૫ેપર લીક મામલે સીજેપીના દેશવ્યાપી આંદોલન પછી થતી કડક કાર્યવાહીના મામલે સુનાવણીઃ પુરાવા સુરક્ષિત રાખવા તાકીદ

નવી દિલ્હી: પેપરલીક મામલે કોકરોચ જનતા પાર્ટીના આંદોલન પછી સરકારે બાહેંધરી આપવા છતાં દેશના ઘણાં રાજયો તથા દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે કાનૂની કાર્યવાહી થઈ રહી હોવાનો મામલો સુપ્રિમકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં બન્ને તરફની દલીલો સાંભળ્યા પછી સુપ્રિમકોર્ટે સગીરોને છોડી મૂકવા, પુરાવા સુરક્ષિત રાખવાના આદેશ સાથે પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા સામે સ્ટે આપ્યો છે.

પેપર લીક મામલે સીજે૫ીના દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ૫છી પોલીસે કરેલી કાર્યવાહી સુપ્રિમ કોર્ટમાં પહોંચી છે. સીજેઆઈ સૂર્યા કાંતની ખંડપીઠે તમામ રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી પર સ્ટે આપ્યો છે.

આ ઉપરાંત, જેલમાં બંધ તમામ સગીરોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. જોકે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને રાહત મળશે નહીં. પોલીસે તમામ પુરાવા સુરક્ષિત રાખવા પડશે. કોકરોચ જનતા પાર્ટી દ્વારા પેપર લીક મામલે શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન પછી પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે.

આ કેસમાં સુપ્રિમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યા કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અન્ય રાજ્યોમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને લઈને મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે તમામ રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામે કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરવા પર સ્ટે આપ્યો છે. આ સાથે જ જેલમાં બંધ તમામ સગીરોને તુરંત જ મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.

અદાલતે આપેલા વચગાળાના આદેશની મુખ્ય બાબતો જોઈએ તો દેશભરના રાજ્યોમાં આંદોલનકારીઓ સામે કડક કાર્યવાહી કરવા પર સ્ટે, કસ્ટડીમાં લેવાયેલા તમામ સગીરોને તાત્કાલિક મુક્ત કરવા આદેશ આપ્યો છે, પરંતુ ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને રાહત નહીં મળે તે ઉપરાંત, હિંસા અને પક્ષપાતની તપાસ માટે હાઇ-પાવર્ડ કમિટીની રચનાનો પ્રસ્તાવ છે. તદૃપરાંત સીસીટીવી, ડ્રોન અને ફેસિયલ રેકગ્નિશન ડેટા જાહેર કરવા પર સખત મનાઈ ફરમાવાઈ છે.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેમનો અગાઉથી કોઈ ગુનાહિત ભૂતકાળ છે, તેમને આ સ્ટેનો લાભ મળશે નહીં.

અદાલતે કહ્યુ છે કે, લોકશાહીમાં આવા આંદોલનો અને વિરોધ પ્રદર્શનો થવાના જ છે. પરંતુ આપણે એ પણ જોવું પડશે કે પોલીસ પર હુમલો કરનારા વાસ્તવમાં વિદ્યાર્થીઓ જ હતા કે પછી કોઈ અસામાજિક તત્વો હતાં.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓના આંદોલનમાં ગુનાહિત તત્વો ઘૂસી ગયા હતા, જેમના પર અગાઉથી દ્ગડ્ઢઁજી કે દુષ્કર્મ જેવા ગંભીર આરોપો હતા. આવા લોકોએ જ પોલીસ જવાનો પર હુમલો કરીને વાતાવરણ બગાડ્યું હતું.

અરજદારો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલોએ કોર્ટ સમક્ષ દિલ્હી અને બિહાર પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસક કામગીરીના પુરાવા મૂક્યા હતા. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પેલેટ ગન, રબર બુલેટ, ઇલેક્ટ્રિક બેટન અને નખ જડેલી લાઠીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે એક સગીર બાળકે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે. બિહારમાં એક પોલીસકર્મી આંદોલનકારીઓ સામે એકે-૪૭ રાઇફલ બતાવતો પણ કેમેરામાં કેદ થયો હતો. આ સિવાય મહારાષ્ટ્રમાં એક પોલીસ અધિકારી વિદ્યાર્થીઓને નકલી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો જોવા મળ્યો હતો. વકીલ પ્રશાંત ભૂષણે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે જંતર-મંતર પ્રદર્શનના એક વોલન્ટિયર જુનૈદ મલિકને આંખે પાટા બાંધીને મસુરી સુધી લઈ જવામાં આવ્યો હતો.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે તમામ રાજ્યોની પોલીસને આદેશ આપ્યો છે કે પ્રદર્શન સંબંધિત તમામ સીસીટીવી ફૂટેજ, ડ્રોન રિકોર્ડિંગ, વાયરલેસ મેસેજ અને તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવામાં આવે. પોલીસ દ્વારા ફેસિયલ-રેકગ્નિશન ટેકનોલોજીથી લેવાયેલો પ્રદર્શનકારીઓનો બાયોમેટ્રિક કે વ્યક્તિગત ડેટા જાહેર જનતા સમક્ષ મૂકવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ કાર્યવાહીમાં થયેલા અતિરેકની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જરૂરી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને નોટિસ પાઠવવામાં આવી છે.















