Author: admin

  • ગુજરાતમાં એકસાથે 13 IAS અધિકારીઓની બદલી, જાણો કોને કયો ચાર્જ સોંપાયો?

    ગુજરાતમાં એકસાથે 13 IAS અધિકારીઓની બદલી, જાણો કોને કયો ચાર્જ સોંપાયો?

       ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રમત ગમત અને યુવા સાંસ્કૃતિક તરીકે બદલી કરાઈ છે. જ્યારે એમ. થેનારશનને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. 

    રાજ્યના 9 IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 9 માંથી 3 અધિકારીઓને બદલી સાથે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 4 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોપાયો છે. IAS અશ્વિની કુમારની શહેરી વિકાસ વિભાગમાંથી બદલી કરવામાં આવી છે. અશ્વિની કુમારને રમતગમત યુવા-સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે.

    રમેશચંદ મીણા બંદરો અને પરિવહન વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે. એમ. થેન્નારસન શહેરી ગૃહનિર્માણ વિભાગમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવની બદલી કરાઈ છે. જ્યારે મિલિંદ તોરવણેની મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં બદલી કરાઈ છે. મિલિંદ તોરવણેને પંચાયતો, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે.

    જેનુ દેવનને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમજ રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમ ઓફ ગુજરાત લિમિટેડના MD તરીકે બદલી કરાઈ છે. જૂનાગઢ મનપા કમિશનરને રાજકોટ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. રાજકોટના નવા કલેક્ટર ડો. ઓમપ્રકાશ બન્યા છે. જ્યારે તેજસ પરમાર જૂનાગઢના નવા મનપા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે આશિષ કુમાર ગાંધીનગરના આદિજાતિ વિકાસ નિયામક તરીકે બદલી કરવામાં આવી છે.

    સુપ્રીત સિંહ ગુલાટી IASની બદલી થયા બાદ, આશિષ કુમાર, આગામી આદેશ સુધી D-SAG  ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદનો વધારાનો હવાલો સોપાયો. ડાંગ-આહવા જિલ્લા વિકાસ અધિકારી સુથાર રાજ રમેશચંદ્રની બદલી કરવામાં આવી છે. તેમને નર્મદા-રાજપીપળા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અંકિત પન્નુની જામનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે પાટિલ આનંદ અશોકને ડાંગ-આહવાના જિલ્લા વિકાસ અધિકારી પદનો વધારાનો હવાલો સોપાયો છે.

  • ચોમાસાએ સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતનો મોટાભાગના વિસ્તાર ‘કવર’ કરી લીધો : હજુ સક્રીય રહેશે

    ચોમાસાએ સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતનો મોટાભાગના વિસ્તાર ‘કવર’ કરી લીધો : હજુ સક્રીય રહેશે

    નૈઋત્ય નવેસરથી સક્રીય થયા બાદ ફરી કુદકા મારતુ ઝડપભેર આગળ વધવા લાગ્યુ હોય તેમ આજે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર થઈ ગયા હોવાનું જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કહ્યુ છે.

    તેઓએ આજે કહ્યું કે, ચોમાસાની ઉતરીય પાંખ હવે ડીસા પાસેથી પસાર થઈ રહી છે. જે કચ્છના મોટાભાગને કવર કરી રહી છે. ડીસા 24.4 નોર્થ પર છે જયારે કચ્છ 24.7 પર છે. આમ હવે માત્ર કચ્છનો નાનકડો ભાગ તથા ડીસા-પાલનપુરથી રાજસ્થાન બોર્ડર સુધીનો ભાગ જ બાકી રહી ગયો છે.

    બાકીના રાજયના તમામ ભાગો કવર થઈ ગયા છે. બે દિવસમાં સમગ્ર ગુજરાત, અરબી સમુદ્ર, વિદર્ભ, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઓડીશાને કવર કરશે. ચોમાસુ રેખા ડીસા, ઈન્દોર, પંચમઢી, મંડલા, અંબિકાપુર, હઝારીબાગ તથા સુપૌલ પરથી પસાર થાય છે.

    ગુજરાતમાં ચોમાસુ હજુ સક્રિય રહેવાની સંભાવના દર્શાવતા તેમણે કહ્યું કે ગુજરાત રીજીયન તથા આસપાસના વિસ્તારોમાં લો-પ્રેસર સર્જાયેલુ છે તે આવતા ચોવીસ કલાકમાં મોટાભાગે ઉતરદિશામાં આગળ વધવાની સંભાવના છે.

    આ સિવાય દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને ગેંગેરિક પશ્ચિમ બંગાળમાં રહેલુ લો-પ્રેસર પણ યથાવત છે. જો પશ્ચિમ-ઉતરપશ્ચિમ તરફ ગતિ કરીને આવતા 24 કલાકમાં વધુ મજબૂત થવાની સંભાવના છે.

  • મોરબી ખાતે યોજાયેલી અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તરફથી ટ્રોફી વિતરણ

    મોરબી ખાતે યોજાયેલી અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તરફથી ટ્રોફી વિતરણ

    મોરબી ખાતે આવેલ રીઅલ ક્રિકેટ એકેડેમી ખાતે અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી અને બરોડાની ટીમો વચ્ચે જોરદાર મુકાબલો યોજાયો હતો. ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને વધારતા એવા આ ટુર્નામેન્ટના અંતે વિજેતા અને ઉત્કૃષ્ટ ખેલાડીઓને ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તરફથી ટ્રોફી અને બિરુદ અપાઈ હતી.

    આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને આત્મવિશ્વાસ અને ઉત્સાહ આપતા સંદેશો આપ્યા હતા. યુવા પ્રતિભાઓને ઓળખી અને પ્રોત્સાહિત કરવાનો આશય સાથે આ પ્રકારની પ્રવૃતિઓ યુવા પ્રતિભાને બહાર લાવવા અનિવાર્ય હોય છે તેવો મત પણ ઉપસ્થિત મહેમાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  • મતદાનના ૪૮ કલાક પહેલાથી ચૂંટણી પ્રચાર માટે સભા ભરવા કે કોઈપણ કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ

    મતદાનના ૪૮ કલાક પહેલાથી ચૂંટણી પ્રચાર માટે સભા ભરવા કે કોઈપણ કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ

    ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. મોરબી જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે.

    ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫ માં મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પૂરા થતા ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

    મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન તારીખ ૨૨/૦૬/૨૦૨૫ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી થનાર છે તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે ૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

    આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં તારીખ ૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી સંબંધમાં કોઈ જાહેર સભા બોલાવશે નહીં /યોજશે નહીં /સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં.

    સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન એલઇડી અથવા આવા અન્ય સાધનોની સાહિત્ય ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહ ભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઈરાદા વાળી કોઈ પ્રવૃત્તિ કરશે નહીં. આ હુકમનો ભંગ ભારતીય ન્યાય સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે..

  • મોરબી જિલ્લો ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૦ જૂન સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

    મોરબી જિલ્લો ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૦ જૂન સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

    સમગ્ર દેશ અને રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામુ બહાર પાડી સમગ્ર મોરબી જિલ્લાને ટેમ્પરરી રેડ ઝોન જાહેર કરી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

    ભારત પાકિસ્તાનની સરહદ પાસેથી ભારતીય વિસ્તારમાં અનેક નિયંત્રણ વગરના ડ્રોન જોવા મળેલ છે. આ બાબતને ધ્યાનમાં લેતા સરહદી વિસ્તારવાળા રાજ્યોમાં નાગરિક ડ્રોન ઉડાન પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા હોવાથી તથા સમગ્ર રાજ્યને ‘ટેમ્પરરી રેડ ઝોન’ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવવું જરૂરી હોવાથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામુ સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં આગામી ૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલી રહેશે.

  • મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર રિસ્ક મેનજમેન્ટ માટે સ્વિમિંગ ડ્રિલનું સફળ આયોજન

    મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર રિસ્ક મેનજમેન્ટ માટે સ્વિમિંગ ડ્રિલનું સફળ આયોજન

    મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગની સતર્કતા તેમજ ક્ષમતા તપાસવા માટે મોરબીના નાની વાવડી ગામના તળાવ ખાતે તા. ૧૭/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે કમિશનર તથા ડેપ્યુટી કમિશનર  મોરબી મહાનગરપાલિકાના હાજરીમાં ફાયર વિભાગ દ્વારા રિપ્રિંગ ડ્રિલનું આયોજન કરવામાં આવેલ.

    જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલ વ્યક્તિને કેવી રીતે બચાવવો તે અંગેની સફળ સ્વિમિંગ ડ્રિલ કરવામાં આવેલ.

    આ સ્વિમિંગ ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી વરસાદોમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી શકાય તેમજ કોઈ પણ ઇમરજન્સી સમયે તાત્કાલિક ધોરણે અમલમાં લેવાયેલા પગલાં દ્વારા નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાનિ કે પછી કોઈ મોટી આપત્તિને ટાળી શકાય અને જાનમાલ બચાવી શકાય.

    આવી કોઈ દુર્ઘટના થાય તો આપ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ – ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.

  • ગુજરાત દર્શન સમાચારના નિષ્પક્ષ, નીડર અને બાહોશ પત્રકાર શરાફુદીન માથકીયાનો આજે જન્મદિવસ

    ગુજરાત દર્શન સમાચારના નિષ્પક્ષ, નીડર અને બાહોશ પત્રકાર શરાફુદીન માથકીયાનો આજે જન્મદિવસ

    ગુજરાત દર્શન સમાચારના નિષ્પક્ષ, નીડર અને બાહોશ પત્રકાર તથા ચેનલ હેડ શરાફુદીન માથકીયાનો આજે જન્મદિવસ છે. તેઓ પત્રકારત્વની સાથે સાથે એક સજાગ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ, સામાજિક કાર્યકર, અને પત્રકાર એકતા સંગઠનના સક્રિય સભ્ય તરીકે જાણીતા છે.સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં પોતાની વિશિષ્ટ ભુમિકા તથા લોકહિતમાં કરેલી કામગીરીથી તેમણે વિશાળ લોકચાહના મેળવી છે. તેમનો નિડર, નિષ્પક્ષ અને પ્રભાવશાળી પત્રકારત્વ આજે અનેક માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.શરાફુદીન માથકીયાને તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો, સગાં-સંબંધીઓ, પત્રકારમિત્રો, સહકર્મીઓ અને સ્નેહીજનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

  • કચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન

    કચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન

    અષાઢ મહિનો શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સમગ્ર રાજ્યમાં આજે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે, ત્યારે રાજ્યની સાથે-સાથે કચ્છમાં આજે સતત બીજા દિવસે ધીંગી મેઘસવારી આવી પહોંચી હતી.

    લાંબા સમયથી અકળાવનારા આકરા ઉકળાટ-તાપથી ત્રસ્ત બની ગયેલા કચ્છીઓ માટે અપર-એર સર્ક્યુલેશન જાણે શુકનિયાળ સાબિત થયું હતું અને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાતાં ખેડૂતોએ હવે વાવણી કાર્ય શરૂ કરી દીધું છે.

    અત્યારસુધીમાં કોરા ધાકોર રહેલા ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ ધીમીધારે વરસી રહેલા વરસાદે હાજરી પૂરાવી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મેઘાડંબર છવાયેલો હોઈ સચરાચર વરસાદ વરસવાની આશા શહેરીજનોમાં જીવંત બની છે.

    ભુજ ઉપરાંત તાલુકાના માનકૂવામાં પણ બપોરે જોરદાર વરસાદી હેલીની પધરામણી થતાં અહીંના માર્ગો ભીના બની જવા પામ્યા છે. નખત્રાણા ખાતે આજે વરસાદી ઝાપટાં નોંધાયાં છે.

    દેશલપર (વાંઢાય)માં માત્ર અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના સૌથી ઊંચા ધીણોધરના ડુંગર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ થઇ જતાં આગામી શ્રાવણી તહેવારો સુધી કચ્છના ધીણોધર, ભુજના ભુજિયા ડુંગર, ટપકેશ્વરીની હારમાળાઓ, લીલા વાઘા ધારણ કરી લેશે.

    રાપર શહેર જળબંબાકાર

    નખત્રાણા, ભુજ ઉપરાંત સીમાને અડકીને આવેલા રાપર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. શનિવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે બરકરાર રહેવા પામ્યો છે અને ચાર ઇંચથી વધારે પાણી વરસતાં રાપર શહેર જળમગ્ન બન્યું છે.

    તાલુકાના બાલાસર, આડેસર, ખડીર, પ્રાંથળ, રામવાવ, ખેંગારપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ત્રણેક ઇંચ વરસાદ થતાં વાગડવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

  • મોરબીમાં ૨૧ જૂને મણીમંદિર ખાતે મહાનગરપાલિકા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

    મોરબીમાં ૨૧ જૂને મણીમંદિર ખાતે મહાનગરપાલિકા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

    કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    આગામી ૨૧ જૂનના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનર  સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

    સમગ્ર વિશ્વ અને દેશમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં મહાનગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી લોકોને યોગનું મહત્વ સમજાવવા તેમજ તેમની દૈનિક જીવનમાં યોગને મહત્વનું સ્થાન મળે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

    મોરબી મહાનગરપાલિકા કક્ષાએ મણીમંદિર ખાતે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સવિશેષ ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં મુખ્ય સ્ટેજ, ઉદઘોષક, સુશોભન અને ફૂલછોડ, મેડિકલ ટીમ, ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી.

    ઉપરાંત આ ઉજવણી સવિશેષ બની રહે અને વધુને વધુ લોકો સ્વૈચ્છિક આ કાર્યક્રમમાં જોડાય તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

    આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર  કુલદીપસિંહ વાળા અને   સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલ વ્યાસ, સહાયક માહિતી નિયામક  પારૂલ આડેસરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અતિભારે વરસાદ, સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યા મોટા આદેશ

    સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અતિભારે વરસાદ, સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યા મોટા આદેશ

    ગુજરાતમાં ચોમાસાની ધમધોકાટ શરુઆત થઈ ગઈ છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાની શરૂ થઈ ગઈ છે, ત્યારે ચોમાસાના પ્રવેશ તેમજ હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સતર્કતાના પગલા શરૂ કરી દીધા છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લઈ નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.

    રાજ્ય સરકારે દિશાનિર્દેશ જાહેર કર્યા

    રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.

    હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના…

    અમરેલીમાં ભારે વરસાદથી નદી-ચેકડેમ છલકાયા

    બીજીતરફ અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 66 મિ.મી., સાવરકુંડલામાં 58 મિ.મી., ખાંભામાં 37 મિ.મી., લીલીયામાં 35 મિ.મી., જાફરાબાદમાં 31 મિ.મી., બગસરામાં 20 મિ.મી., અમરેલીમાં 17 મિ.મી. વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

    ભાવનગરના જેસરમાં 10 ઇંચ વરસાદ

    ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેસરમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતાં કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન 163થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    હવામાન આગાહી મુજબ, આજે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદે ધમડાટી બોલાવી દીધી છે. આવતીકાલે 17 જૂને પણ મેઘરાજા અનેક જિલ્લાઓમાં દોડ મૂકવાની આગાહી કરાઈ છે. 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે.

    જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.