
શ્રાવણ માસ નિમિત્તે ભાવિકોની સુવિધા માટે નિર્ણય: મોરબી અને ભીમનાથ મંદિરથી બસના સમય જાહેર

મોરબી: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવાલયોમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. લજાઈ નજીક આવેલા ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસ દરમિયાન ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાવિકોને મોરબીથી ભીમનાથ મહાદેવ મંદિર સુધી અવરજવરમાં સરળતા રહે અને દર્શન માટે સુવિધા મળી રહે તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ખાસ સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મોરબીથી ભીમનાથ મહાદેવ મંદિર જવા તેમજ મંદિરેથી મોરબી પરત ફરવા માટે શરૂ કરાયેલી આ વિશેષ બસ સેવાને મોરબી મહાનગરપાલિકાના ચેરમેન નવનીત કુંડારિયા, ભીમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

શ્રાવણ માસ દરમિયાન શરૂ કરવામાં આવેલી આ બસ સેવાના કારણે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ભીમનાથ મહાદેવના દર્શન કરવા જતા ભાવિકોને ખાનગી વાહનોની વ્યવસ્થા કરવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. સાથે જ મોટી સંખ્યામાં ભાવિકો સરળતાથી અને સુવિધાપૂર્વક મંદિર સુધી પહોંચી શકશે.

બસનું સમયપત્રક

મોરબીથી ભીમનાથ મહાદેવ મંદિર જવા માટે:

સવારે 7:30 અને 8:00 વાગ્યે

સવારે 10:00 વાગ્યે

બપોરે 12:00 વાગ્યે

ભીમનાથ મહાદેવ મંદિરથી મોરબી પરત આવવા માટે:

સવારે 9:00 વાગ્યે

સવારે 11:00 વાગ્યે

બપોરે 12:00 વાગ્યે

મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસની આ વિશેષ બસ સેવાનો ધર્મપ્રેમી નાગરિકો અને ભાવિકોએ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.












