
મોરબી: જિલ્લાના હળવદ તાલુકાના સરંભડા ગામના વાડી વિસ્તારમાં વીજ લાઈનના વળતરનો મુદ્દો ફરી એકવાર ગરમ બન્યો છે. છેલ્લા 12 વર્ષથી અટવાયેલા વળતર પ્રશ્ને રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં હળવદ પોલીસ મથકે પહોંચ્યા હતા. ખેડૂતોએ વીજ કંપનીની બેદરકારી અને અન્યાયી નીતિ સામે ભારે વિરોધ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.

220 KV લાઈનથી ખેડૂતોને મોટા પાયે નુકસાનીનો આક્ષેપ : અંદાજે 12 વર્ષ પહેલાં હળવદના સરતાનપર વિસ્તારમાંથી પસાર થતી 220 KV વીજ લાઈન ખેતરોમાંથી નાખવામાં આવી હતી. આ વીજતાર અને થાંભલા ઊભા કરવાના કારણે ખેડૂતોને પોતાની કિંમતી જમીનમાં ખેતી કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને આર્થિક નુકસાની ભોગવવી પડી રહી છે. યોગ્ય વળતર આપવાના વચન છતાં 12 વર્ષ વીતી જવા છતાં વળતર ન મળતાં ખેડૂતોએ હળવદ પોલીસ મથકે વીજ કંપની સામે લેખિતમાં રજૂઆત સોંપી છે.

જેતપર સત્યાગ્રહ છાવણીથી ખેડૂતોનું મળ્યું સમર્થન: આ આંદોલન અને રજૂઆતમાં સરંભડાના ખેડૂતોની સાથે જેતપર સત્યાગ્રહ છાવણીથી પણ અન્ય ખેડૂતો સમર્થનમાં આવી પહોંચ્યા હતા. ખેડૂત અગ્રણીઓએ ચીમકી આપી છે કે, જો વીજ કંપની દ્વારા ત્વરિત અને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે અને ખેડૂતોના પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.






















