
ભારતીય: રિઝર્વ બેંક ( RBI) એ લોન રિકવરી સંબંધિત નિયમો કડક કર્યા છે. નવા નિયમો હેઠળ , બેંકોએ લોન રિકવરી માટે એક વ્યાપક નીતિ બનાવવી પડશે. તેમાં એ નક્કી કરવું પડશે કે કઇ પરિસ્થિતિઓમાં રિકવરી પ્રક્રિયા શરૂ થશે , નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રાહકોનો સંપર્ક કેવી રીતે કરવામાં આવશે , રિકવરી એજન્સીઓની નિમણૂક અને તેમની દેખરેખ કેવી રીતે કરવામાં આવશે. ગુરુવાર , 8 જુલાઈના રોજ , RBI એ જણાવ્યું હતું કે બેંકો પર્સનલ , કાર અથવા હોમ લોન પર ડિફોલ્ટ કરનારા ગ્રાહકોના મોબાઇલ ફોન અથવા લેપટોપને બંધ (લોક) નહીં કરી શકે.RBI ના પરિપત્ર અનુસાર , જો કોઇ ગ્રાહકે મોબાઇલ ફોન ખરીદવા માટે લોન લીધી હોય, ત્યારે જ બેંક તે ઉપકરણ પર તકનીકી પ્રતિબંધો લાદી શકે છે.

એટલે કે હોમ લોન જેવી અન્ય લોન માટે ફોન બંધ કરી શકાતા નથી. ફોન ઓન લોન કેસમાં પણ ત્યારે જ બ્લોકિંગ પ્રક્રિયા શરૂ થશે જો લોનનો હપ્તો 30 દિવસથી વધુ મુદતવીતી હોય. આ નવા નિયમો 1 જાન્યુઆરી , 2027 થી અમલમાં આવશે. ફોન રિકવરી સંબંધિત નિયમો શું છે ?

RBI એ જણાવ્યું છે કે જે ખાસ કિસ્સાઓમાં બેંકોએ લોન વસૂલાત પ્રક્રિયાના ભાગ રૂપે ઉપકરણ બંધ કરવાની પરવાનગી છે , ત્યાં તેમણે તાત્કાલિક આમ કરવાને બદલે તબક્કાવાર આગળ વધવાની રીત અપનાવવી જોઈએ. આ પ્રકારે ઉપકરણને બ્લોક કરવાની મંજૂરી ફક્ત 60 દિવસ પછી જ આપવામાં આવશે. જો કે , તેમ છતા ઇનકમિંગ કોલ્સ , SMS સેવાઓ , કટોકટી SOS સુવિધાઓ અને આવશ્યક કાર્ય-સંબંધિત ફીચર્સ બંધ નહીં કરી શકાય. બેંકોએ લોન ચૂકવણીના એક કલાકની અંદર મોબાઇલ ફોન અનલૉક કરવો પડશે. વિલંબના કિસ્સામાં ગ્રાહક પ્રતિ કલાક ₹250 ના વળતર માટે હકદાર રહેશે ; જો કે , આ રકમ સંબંધિત લોનની કુલ રકમ કરતા વધુ નહીં હોય.

બેંકો તમારા કોલ લોગ , મેસેજ અથવા ફોટા ઍક્સેસ કરી શકશે નહીં. નોંધનીય છે કે આ તમામ નિયમો આ વર્ષના મે મહિનામાં રિઝર્વ બેંક દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવનો ભાગ છે. RBI ને ફરિયાદો મળી રહી હતી કે, ઘણા લોનવાળા ફોન સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઉત્પીડનની ફરિયાદો મળી રહી હતી. ત્યારબાદ , લોનવાળા ફોનની વસૂલાત માટે એક નવું ફ્રેમવર્ક બનાવવાની વાત થઇ હતી. રિકવરી એજન્ટો માટે નવા નિયમો

બેંક વસૂલાત એજન્ટો હવે સીધા ગ્રાહકના ઘરે નહીં જઇ શકે. પહેલી મીટિંગના ઓછામાં ઓછા એક દિવસ પહેલા ગ્રાહકને જાણ કરવી ફરજિયાત રહેશે. એજન્ટો ફક્ત સવારે 8:00 થી સાંજે 7:00 વાગ્યાની વચ્ચે જ ગ્રાહકોનો સંપર્ક કરી શકે છે , જ્યાં સુધી કે ગ્રાહક પોતે સ્પષ્ટપણે અલગ સમયે મીટિંગ માટે સંમતિ આપે. જો ગ્રાહક તેમની રિકવરી એજન્સી બદલે છે અથવા તેની સેવાઓ સમાપ્ત કરે છે તો બેંકોએ સંબંધિત ગ્રાહકને પણ જાણ કરવી આવશ્યક છે. આ ઉપરાંત , બેંકોએ તેમની વેબસાઇટ પર અધિકૃત રિકવરી એજન્સીઓની સૂચિ પ્રકાશિત કરવી જરૂરી છે.

સોશિયલ મીડિયા પર ગ્રાહકની માહિતી શેર કરવી, સંબંધીઓ , મિત્રો અથવા સહકાર્યકરોને ડરાવવા અથવા ધમકાવવા પર સખત પ્રતિબંધ રહેશે. રિકવરી એજન્ટ કોઇ પણ ગ્રાહક સાથે ગાળા-ગાળી, ધમકીઓ આપવા , વારંવાર કોલ કરવા , ઓળખ છુપાવીને ફોન કરવા અથવા ગ્રાહકોને જાહેરમાં અપમાનિત કરવા જેવી હરકત નહીં કરી શકે. આ નિયમો દેશની તમામ વાણિજ્યિક બેંકોને લાગુ પડશે ; જો કે , સ્મોલ ફાઇનાન્સ બેંકો , પેમેન્ટ બેંકો , પ્રાદેશિક ગ્રામીણ બેંકો ( RRBs) અને સ્થાનિક ક્ષેત્ર બેંકો હાલમાં આ કાર્યક્ષેત્રમાં નહીં આવે.



















