
અશ્વ: સ્પર્ધા, તલવારબાજીની સ્પર્ધા યોજાશે : જામનગર તા. રપઃ જામનગર જિલ્લાના ધ્રોળ પંથકના શહીદ ભૂચરમોરી સ્થાનકે શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આગામી તા. ૩-૯-ર૦ર૬ ના એટલે કે શિતળા સાતમના દિવસે ધ્રોળના ભૂચરમોરી મેદાનમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

અકબર બાદશાહ સામે જામ સતાજીએ યુદ્ધ કર્યું હતું જેમાં હજારો લોકો શહીદ થયા હતાં. તા. ૩ ના સવારે ૮ વાગ્યે વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થશે. જેમાં અશ્વ સ્પર્ધા સવારે ૮ વાગ્યે શરૂ થશે. રપ વર્ષથી આ સ્પર્ધા યોજાય છે.

તેને નિહાળવા માટે ૧પ થી ર૦ હજાર લોકો આવે છે. આ સ્પર્ધામાં પ૦ અશ્વો જોડાશે. ત્યારપછી તલવારબાજી સ્પર્ધા યોજાશે. આ પછી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. ઈતિહાસમાંથી લોકો પ્રેરણા મેળવે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

અગાઉ આ ભૂચરમોરી મેદાનમાં અનેક મુખ્યમંત્રીઓ પણ મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં જે તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત આનંદીબેન પટેલએ તો ૧૧ કરોડના ખર્ચે શહીદ વનનું નિર્માણ પણ કરાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ડો. જયેન્દ્રસિંહ જાડેજા સાથે પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ રૂદ્રદતસિંહ વાઘેલા, મુખ્ય કન્વીનર (ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ) ગુમાનસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ હરદેવસિંહ ગોહિલ, શહેર પ્રમુખ વિજયસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી ભગવતસિંહ જાડેજા, તાલુકા પ્રભારી દિલીપસિંહ જાડેજા, યુવા પાંખ (શહેર) ના પ્રમુખ મનદિપસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ સમાજના ભાઈઓને સંદેશો પાઠવ્યો હતો કે કાર્યક્રમનું નિમંત્રણ મળ્યું છે, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી શકે તેમ નથી. ગૌરવપૂર્ણ ઈતિહાસમાંથી સમજવા, શીખવા અને જીવનમાં ઉતારવા જેવી વાતો જ ઉજવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. આમ સહસાથે મળીને જીવનની આહુતિ આપનાર સુરવીરોની યાદમાં કાર્યક્રમ ઉજવો છે તે આજની પેઢીને રસ્તો દેખાડનારી દિવાદાંડી બનશે અને તમારા આ પ્રયત્નોથી હું રાજી છું. આ સમયે જામસાહેબ દ્વારા આર્થિક અનુદાન પણ જાહેર કરવામાં આવ્યું હતું.




















