મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ!: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે મગફળીના ગોડાઉનમાં શનિવારે આગ લાગી હતી જે આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરને કામે લગાડવામાં આવેલ છે. હજુ પણ આગ સો ટકા કાબુમાં લેવામાં આવેલ નથી.

જેથી કરીને 4 ફાયર ફાઈટરને સ્થળ ઉપર રાખીને પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે તેની સાથો સાથ જે મગફળીનો જથ્થો ગોડાઉનમાં બળીને ખાખ થઈ ગયેલ છે તેને હટાવવા માટે હાલમાં હિટાચી મશીનને કામે લગાડીને બળી ગયેલ માલને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તેવી માહિતી મોરબી મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

રફાળેશ્વર ગામ પાસે આવેલ મેજિક સિરામિક નામના કારખાનાની અંદર ગોડાઉનમાં મગફળીના જથ્થામાં શનિવારે તા.4/7ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ ત્યાં પહોચી હતી આગને કાબુમાં લેવા માટે પહેલા મોરબી, રાજકોટ, જામનગર અને વાંકાનેરથી બોલાવેલ 10 ફાયર ફાઇટરોને કામે લગાડવામાં આવ્યા હતા.

ત્યાર બાદ આગ કાબુમાં ન આવતા ક્રમશ: 6 ફાયર ફાઇટરોને છૂટા કરવામાં આવ્યા હતા જો કે, હજુ પણ આગ સો ટકા કાબૂ આવેલ નથી જેથી બુધવારે સાંજે પણ 4 ફાયર ફાઇટરોને સ્થળ ઉપર ઊભા રાખીને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને જે મગફળી ગોડાઉનમાં બળીને ખાખ થઈ ગયેલ છે

તે બળી ગયેલ માલને બહાર કાઢવા માટે હાલમાં હિટાચી મશીનને સ્થળ ઉપર કામે લગાડીને બળી ગયેલ મગફળીને હટાવવામાં આવી રહી છે અને હજુ બધુ જ ચોખ્ખું થતાં બે દિવસ જેટલો સમય લાગશે તેવી માહિતી ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે.

ઉલેખનીય છેકે, આ ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 35 કિલો વજનની એક એવી કુલ મળીને 1,59,581 ગુણી મૂકવામાં આવી હતી જેની કુલ કિંમત 44,46,31,899 રૂપિયા થાય છે. અને આગ લાગવાની ઘટનાના મૂળ સુધી જવા માટે એફએસએલની ટિમ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટીયા અને તેની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.