શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ૬,૫૦૦ દિવડાઓની દીપમાળા પ્રગટાવાશે

મોરબી : રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને જોડતા ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ અંતર્ગત આજે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ મોરબીના ઐતિહાસિક મણિમંદિર ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ દરમિયાન મણિમંદિર ખાતે ૬,૫૦૦ દિવડાઓની ભવ્ય દીપમાળા પ્રગટાવવામાં આવશે. આ સાથે સાંધ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ, નાગરિકો તથા મહાનુભાવો જોડાઈને આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણનો અનુભવ કરશે.

‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને એકત્રિત કરી તેમની સાથે સંવાદ અને સહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો છે. મણિમંદિર ખાતે યોજાનાર આ વિશેષ કાર્યક્રમથી મોરબી શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય માહોલ સર્જાશે.

કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.






















