
મોરબી : તાજેતરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં પવિત્ર રાષ્ટ્રગાન “વંદે માતરમ્”નું કથિત અપમાન થયું હોવાના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપ અને મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં મોરબીમાં વિશાળ રેલી અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જતીનભાઈ ફુલતરીયાએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે “વંદે માતરમ્”ના થયેલા કથિત અનાદર બદલ કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતા સમક્ષ બિનશરતી માફી માંગે તેવી માંગ કરી હતી.

ભાજપ કાર્યાલયથી શનાળા બાયપાસ સુધી રેલી

વિરોધ પ્રદર્શન અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયથી શનાળા બાયપાસ સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલીમાં ભાજપના કાર્યકરો હાથમાં કોંગ્રેસ વિરોધી લખાણ ધરાવતા બેનરો સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

રેલીમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પંડસુબીયા, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સુખદેવભાઇ દેલવાણીયા, મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો, વિવિધ વોર્ડના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ કાર્યકરોએ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલા પ્રતીકોના સન્માનને સર્વોપરી ગણાવી કોંગ્રેસના નેતાઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને જવાબદારી નિભાવી જાહેર માફી માંગવાની માંગ ઉઠાવી હતી.



















