
મોરબી: જિલ્લામાં વીજપોલના વળતરની માંગ સાથે ચાલતા આંદોલનમાં પહેલા જેતપર ગામના ખેડૂતોએ ભાજપના ઉમેદવારો અને નેતાઓની પ્રવેશબંધીનું બેનર લગાવ્યું હતું ત્યાર બાદ અત્યાર સુધીમાં જુદાજુદા 100 થી વધુ ગામડાઓમાં ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધીના બોર્ડ બેનર લગાવવામાં આવેલ છે.

તેવામાં હવે પૂર્વ કેન્દ્રિય મંત્રી મોહનભાઈ કુંડારિયાના વતન એટ્લે કે નીચી માંડલ ગામે જેતપર ગામના ખેડૂત આંદોલનના સમર્થનમા ભાજપના ઉમેદવાર અને પક્ષની પ્રવેશબંધીનું બેનર ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યું છે ત્યારે મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ જશે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. મોરબી જીલ્લામાં છેલ્લા સાડા 3 મહિનાથી ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર સામે પૂરતા અને પહેલા વળતરની માંગ સાથે ખેડૂતોની આંદોલન ચાલી રહ્યું છે.

દરમ્યાન ખેડૂતોની માંગણી મુજબનું નહીં પરંતુ સરકારે તેની મરજી મુજબ નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી હતી જેનો ખેડૂત દ્વારા અસ્વીકાર કરવામાં આવેલ છે. અને આંદોલન ચાલુ જ રાખવામા આવ્યુ છે અને ખેડૂતોની માંગણી મુજબ ખેડૂતને વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તેવી માહિતી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે તેવામાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ગામ જેતપરથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

તેના સમર્થનમા અત્યાર સુધીમાં 100 થી વધુ ગામમાં ભાજપના ઉમેદવાર અને પક્ષની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવેલ છે તેવાં આ હવે પુર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભાના પુર્વ સાસંદ મોહનભાઈ કુંડારીયાના ગામ એટ્લે કે નીચી માંડલ ગામે પણ વીજપોલના વળતર મામલે ભાજપનો વિરોધ કરવામાં આવેલ છે અને વીજ લાઈનની સામે પૂરા વળતર મામલે ચાલતા આંદોલનને નીચી માંડલના ખેડૂતોનએ પણ ટેકો આપેલ છે.અને ભાજપને અલ્ટીમેટમ આપતા જો ખેડૂતોની માંગણી મુજબ સરકાર પરિપત્ર જાહેર નહિં કરે તો ચુંટણીમાં ભાજપનો ખુલ્લેયામ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને ખેડૂતોની માંગ નહિં સ્વીકારવામાં આવે તો વર્ષ 2027ની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોને ગામમાં આવવા નહિં દઈએ તેવા બેનર ખેડૂતોએ લગાવ્યા છે.ઉલેખનીય છેકે, ખેડૂતોને પૂરતું વળતર મળે તે પ્રકારનો હજુ સુધી સરકર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે અને ગામો ગામ ભાજપના વિરોધ અત્યારથી જ કરવામાં આવે છે અને ભાજપના વિરોધમાં બેનર પણ લાગે છે ત્યારે જો વહેલી તકે ખેડૂતોની માંગણીને સંતોષવામાં નહીં આવે તો વર્ષ 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોની વીજપોલના વળતર માટેની માંગ સાથે શરૂ થયેલ આંદોલનની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ જોવા મળી રહ્યો છે





















