મોરબી : કેનાલ રોડ પર વર્ધમાન સોસાયટી આગળનું પુલિયું ટ્રાફિક પોલીસએ બંધ કર્યું, રહીશો પરેશાન

પુલિયું બંધ થતા 15 સેકન્ડનો ક્રોસિંગ હવે 15-20 મિનિટના ફેરામાં બદલાયો – રહીશોની માંગ—રસ્તો પૂર્વવત ખોલો અથવા કાર્યક્ષમ વિકલ્પ આપો

મોરબી : કેનાલ રોડ પર આવેલી વર્ધમાન સોસાયટી સામેનું પુલિયું ટ્રાફિક પોલીસે અચાનક બંધ કરી દેતા આસપાસના રહેણાંક વિસ્તારોના લોકો માટે દૈનિક અવરજવર મુશ્કેલ બની છે. અગાઉ આ ક્રોસિંગ ખુલ્લો રહ્યો હતો, પરંતુ હવે ટ્રાફિક અવર્સના નામે અવરોધ મુકાતા લોકોને લાંબો ફેરો લેવો પડી રહ્યો છે.

આલાપ રોડ વિસ્તારમાં રહેતા વિપુલ ગોધાણીએ જણાવ્યું કે જે રસ્તો 15 સેકન્ડમાં ક્રોસ થઈ જતો હતો, હવે આખું સર્કલ ફરવું પડે છે અને 15થી 20 મિનિટ સુધી ટ્રાફિકમાં ઊભા રહેવું પડે છે. તેમની મુજબ, આથી પેટ્રોલનો ખર્ચ પણ વધે છે.

રહિશોના કહેવા મુજબ રોજ અસંખ્ય લોકો આ મુશ્કેલીમાં ફસાઈ રહ્યાં છે. ફરજ પરના અધિકારીઓને પૂછતાં રહિશોને SP કચેરીમાં રજૂઆત કરવા જણાવાયું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા વર્ધમાન સોસાયટીની અંદર નવો રોડ બનાવાયો છે. જો કેનાલ રોડ પરનું આ પુલિયું જ બંધ રાખવાનું હોય તો આ નવા રોડનો ઉપયોગ શું—એવો પ્રશ્ન રહીશો ઉઠાવી રહ્યા છે.

રહિશોની માગ છે કે તંત્ર રસ્તો પૂર્વવત ખુલ્લો કરે અથવા સમકક્ષ અને વ્યવહારૂ વિકલ્પ આપે, જેથી દૈનિક ટ્રાફિક વિલંબ અને વધતા ઇંધણખર્ચથી રાહત મળે.