
નવી દિલ્હી: તા, 25 : તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટે વેપારીઓ (સેલર્સ) માટે તેમની ફી અને પેનલ્ટી માળખામાં મોટા ફેરફારો કર્યા છે. હવે જો કોઈ સેલર ગ્રાહકની રિકવેસ્ટ સિવાય પોતાની મરજીથી કે અન્ય કોઈ કારણસર ઓર્ડર રદ કરશે, તો તેમના પર મોટો દંડ લગાવવામાં આવશે. ગ્રાહકોને સમયસર ઓર્ડર મળી રહે અને કારણ વગર કેન્સિલેશન અટકે તે હેતુથી આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, એમેઝોન પર ’ઈઝી શિપ’ અને ’સેલ્ફ શિપ’ મોડેલ હેઠળ ઓર્ડર રદ કરવા પર ઓર્ડર મૂલ્યના આધારે કમિશન ચાર્જ લાગશે. રૂ.

10,000 સુધીનાં ઓર્ડર પર 10 ટકા (મહત્તમ રૂ. 1,000) સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે રૂ. 10,001 થી રૂ. 50,000 સુધીનાં ઓર્ડર પર 8 ટકા (મહત્તમ રૂ.

4,000) અને રૂ. 1 લાખથી વધુના ઓર્ડર પર 2 ટકા ચાર્જ તેમજ તેનાં પર 18 ટકા જીએસટી અલગથી વસૂલવામાં આવશે. આ ઉપરાંત જો સેલર નિર્ધારિત સમય મર્યાદાના 24 કલાકમાં શિપમેન્ટ ક્ધફર્મ નહીં કરે તો પણ દંડ લાગું પડશે. બીજી તરફ, ફ્લિપકાર્ટે ઓર્ડર પૂરો કરવામાં થતા વિલંબ અને કેન્સિલેશન માટે થ્રી-લેયર (ત્રણ સ્તરીય) પેનલ્ટી સિસ્ટમ અમલી બનાવી છે. જો સમયસર શિપમેન્ટ પિક-અપ માટે તૈયાર નહીં થાય તો રૂ.

30, સેલર દ્વારા ઓર્ડર કેન્સલ કરવા પર રૂ. 60 અને મોડું થયા બાદ ઓર્ડર રદ થવા પર રૂ. 90 સુધીનો દંડ ફટકારવામાં આવશે. જોકે, નવા જોડાયેલા વેપારીઓને શરૂઆતનાં ત્રણ મહિના માટે આ નીતિમાંથી મુક્તિ આપવામાં આવી છે. વેપારીઓ અને સેલર એસોસિએશન ’ફર્સ્ટ ઇન્ડિયા’ના પ્રતિનિધિઓએ આ કડક પેનલ્ટી માળખા સામે ચિંતા વ્યક્ત કરી છે.

તેમનું કહેવું છે કે દરેક વખતે ઓર્ડર રદ થવા કે વિલંબ થવા પાછળ સેલરની ભૂલ હોતી નથી, ઘણીવાર લોજિસ્ટિક્સ, કુરિયર પિક-અપની સમસ્યા કે ટેકનિકલ ખામીઓ પણ જવાબદાર હોય છે. તહેવારો પહેલાં આવા વધારાનાં નાણાકીય બોજથી નાના અને મધ્યમ કદના વેપારીઓ (MSME) પર આર્થિક દબાણ વધશે. સામે પક્ષે, કંપનીઓનું કહેવું છે કે ગ્રાહકોનાં અનુભવને સારા બનાવવા માટે આ પગલું જરૂરી છે. એમેઝોનના પ્રવક્તા અનુસાર, સેલર્સ દ્વારા રદ થતા ઓર્ડરનું પ્રમાણ કુલ ઓર્ડરના 1 ટકા કરતાં પણ ઓછું છે. જે કિસ્સામાં સેલરની પોતાની ભૂલ ન હોય ત્યાં તેમને સુરક્ષા આપવાની સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. આ નવી પેનલ્ટી નીતિથી સેલર્સ વધુ સારી પ્લાનિંગ સાથે સમયસર ડિલિવરી માટે પ્રોત્સાહિત થશે.




















