
ઉત્કૃષ્ટ સામાજિક પહેલ તરીકે સ્થાનિક રઘુવંશી પ્રતિનિધિ મંડળ દ્વારા 5મા સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજના સહયોગ અને ઉત્સાહ વચ્ચે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં એકતા અને સંસ્કારનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ખમીદાણાવાળા જાનકીદાસજી મહારાજ તેમજ ગિરનારી આશ્રમવાળા સાધ્વી હંસાગિરિ માતાજીએ ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા અને કાર્યક્રમને આધ્યાત્મિક ભાવનાથી પરિપૂર્ણ બનાવ્યો.

સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં કુલ 51 બટુકોએ વિધિવત જનોઈ ધારણ કરી હતી. વિધિ પૂર્ણ થયા બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 3000 જેટલા લોકોએ સહભાગી બની પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

રઘુવંશી યુવક મંડળના આગેવાનો દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે આજના મોંઘવારીના સમયમાં આવા સમૂહ આયોજનો અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
સમૂહ આયોજનથી વ્યક્તિગત ખર્ચમાં ઘટાડો થાય છે તેમજ સમાજમાં એકતા અને સહકારની ભાવના મજબૂત બને છે.
























