંધકામ પકડાય છે, ત્યારે માત્ર બિલ્ડરો સામે જ કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ, જે વિસ્તારોમાં આવા મોટા પાયે નિયમોના ધજાગરા ઉડ્યા હોય, ત્યાંના પ્રભારી અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી? હાઇકોર્ટની રોક હોવા છતાં MCDના અધિકારીઓની મિલીભગતથી બેફામ બાંધકામો ચાલુ રહ્યા હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી થશે: કોર્ટની ચેતવણી

સુપ્રીમ કોર્ટે અગાઉ 20 મેના રોજ આપેલા આદેશમાં દિલ્હીના લાજપત નગર અને સરોજિની નગર જેવા વિસ્તારોમાં ક્ષમતા કરતાં વધુ ભાર ધરાવતી અને અસુરક્ષિત ઇમારતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું, ‘અમે હવે એવો આદેશ પસાર કરીશું જે ઘણા લોકોને ભીંસમાં મૂકશે. ગેરકાયદે બાંધકામો માટે અમે હવે સીધા જ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીશું અને બધું લેખિતમાં સ્પષ્ટ કરીશું.’

ઘટનાઓ વધી પણ સરકારી તંત્ર ઊંઘતું રહ્યું

તાજેતરમાં બનેલી મોટી હોનારતોનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કે કોર્ટની અગાઉની સૂચનાઓ છતાં તંત્રએ કોઈ અસરકારક પગલાં લીધા નથી. દિલ્હીના સાકેતમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના, માલવીયા નગરમાં લાગેલી આગ અને લખનૌના અલીગંજમાં કોચિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગ જેવી ઘટનાઓ ન્યૂઝ રિપોર્ટ્સમાં સારી રીતે નોંધાયેલી છે. સાકેતમાં ગેરકાયદેસર રીતે વધારાના માળ બનાવવાની લાલચમાં ઇમારત તૂટી પડતાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે લખનૌના અલીગંજમાં એક ત્રણ માળની કોમર્શિયલ ઇમારતમાં લાગેલી આગમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવા IIT દિલ્હીના પ્રોફેસરોની ટીમ બનશે

વાસ્તવિક સ્થિતિની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે IIT દિલ્હીના બે વરિષ્ઠ પ્રોફેસરો અને બે ડ્રાફ્ટસમેનની એક વિશેષ ઇન્સ્પેક્શન ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ટીમ MCDના અધિકારીઓ સાથે મળીને દિલ્હીના માલવીયા નગર, સાકેત અને લાજપત નગર તેમજ લખનૌના અલીગંજ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોની તપાસ કરીને પોતાનો અહેવાલ સોંપશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંકલન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી કરશે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને પણ તેમના રાજ્યમાં ગેરકાયદે બાંધકામો સામે લેવાયેલા પગલાંની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments