સોખડા ગામના ખેડૂતોએ MRC કમિટી માટે પ્રતિનિધિ નીમવાનો કર્યો ઇનકાર

મોરબી: જિલ્લાના સોખડા ગામના ખેડૂતોએ MRC કમિટી માટે ખેડૂત પ્રતિનિધિ નીમવાની પ્રક્રિયાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તા. 04/07/2026ના પરિપત્રને તેઓ માન્ય રાખતા નથી અને આ અંગે કલેક્ટરને અગાઉ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં અધિકારીઓ દ્વારા MRC કમિટી માટે ખેડૂત પ્રતિનિધિ નીમવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે SDM અને મામલતદાર દ્વારા ખેડૂતોની ઇચ્છા વિરુદ્ધ પ્રતિનિધિ નીમવા માટે કરવામાં આવતા પ્રયાસોથી મૂળ સમસ્યાનો ઉકેલ આવશે નહીં. તેના બદલે ખેડૂતોની માંગણી અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ઊર્જા વિભાગ દ્વારા યોગ્ય અને સ્વીકાર્ય પરિપત્ર તૈયાર કરવામાં આવે તે દિશામાં વહીવટી તંત્રએ પ્રયાસ કરવા જોઈએ.

ખેડૂતોના જણાવ્યા મુજબ, તા. 04/07/2026ના પરિપત્રનો તેમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને તેના આધારે જ પોતાની અસંમતિ લેખિતમાં વ્યક્ત કરી છે. તેથી ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈ તેમની માંગણી મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.

ખેડૂતોનું માનવું છે કે પ્રશ્નના મૂળમાં રહેલી બાબતોનો નીતિગત સ્તરે ઉકેલ લાવવામાં આવે તો અધિકારીઓને ગામેગામ જઈ પ્રતિનિધિ નીમવાની પ્રક્રિયા કરવાની જરૂર નહીં રહે અને ખેડૂતોની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવી શકે.