
મોરબી:ના મચ્છુ 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ તથા કેચમેંટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ હતી જો કે, ચાલુ વર્ષે આ ડેમના અત્યાર સુધીમાં બે વખત દરવાજા ખોલવામાં આવેલ છે જેમાં કુલ મળીને 3100 એમસીએફટી કરતાં પણ વધુ પાણી મચ્છુ નદીમાં છોડી દેવામાં આવ્યું છે.જેથી એવું કહી શકાય કે બાર મહિના સુધી મોરબી અને માળીયા તાલુકાને પાણી પૂરું પડતો મહાકાય મચ્છુ 2 ડેમાં આખો ખાલી હોય તો પણ છલોછલ ભરાઈ જાય તેટલું પાણી ડેમના દરવાજા ખોલીને નદીમાં છોડી દેવામાં આવ્યું છે અને આજની તારીખે પણ ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યો છે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

મોરબીનો મચ્છુ 2 ડેમ મોરબી અને માળીયા તાલુકાનાં લોકો માટે આશીર્વાદ સમાન છે કેમ કે, ચોમાસામાં સારા વરસાદથી આ ડેમ ભરાઈ જાય એટ્લે આ બંને તાલુકાનાં લોકોને પીવાના અને સિંચાઇ માટેના પાણીની ચિંતામાંથી મુક્તિ મળી જતી હોય છે જો કે, શનિવારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ તથા કેચમેંટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે મોરબીના મચ્છુ 2 ડેમમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થવા લાગી હતી. જેથી ડેમના વધુમાં વધુ 16 દરવાજાને 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને 1,08,800 ક્યુસેક કરતાં વધુ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવેલ હતો જોકે રવિવારે વરસાદ નહિવત હતો અને આજે સવારથી પણ વરસાદ નથી તો પણ ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે અને કેચમેટમાં થયેલા વરસાદથી ડેમમાં હજુ પણ વરસાદી પાણીની આવક ચાલુ છે જેથી કરીને આજ પણ ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા રાખવામા આવેલ છે. અને 4468 કયુસેક પાણીની આવક સામે જાવક કરવામાં આવી રહી છે અને મચ્છુ-2 નું પાણી મચ્છુ-3 ડેમમાં આવી રહ્યું છે જેથી મચ્છુ-3 ડેમ પણ ભરાઈ ગયો છે અને તે ડેમના 2 દરવાજને 1 ફૂટ સુધી ખુલ્લા રાખીને જેટલા પાણીની આવક થાય છે તેટલા જ પાણીની જાવક કરવામાં આવી રહી છે જો કે, મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું તેનાથી બાજુ મોટા પ્રમાણમા કોઈ જગ્યાએ નુકશાન થયું નથી.

જો કે, નદી કાંઠે આવેલા ખેડૂતોના ખેતરમાં જે પાકનું વાવેતર કર્યું હતું તેનો સોથ વળી ગયો છે. હાલમાં સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ 2 ડેમની જળ સપાટી 33 ફૂટની છે અને આ ડેમ ની અંદર 3104 એમસીએફટી પાણીને સમાવી શકાય તેવી ક્ષમતા છે જો કે, ચાલુ વર્ષ ડેમમાં ખૂબ જ પાણીની આવક થયેલ હોવાથી ગત તા. 25 ના રોજ પહેલી વખત ડેમના 7 દરવાજને ખોલવામાં આવ્યા હતા.

અને ત્યાર બાદ તા 1/8 ના રોજ ભારે વરસાદના લીધે પાણીની આવક વધતાં ડેમના કુલ 38 પૈકીનાં 16 દરવાજાને ખોલીને પાણીને નદીમાં છોડવામાં આવ્યું હતું આમ ચાલુ વર્ષે બે વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા તેમાં 3100 એમસીએફટી કરતાં વધુ પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું છે એટ્લે એવું કહી શકયા કે આ ડેમ આખો ખાલી હોય તો પણ 100 ટકા ભરાઈ જાય તેટલું પાણી ચાલુ વર્ષે જુદાજુદા બે સમયે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે નદીમાં વહી ગયું છે. અત્યાર સુધીમાં એક જ વખત ડેમના તમામ દરવાજ ખોલવામાં આવ્યા છે વર્ષ 2017 માં ભારે વરસાદ હતો ત્યારે આ ડેમના 38 દરવાજા ખોલીને ડેમની સલામતી માટે વધારાના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યા હતો જો કે, ચાલુ વર્ષે છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી ડેમમાં પાણીની આવક થતાં હાલમાં પણ 2 દરવાજા ખુલ્લા રાખીને ડેમમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે જો કે, આ ડેમ તૂટી ગયો અને ત્યાર બાદ ફરી બનાવવામાં આવ્યો ત્યાર થી લઈને આજ સુધીમાં આ ડેમમાં તમામ દરવાજાઓને એક જ વખત વર્ષ 2017 માં ખોલવામાં આવ્યા હતા.





















