
કચ્છના ભુજ નજીક આવેલા લોડાઈ વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની મોટી ઘટના સામે આવી છે. માહિતી મુજબ, પાણીપુરી ખાધા બાદ આશરે 100થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી.

ગઈકાલે સાંજના સમયે સ્થાનિક લોકો પાણીપુરીનો આનંદ માણ્યા બાદ થોડા કલાકોમાં જ ઉલ્ટી, ડાયરીયા અને પેટમાં દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર બનતા દર્દીઓને તાત્કાલિક ભુજની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે તપાસ શરૂ કરી
હોસ્પિટલ સૂત્રો મુજબ ઘણા દર્દીઓની હાલત સ્થિર છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. આરોગ્ય વિભાગની ટીમે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને પાણીપુરીના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલ્યા છે.

ફૂડ પોઇઝનિંગ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી
પ્રાથમિક તપાસમાં અશુદ્ધ પાણી અથવા બગડેલા સામગ્રીના ઉપયોગને કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.















