
મોરબી: મચ્છુ-2 ડેમના 16 દરવાજા ખોલાતા ડેમનું પાણી બેઠા પુલ પરથી વહેતું હોવાથી જાહેર સલામતીના હિતમાં વહીવટી તંત્ર દ્વારા બેઠો પુલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. પરિણામે શહેરનો સમગ્ર વાહનવ્યવહાર મયુર પુલ તરફ ડાયવર્ટ કરવામાં આવતા ત્યાં ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ છે.

મોરબીમાં ગત રાત્રે 12 વાગ્યાથી લઈને આજે સાંજે આશરે 4 વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો હતો. અવિરત વરસાદને કારણે મોટાભાગના લોકો ઘરોમાં જ રહ્યા હતા. જોકે, સાંજના સમયે વરસાદે વિરામ લેતા લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ નોંધપાત્ર રીતે વધી હતી.

બેઠો પુલ બંધ હોવાના કારણે તમામ વાહનો મયુર પુલ પરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે પુલ અને તેની આસપાસના માર્ગો પર ટ્રાફિકનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, મચ્છુ નદીમાં આવેલા પાણીના પ્રવાહ તેમજ બેઠા પુલ પરથી વહેતા પાણીનું દૃશ્ય જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક ભીડ ન કરવા તથા જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી ટ્રાફિક વ્યવસ્થાનું સુચારૂ સંચાલન જાળવી શકાય.





















