વાંકાનેર નજીક આવેલા પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવાધિદેવ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના બીજા સોમવારે સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે મંદિર પરિસરથી વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડાક-ડમરુ અને ડી.જે.ના તાલ સાથે નીકળેલી શોભાયાત્રામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ભક્તોના જયઘોષથી સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હતો.

શોભાયાત્રા મંદિર પરિસરથી પ્રસ્થાન કરી લોકમેળાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ત્યારબાદ પરંપરાગત રીતે પરત નિજમંદિરે પહોંચી હતી. શિવભક્તોએ ભક્તિભાવપૂર્વક શોભાયાત્રામાં જોડાઈ જડેશ્વર મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.

જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલી આ શોભાયાત્રા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સવનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આ પાવન પ્રસંગની ભક્તિપૂર્ણ ઉજવણીમાં ભાગ લીધો હતો.






















