
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સાવરની પાર તરીકે ઓળખાતા વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા માટે મહાપાલિકા દ્વારા 300 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવા અંતિમ નોટિસ આપવામાં આવેલ છે.

જેથી સ્થાનિક લોકો શુક્રવારે મોડી સાંજે મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને ડિમોલેશન કરતાં પહેલા તેઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસ યોજનામાં મકના કે પછી પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. મોરબીના પંચાસરોડને પહોળો કરવા માટે તેને અગાઉ 225 થી વધુ મકાનોને વર્ષ 2023 માં ડિમોલેશન કરીને તોડી પાડવામાં આવ્યા હતા

અને ત્યાર બાદ તે રોડને પહોળો બનાવવામાં આવ્યો છે જોકે પંચાસરોડની બાજુમાં આવેલ સાવરની પાર તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતા પરિવારના લોકોને સરકારી જમીન ખાલી કરવા માટે તંત્ર દ્વારા અગાઉ માર્ચ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી.

ત્યારે સ્થાનિક લોકો દ્વારા ડિમોલેશનને રોકવા માટે કલેકટરમાં રજૂઆત કરવામાં આવી હતી યાર બાદ મામલો હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો જો કે, હાઇકોર્ટે તમામની રજૂઆત સાંભળીને નવેસરથી હુકમ કરવા માટે કહ્યું હતું જેથી મહાપાલિકા દ્વારા સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરીને ડિમોલીશન માટેની દબાણકારોને અંતિમ નોટિસ આપવામાં આવેલ છે.

અને લગભગ આગામી સપ્તાહમાં લગભગ 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે. જો કે, ત્યાર પહેલા શુક્રવારે મોડી સાંજે સાવરની પાર વિસ્તારમાં જે આસામીઓને નોટિસો આપવામાં આવી છે ત્યાંથી મહિલાઓ, બાળકો સહિતના લગભગ 200 જેટલા લોકો મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને કમિશનરને આવેદનપત્ર પાઠવીને ડિમોલીશન કરતાં પહેલા તેઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસ યોજનામાં મકાન કે પછી પ્લોટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
























