
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સામાજિક સંગઠન ક્રાંતિકારી સેનાના નામ અને લોગાના ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તે અંગેની લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

ક્રાંતિકારી સેના સંગઠનના સભ્ય યોગેશભાઈ રમેશભાઈ ગાંભવાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2013 થી મોરબીમાં કાર્યરત ક્રાંતિકારી સેનામાં આશરે 500 જેટલા સભ્યો જોડાયેલા છે અને સંગઠન મુખ્યત્વે સામાજિક સેવા તેમજ અબોલ જીવોની સેવા માટે કાર્ય કરે છે. સંગઠનની કોઈપણ રાજકીય પાર્ટી અથવા પ્રવૃત્તિ સાથે કોઈ જોડાણ નથી અને તે બિનરાજકીય તરીકે ઓળખ ધરાવે છે.

જો કે, તાજેતરમાં વડોદરાના રહેવાસી શ્રેય મહેન્દ્રભાઈ પટેલે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સંગઠનનું નામ, રજિસ્ટર્ડ લોગો અને પોસ્ટરોનો દૂરઉપયોગ કર્યો હતો. જેથી કરીને સામાન્ય નાગરિકોમાં સંગઠન વિષે ખોટો ભ્રમ ઊભો થાય અને સંગઠનની પ્રતિષ્ઠાને નુકસાન પહોચે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે.

અને તેણે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો પોસ્ટ કરીને પોતાને માસ્કમેન તરીકે પ્રોજેક્ટ કરી અંગત રાજકીય અને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે તેવો હાલમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

























